રાજકોટમાં કોરોનાની વિગતો પર પડદો પાડતી મનપાની મનમાની
- કોરોના કંટ્રોલ ન કરી શક્યા હવે તેને છૂપાવવા પ્રયાસો
- મૃત્યુની વિગતો તો ઢાંકે છે, હવે કેસની વિગતો'ય છૂપાવશે
રાજકોટ, તા. 27 જુલાઈ, 2020, સોમવાર
રાજકોટમાં મહાપાલિકાએ દસેક દિવસથી કોરોનાની સારવાર લેતા દર્દીઓના મૃત્યુન ીવિગતો જાહેર કરવાનું બંધ કર્યા બાદ હવે કાગલ પર કોરોના કંટ્રોલમાં તેવું ધરાર દેખાડવાના હવાતિયાની પ્રતીતિ કરાવતા નિર્ણયમાં આજે કોરોના મહામારીના કેસોની વિગતો લોકોને નહીં આપવાનો મનસ્વી નિર્ણય લેતા ભારે વિરોધ વિવાદ થયો છે. કોંગ્રેસના મનપાના દંડક સહિત નેતાઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યોો છે તો લોકોમાં પણ આ મુદ્દે નારાજગી છે.
વિગત એવી છે કે રાજકોટ મહાપાલિકાએ અત્યાર સુધીમાં ૯૦૦થી વધારે દર્દીઓના નામ અને સરનામા સાથેની વિગતો એમ કહીને જાહેર કરતી રહી છે કે લોકો જાણે શકે કે તેમની આજુબાજુમાં કોને અને ક્યા લત્તામાં કોરોના થયો છે જેથી લોકો તેના સંપર્કમાં આવ્યા હોય તો બેધ્યાન નહીં રહેતા પોતાને કોઈ લક્ષણો હોય તો સમયસર સારવાર લઈ શકે, આઈસોલેટ કરી શકે. પરંતુ, હવે આનાથી સામાજિક પ્રશ્નો ઉભા થાય છે તેવું બહાનુ આશ્ચર્યજનક રીતે આપીને મનપાએ આજથી આ વિગતો જાહેર કરવાનું બંધ કર્યું છે. આજે નોંધાયેલા ૫૦ દર્દીઓના નામ-સરનામા જાહેર કર્યા નથી.
આ પહેલા મનપાએ કૂલ કેટલા લોકોના કોરોનાથી મૃત્યુ થયા તેની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું છે, શહેરમાં રોજ ત્રણ-ચારના મૃત્યુ થાય છે જે વિગતો મનપા દ્વારા જાહેર કરાતી નથી.આના કારણે મૃત્યુ કેટલા થયા તે અંગે તરેહ તરેહની વાતોને ખુદ તંત્ર જ આડકતરી રીતે ઉત્તેજન આપી રહ્યું છે.
આ નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે, મહાપાલિકાના વિરોધપક્ષના દંડક અતુલ રાજાણીએ કમિશનરને પત્ર લખીને એવો રોષ વ્યક્ત કર્યો છે કે કોરોના સામેની લડતમાં સરકારની નિષ્ફળતાને છુપાવવા કોર્પોરેશન આ હદ સુધી જઈ શકે તે આઘાતજનક છે. લોકોને કોરોના સામે નિ:સહાય હાલતમાં છોડી દેવાયા છે. લોકડાઉન ખોલીને સરકારે પ્રજાને આત્મનિર્ભર થવા કહી દીધું અને આત્મ નિર્ભર થવા પૂરતી રાહતો તો આપી નથી, આથી લોકો કોરોનાના કેસો હોય ત્યાં વધુ સાવચેતી રાખીને નોકરી-ધંધા કરીને રોજી મેળવવા પ્રયાસ કરતા હતા તેમાં પણ હવે કેસોની માહિતી બંધ કરી દેતા લોકોમાં ભય અને અફવા વધુ ફેલાશે તેવી ભીતિ સર્જાઈ છે.