દરિયાકાંઠેથી મહા'ની મુસીબત ટળી, બંદર પર સિગ્નલ હટાવ્યું
ભાવનગર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડું શાંત પડતા ભાવનગર બંદર પરથી ચેતવણી આપતા સિગ્નલને હટાવી લેવામાં આવ્યું હતું. 'મહા' વાવાઝોડાની મુસીબત ટળતા વહીવટી તંત્રએ પણ હાશકારો લીધો હતો. રાજ્યના દરિયાકાંઠે મહા નામનું વાવાઝોડું ત્રાટકવાની આગાહી કરવામાં આવી હતી. મહા વાવાઝોડાની અસર ભાવનગર જિલ્લા પર પણ થવાની સંભાવના હતી.
જેના કારણે છેલ્લા ચાર દિવસથી વહીવટી તંત્રએ સંભવત આફતને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દીધી હતી. વાવાઝોડાની આગાહીને પગલે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ભાવનગર આવી પહોંચી હતી. પરંતુ આ વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા જ શાંત પડી જતાં માત્ર છુટાછવાયા વરસાદ સિવાય વાવાઝોડાની કોઈ અસર જોવા મળી ન હતી.
તેમાં પણ આજે શુક્રવારથી સ્થિતિ નિયંત્રણમાં આવી જતાં તેમજ વાવાઝોડાની ઘાત સંપૂર્ણ પણે ટળી જવાથી બંદર પર લગાવાયેલું ત્રણ નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવ્યું હોવાનું જીએમબીના સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં વહીવટી તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.
પાંચ માસમાં ત્રણ વાવાઝોડાની આફત ટળી
ભાવનગર જિલ્લામાં 2019નું વર્ષ વાવાઝોડા માટે યાદ રહેશે. જૂન મહિનામાં વાયુ વાવાઝોડું ત્યારબાદ ઓક્ટોબર (દિવાળીના દિવસો)માં ક્યાર અને નવેમ્બરના પ્રારંભમાં મહા વાવાઝોડું ભાવનગર જિલ્લા પર ત્રાટકવાની આગાહી થઈ હતી.
જો કે, પાંચ માસમાં સંભવત આવનારા આ ત્રણેય વાવાઝોડા કોઈ તારાજી સર્જે તે પહેલા જ દરિયામાં શાંત થઈ ગયા અથવા તો તેની દિશા બદલી લેતા લોકોને રાહત મળી હતી. વાયુ વાવાઝોડાની અસરને કારણે ઓણ સાલ વરસાદ સમયસર અને સારો રહ્યો હતો. તો ક્યાર અને મહા વાવાઝોડાની અસરથી વરસેલા વરસાદે ખેતી પાકને નુકશાન કર્યું છે.