વિસાવદર તાલુકામાં પ્રચંડ ગાજવીજ સાથે બેથી પાંચ ઈંચ વરસાદ
-આંબાજળ અને ધ્રાફળ ડેમનાં પાટીયા ખોલાયા, ત્રણ ગામો એલર્ટ
-જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે હળવા ભારે ઝાપટા ઃ તાલાલા પંથકમાં 1 થી 1ાા ઈંચ વરસી મેઘમહેર
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ,તા.૨૦ સપ્ટેમ્બર 2018, ગુરૂવાર
જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવવા સાથે હળવાભારે ઝાપટા ચાલુ થયા હતો. જો કે, વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો અને જંગલમાં મુશળધાર બેથી પાંચ ઈંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર સર્જાયો હતો. આંબાજળ અને ધ્રાફળ ડેમનાં પાટીયા ખોલાતા ત્રણ ગામડાને એલર્ટ કરાયા હતાં. આજે તાલાલા પંથકમાં પમ ૧ થી ૧ાા ઈંચ મેઘમહેર વરસી હતી.
વિસાવદર તાલુકાના મોટાભાગનાં ગામોની અંદર આજે બપોરના પાંચ વાગ્યા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો માત્ર ત્રણ કલાકની અંદર પાંચ ઈંચ જેટલો ભારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોનાં ઊભા પાકને કાચા સોના સમાન જીવતદાન મળ્યું હતું. ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા સહિતનાં મોટાભાગના તમામ ગામોમાં અને ગીર પંથકમાં તથા વિસાવદર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો.
સિઝનમાં સૌ પ્રથમવાર આજે વરસેલા વરસાદમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા જોવા મળ્યા હતાં. વીજળીના કડાકા ભડાકા થવાના કારણે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કનકાઈ જંગલ વિસ્તારનાં પાંચ ઈંચ જેવો વરસાદ ખાબકી ગયો હતો.
આજે વરસેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં જળબંબોળ પાણી જોવા મળ્યુ ંહતું. મોટાભાગની નદી નાળાઓમાં પણ નવા નીર આવ્યા હતાં. વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતા ંઅને કાદવ કીચડ થઈ ગયા હતાં.
જેના કારણે અકસ્માત પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. માત્ર દોઢ કલાકમાં વરસેલા વરસાદનાં કારણે ખેડૂતો તથા ગ્રામજનો ખુશખુશાલ જોવા મળતા હતાં. જેથી આંબાજળ ડેમનાં બે પાટીયા ચાર ફૂટ તો ધ્રાફળ ડેમનું એક પાટીયું એક ફૂટ ખોલીને નિચાણવાળા સરસાઈ, ચાંપરડા અને ખીજડીયા ગામને સાવચેત કરાયા હતાં.
જૂનાગઢ જિલ્લામાં આજે સાંજે વાતાવરણ પલ્ટાયું હતું. જૂનાગઢ શહેરના સરદારબાગ વિસ્તારમાં બે મી.મી. વરસાદ નોંધાયો હતો. જયારે આઝાદ ચોક પંચહાટડી ચોકમાં અમી છાંટણા થયા હતાં. જયારે ટીંબાવાડીમાં ભારે ઝાંપટુ પડતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતાં. આ ઉપરાંત વંથલીમાં પાંચ મી.મી. તથા મેંદરડામાં ઝાંપટુ વરસતા રસ્તા ભીના થયા હતાં.
ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને છૂટા છવાયા હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. ગીરગઢડામાં ગઈકાલે પોણા ઈંચ બાદ આજે જોરદાર ઝાપટું વરસ્યું હતું. બીજી તરફ તાલાલા તાલુકાનાં આંકોલવાડી, માધુપુર, લુશાળા, બોરવાવ, હિરણવેલ, ચિત્રોડ ગીર સહિતનાં ૧૫ જેટલા ગામોમાં આજે ૧ થી ૧ાા ઈંચ વરસાદ વરસી જતાં ખેડૂતોની મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે.