વીજચોરીના કેસમાં 126ના બદલે કલમ 135 લગાડી ખેડૂતોને દંડવા સામે આક્રોશ
ભાવનગર, તા. 14 નવેમ્બર 2018, બુધવાર
વીજ અધિનિયમ 2003ની કલમ 135 મુજબ ગ્રાહકને દંડ, પોલીસ કેસ અને દીવાની દાવો કરવામાં આવે છે, તે ત્રણેય બાબત ન થઇ શકે તેવી રજૂઆત ભાવનગર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ જાજડીયાએ રાજ્યના ઉર્જા સચિવ રાજગોપાલને કરી છે.
આ રજૂઆતમાં જણાવાયુ છે કે, વીજ અધિનિયમ 2003માં કલમ 135 તેમજ કલમ 126નો સમાવેશ કરવામાં આવેલ છે. ઘણા કેસોમાં કલમ 126 થાય તેમ હોય તો પણ કે વીજ કંપનીના કેટલાક અધિકારીઓ કાયદા નિયમોથી અજાણ હોય કલમ ૧૨૬ના બદલે કલમ 135 લગાડવામાં આવેલ છે. તેના ભોગ ગ્રાહક બને છે.
આવા કલમ 135નો જ્યારે કેસ થાય ત્યારે આ બાબતે ઉતાવળ નહીં કરીને ત્રણ અધિકારીની પેનલ બનાવીને ખેડૂતને સાંભળીને કલમ 135 લગાડવી જોઇએ અન્યથા ખેડૂતને સાંભળીને યોગ્ય લાગે તો કલમ 126 થઇ શકે છે પણ કલમ 135 લગાડયા પછી તેમાં સુધારો થતો નથી તેથી આવા ગંભીર ચોરીના કેસમાં એક અધિકારીના બદલે અધિક્ષક ઇજનેરની હાજરીમાં ત્રણ અધિકારીઓ ચકાસણી કરે ખેડૂતને સાંભળે પછી જ કલમ 135 અમલ કરવો જોઇએ. કારણ કે ભારતના બંધારણમાં પણ ગુનેગાર છુટી જાય તો વાંધો નથી પણ નિર્દોષ માણસને અન્યાય ન થવો જોઇએ.
ખાસ કારણ એ છે કે બીજા અન્ય પોલીસ કેસોમાં પોલીસને તપાસ દરમિયાન નિર્દોષ હોય તો સમરી ફાઇલ કરી શકે છે. જ્યારે કલમ ૧૩૫ માં આવી કાંઇ જોગવાઇ નથી. કલમ 135માં દસ ટકા માણસો નિર્દોષ આવી જાય છે. કલમ 135માં એક તો પોલીસ કેસ થાય છે તેમજ કંપનીની ગણત્રી પ્રમાણે ઘણો મોટો દંડ થાય છે. તેમજ દિવાની રાહે પૈસા વસુલ કરવા કંપની કેસ દાખલ કરે છે. ગ્રાહક દંડ ભરે નહીં તો તેનું વીજ જોડાણ કાપી નાખવામાં આવે છે. આમ ખેડૂત દંડ ભરે નહીં તો કનેકશન કાપી નાખવામાં ઓ છે. માટે ખેડૂતને ફરજીયાત દંડ ભરવો પડે છે. તેમજ પોલીસ કેસનો સામન કરવો પડે છે. અને કોર્ટમાં વકીલ ખર્ચ કરવો પડે મુદતોમાં સમય બગડે આમ ખેડૂત બંને બાજુ પીસાય છે. આ બાબતે વીજ કંપની તરફથી વીજ અધિનિયમ 2003 કલમ 135નું ખોટુ અર્થઘટન કરવામાં આવે છે.
ઉપરોક્ત હકીકત પ્રમાણે જ્યારે ગ્રાહક ઉપર પોલીસ કેસ થાય ત્યારે વીજ કંપની દંડની રકમ વસુલ કરવા દીવાની કેસ પણ કરે છે. કાંતો પોલીસ કેસ થાય કાંતો રકમ વસુલ કરવા દિવાની કેસ થાય વીજ અધિનિયમ 2003માં કલમ 154માં જોગવાઇ છે કે જ્યારે પોલીસ કેસ પૂરો થાય ત્યારે આ બંને વસ્તુ એક જ કેસમાં થાય છે. દંડની વસુલાત અને પોલીસ કેસ બંને ચુકાદાઓ એક જ કેસમાં થઇ શકે છે.
આમ ગ્રાહકને પોલીસ કેસમાં વકીલ રોકવા તેમજ વીજ કંપનીના વસુલાતના દીવાની દાવા સામે વકીલ રોકવા પડે છે. જો ગ્રાહકને દીવાની રાહે વસુલાત સામે જવું હોય તો જઇ શકે છે પણ વીજ કંપની જ્યારે પોલીસ કેસ થયો હોય ત્યારે દીવાની દાવો થઇ શકે નહીં. આ બાબતે તાકીદે નિર્ણય કરવા યોગ્ય કરવામાં નહી આવે તો પબ્લીક ઇન્ટરટ્રલીટીગેશન કોર્ટમાં દાખલ કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી છે.