Get The App

સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ; કાતિલ પવનો સાથે ધ્રુજાવતી ઠંડી

- આંધ્રપ્રદેશના વાવાઝોડાની તીવ્ર અસરને લીધે મોસમનો બદલાતો માહોલ

- દરિયામાં તોફાની કરંટના કારણે પરત આવવા લાગ્યા માછીમારો

Updated: Dec 16th, 2018

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ; કાતિલ પવનો સાથે ધ્રુજાવતી ઠંડી 1 - image

- ગ્રીનહાઉસ ઈફેક્ટને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક સુધારો પણ રાત્રિ દરમિયાન સુસવાટા મારતા ઠંડા પવનોની જનજીવન ઉપર વ્યાપક અસર

રાજકોટ, તા. 16 ડિસેમ્બર 2018, રવિવાર


કાશ્મીરના કાતિલ ઠંડા પવનો જાણે કાઠીયાવાડની ધરતી ઉપર સુસવાટા બોલાવી રહ્યા હોય તે પ્રકારે આજે હાડ થિજાવતી ઠંડીનું સામ્રાજ્ય સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. સુર્યદેવ આકાશમાં સંતાકુકડી રમતા રહ્યા હતા. વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળ્યું હતું. રવિવાર હોવા છતાં તીવ્ર ઠંડા પવનોને કારણે લોકોએ હરવા ફરવાના સ્થળોએ જવાનું ટાળ્યું હતું. રાજકોટમાં આજે મીનીમમ તાપમાન ૧૪.૩ જ્યારે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન ૭.૬ ડિગ્રી ડિસા ખાતે નોંધાયુ હતું.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ઠંડીનું જોર ઉતરોતર વધતુ રહ્યું છે. માગસર મહિનાની આ હાડ થિજાવતી ઠંડીની અસર હજુ બે દિવસ વધુ તીવ્ર જોવા મળશે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ નજીક દરિયામાં વાવાઝોડાની તીવ્ર અસરને લીધે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગ્રીન હાઉસની ઈફેક્ટને કારણે દિવસ દરમિયાન તાપમાનમાં આંશિક સુધારો જોવા મળે છે જ્યારે રાત્રિ દરમિયાન સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે ઠાર અનુભવાય છે. સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઠંડા પવનોની સીધી અસર સૌરાષ્ટ્ર- ગુજરાતના તમામ વિસ્તારોમાં વ્યાપક રીતે જોવા મળે છે જેના કારણે હજુ ૪૮ કલાક સુધી વાતાવરણ વાદળછાયુ જોવા મળશે તેમજ કાતિલ ઠંડા પવનોનું જોર પણ વ્યાપક રીતે અનુભવાશે. સાયક્લોનની અસર ઓછી થયા બાદ વાતાવરણ નોર્મલ બનશે. સ્ટ્રોન્ગ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને લીધે બદલાયેલા મોસમના માહોલની અસર આજે જનજીવન ઉપર વ્યાપક રીતે જોવા મળી છે.

જામનગર શહેર અને જીલ્લામાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. આજે વહેલી સવારે ઠંડીનો પારો ૧૧.૦ ડીગ્રી આસપાસ રહ્યો હતો. જ્યારે પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે ફુંકાતા બરફીલા ઠંડા પવનના પક્ષ કારણે શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધુ્રજારી અનુભવી હતી. જ્યારે આજે વહેલી સવારથી જ હવામાનમાં એકાએક પલ્ટો આવી ગયો હતો અને આકાશ ઘટાટોપ વાદળોથી ઘેરાઈ જતા ટાઢોડું છવાઈ ગયું હતું.

હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. જેમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં ઠંડીનો પારો સિંગલ ડીઝીટમાં ચાલી જતા શહેરીજનો ઠુંઠવાયા હતા. ઉપરાંત પ્રતિ કલાકના ૩૫ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવને પશુ પક્ષીઓને પણ ધુ્રજાવી દીધા હતા. જામનગર શહેરમાં આજે સવારે લઘુતમ તાપમાન ૧૧.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી.

દરમ્યાન આજે સવારે દસેક વાગ્યા પછી હવામાનમાં એકાએક પલ્ટો આવી ગયો હતો અને આકાશમાં વાદળો છવાઈ જતાં ટાઢોડું જવાઈ ગયું હતું. આકાશમાં વાદળોના ગંજ ખડકાઈ જતાં સૂર્યનારાયણ અદ્રશ્ય થઈ ગયા હતા.

જૂનાગઢમાં આજે ગિરનાર ઉપર કાતિલ ઠંડીની અસર વન્ય પશુઓ ઉપર જોવા મળી હતી. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૨૮.૭ ડિગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૯.૩ ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા જ્યારે સાંજે ૧૯.૩ ટકા જોવા મળ્યું હતું. અમરેલીમાં આજે ન્યુનતમ તાપમાન ૧૪.૮ ડીગ્રી જ્યારે ભુજમાં ૧૧.૪ ડીગ્રી ન્યુનતમ તાપમાન નોંધાયુ હતું.

વેરાવળ સહિતના બંદરો પર ફિશીંગ બોટોના ખડકલા

દરિયામાં તોફાની કરંટના કારણે પરત આવવા લાગ્યા માછીમારો

કાતિલ ઠંડા પવનોથી મત્સ્યોદ્યોગને અસર


વેરાવળ તતા આજુબાજુના બંદરોમાં દરિયામાં ભારે પવન હોય, જેથી તોફાની કરંટ હવાથી સેંકડો બોટો સહી સલામત કીનારે આવી ગયેલ છે.

બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ જણાવેલું હતું. કે, વાવાઝોડા હોવાથી માછીમારો સાથે બોટો દરિયા કિનારે સહી સલામત પરત આવી છે. અસંખ્ય બોટો દરિયામાં લંગર નાખીને સહિસલામત રાખી દેવાઈ છે. દરિયામાં પવનથી કરંટ હોય માછીમારી થઈ શકતી ન હોય જેથી સલામતી માટે બોટો કિનારે લવાઈ છે.

હાડ ધુ્રજાવતી ઠંડી તેમજ દરિયાકિનારે ભાર પવન હોય, જેથી કીનારા ઉપર રહેતા હજારો માછીમારો તેમજ જાલેશ્વર, હીરાકોટ, વડોદરા ઝાલા, પ્રશ્નવાડા જેવા નાના બંદરોમાં ઝૂંપડપટ્ટીમાં હજારો માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભારે પવન તથા દરિયામાં કરંટથી માછીમારોને મોટી આર્થિક નુકસાની થઈ રહી છે.