Get The App

જસદણમાં પીજીવીસીએલ તંત્રએ અંધાધૂંધ બિલો ફટકાર્યા

- મીટર રિડિંગને બદલે લમસમ બિલ પકડાવ્યા, રકમ દોઢી કે બમણી દર્શાવી: લોકોમાં ભારે રોષ

Updated: Jun 3rd, 2020

GS TEAM


Google News
Google News
જસદણમાં પીજીવીસીએલ તંત્રએ અંધાધૂંધ બિલો ફટકાર્યા 1 - image

જસદણ, તા. 03 જુન 2020, બુધવાર

જસદણમાં મોટા ભાગના ઘરોમાં તોતિંગ વીજ બિલ આવ્યા હોવાના આક્ષેપ સાથે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વીજ બિલ માફ કરવાનાં બદલે પીજીવીસીએલ દ્વારા વધારે વસૂલી કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીઓ આવા સમયમાં પણ ક્રૂર મજાક કરી રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

વીજ વિભાગના અધિકારીઓનો દાવો છે કે, સામાન્ય કરતાં આ દિવસોમાં વીજ વપરાશ વધારે રહે છે. લોકડાઉનના કારણે તમામ લોકો ઘરે જ હોવાથી પંખા, એસી, ટીવી, લાઇટ સહિતનાં મોટા ભાગના વીજઉપકરણો ઉપયોગમાં રહે છે.

જોકે ગ્રાહકોનો દાવો છે કે, વીજચોરોના મકાનોમાં ઘરઘંટી, ટીવી, પાણીની મોટરો, પંખા, એસી, બલ્બ, ટ્યુબ લાઈટ સહિત અનેક પ્રકારના વીજ સાધનો હોવાં છતાં એમને માત્ર રૂ.૫૦૦થી ૧ હજાર સુધીના બિલ આવ્યાં છે. જ્યારે વીજ વપરાશ સામાન્ય ધરાવતા ઘરોમાં મસમોટા બિલો પકડાવવામાં આવ્યાં છે. શહેરમાં દરરોજ લાખો રૂપિયાની વીજચોરી થતી હોવાનું કહેવાય છે.

આ જબરી ખોટ નિર્દોષ ગ્રાહકોએ ભરવી પડી રહી છે ત્યારે જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓ પર દંડનીય કાર્યવાહી કરી જિલ્લા બહાર બદલી કરવી જોઇએ એવી માંગ શહેરના નાગરિકોમાં ઉઠવા પામી છે.

કોરોનાને કારણે વીજ કંપનીના કર્મચારીઓ મીટર રિડિંગ માટે ગયા નથી. તેમણે લમસમ બિલ પકડાવી દીધું છે. તેવામાં બીલ ઓછું રાખવાનાં બદલે દોઢું કે બમણું ફટકારી દીધું છે. આવા લોકડાઉનનાં સમયમાં પણ આ વીજ કંપનીઓ શોષણ કરવાના પ્રયાસો કરે છે.

ધંધા રોજગાર બંધ હોવાનાં કારણે પહેલાથી જ આર્થિક સંકટ ભોગવી રહેલા લોકોને બિલ નહીં ભરવાની સ્થિતિમાં કનેક્શન કાપવાની ધમકીઓ અપાઈ રહી છે. એક તરફ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે કોરોનાકાળના કારણે ૩૦ જૂન સુધી વીજ કચેરી ઉઘરાણી નહિ કરે અને મિનિમમ બિલ આવશે પણ જસદણ પીજીવીસીએલ કચેરી મુખ્યમંત્રીના એ વચનને પણ ભૂલી ચૂકી હોય એવું લાગી રહ્યાનું લોકોએ જણાવ્યું હતું.

Tags :