બરવાળામાં વિધર્મી પતિએ પત્નીને હથોડી મારી દીધી .
- બોટાદની મહિલાએ પતિ સાથે છુટાછેડા લીધા બાદ વિધર્મી સાથે પ્રેમલગ્ન કર્યા
- બાળકો કરવા બાબતનું મનદુઃખ રાખી જ્ઞાતિ વિશે અપમાનિત શબ્દો કહીં ધમકી આપી
ભાવનગર: બરવાળામાં રહેતા બોટાદના મહિલાને તેના વિધર્મી પતિએ બાળકો કરવા બાબતનું મનદુઃખ રાખી હથોડીનો ઘા મારી દઈ જ્ઞાતિ વિશે હડધૂત કરતા શબ્દો કહીં મારી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળા શહેરના ઠક્કરબાપા સોસાયટી, વજુભાઈ ચાવડાના મકાનમાં રહેતા રેખાબેન (ઉ.વ.30 રહે, મુળ હરણફુઈ, ભંગારવાળાના ડેલા પાસે, બોટાદ) નામની મહિલાએ વર્ષ 2018માં રેફડા ગામના કાળુભાઈ પરમાર સાથે બનતું ન હોવાથી છુટાછેડા લીધા હતા. લગ્નજીવનમાં બન્નેને બે સંતાન હોવાથી રેખાબેનએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી લીધું હતું. છુટાછેડા લીધા બાદ બોટાદમાં રહેતો ઈમરાન કરીમભાઈ મોહાત નામના શખ્સ સાથે પ્રેમસબંધ હોય, બન્નેએ બરવાળામાં જઈ હિન્દુ રીતરિવાજથી લગ્ન કર્યા હતા અને બરવાળામાં જ બન્ને સ્થાયી થયા બાદ વિધર્મી પતિ ઈમરાન મોહાત બીજા બાળકો કરવા હોય, પરંતુ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું હોવાથી રેખાબેન અને ઈમરાન વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે બાબતનું મનદુઃખ રાખી ગઈકાલે ગુરૂવારે સવારના સમયે રેખાબેન વાસણ કામ કરતા હતા. ત્યારે ઈમરાન મોહાતે તેના પત્નીને ગાળો દઈ તેણી અનુ. જાતિના હોવાની જાણ હોવા છતાં જ્ઞાાતિ વિશે અપમાનિત કરતા શબ્દો કહીં માથાના ભાગે હથોડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ તેના પતિ વિરૂધ્ધ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શખ્સ સામે અનુ. જાતિ અને અનુ. જન. જાતિ. પ્રતિબંધ અધિનિયમની કલમ ૩ (૧) (આર), ૩ (૧) (એસ), ૩ (ર) (વીએ), આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર) અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.