Get The App

1 લી જૂલાઈથી ભારતીય ન્યાય સંહિતાનો અમલ, પોલીસને અપાઈ રહી છે તાલીમ

Updated: Jun 24th, 2024

GS TEAM

Google News
Google News
1 લી જૂલાઈથી ભારતીય ન્યાય સંહિતાનો અમલ, પોલીસને અપાઈ રહી છે તાલીમ 1 - image

- ભાવનગર સહિત સમગ્ર દેશમાં માત્ર આઇ.પી.સી. જ નહિ, સીઆર.પી.સી. પણ બદલાશે

- નવા કાયદાની અમલવારી માટે પોલીસ થઈ રહી છે તાલીમબદ્ધ : 60 પોલીસ અધિકારી અને 800 પોલીસ કર્મચારીઓ માટે તબક્કાવાર તાલીમ વર્ગનું આયોજન

ભાવનગર : આગામી તા. ૧ જુલાઈથી ભાવનગર સહિત દેશભરમાં ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા લેશે. ભારત સરકાર દ્વારા કાયદાની પરિભાષા બદલવા માટે પસાર કરવામાં આવેલ બીલની અમલવારી માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમબદ્ધ કરાશે. ભાવનગર જિલ્લાના ૬૦ પોલીસ અધિકારીઓ અને ૮૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને જૂનાગઢ ખાતે તબક્કાવાર તાલીમ આપવામાં આવી રહી છે. 

 બ્રિટીશ કાળની ઈન્ડિયન પીનલ કોડ (ભારતીય દંડ સંહિતા)ના સ્થાને બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) અમલમાં મૂકવા કેન્દ્ર સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે. હવે આ ભારતીય ન્યાય સંહિતા આગામી તા. ૧લી જૂલાઈથી સમગ્ર દેશમાં અમલમાં આવનાર છે. આ નવા કાયદા અનુસાર કેટલીક કલમોમાં થયેલ ફેરફારો, એફ.આઈ.આર.નોંધવાની પદ્ધતિ, પોલીસ ચાર્જશીટ સહિતની અનેક પ્રક્રિયાઓમાં બદલાવ થઈ રહ્યો છે તેમજ ગુનાની નોંધ અને ધરપકડ સહિતની પ્રક્રિયા ઉપરાંત ક્રીમિનલ પ્રોસિજર કોડ (સીઆર.પી.સી.)ની કલમોમાં પણ બદલાવ કરાયો છે ત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નવા કાયદાથી સુમાહિતગાર થાય અને તેના અમલ માટે સજ્જ થાય તે હેતુથી તાલીમ વર્ગ શરૂ કરી દેવામાં આવ્યા છે. 

 ભાવનગર જિલ્લા પોલીસ બેડામાં ફરજ બજાવતા ડીવાય.એસ.પી., પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતના ૬૦ જેટલા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિત ૮૦૦ જેટલા પોલીસ કર્મચારીઓની જૂનાગઢ સ્થિત તાલીમ કેન્દ્ર ખાતે તબક્કાવાર તાલીમ ચાલી રહી હોવાનું જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે જણાવ્યું હતું. આગામી તા. ૧લી જુલાઈથી નવા કાયદાની અમલવારી થવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર પણ સજ્જ બની રહ્યું હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું. 

બ્રિટિશ સંસદે ઘડેલા કાયદાનો હેતુ સજા જ્યારે નવા કાયદામાં ન્યાય કેન્દ્રસ્થાને

ભારત સરકાર દ્વારા બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યરીતિ સંહિતા અને ઇન્ડિયન એવિડન્સ એકટને રદ્દ કરીને કેન્દ્ર સરકાર દ્વારા તેના સ્થાને નવા ત્રણ કાયદા અમલી બનાવવામાં આવ્યા છે. આ કાયદાનો હેતુ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને આપવામાં આવેલા તમામ અધિકારોનું રક્ષણ કરવાનો રહેશે.  તેમનો હેતુ સજા કરવાનો નહીં, પરંતુ ન્યાય આપવાનો રહેશે. ભારતીય વિચારપ્રક્રિયાથી બનેલા આ ત્રણ કાયદાઓ આપણી અપરાધિક ન્યાય પ્રણાલીમાં મોટું પરિવર્તન લાવશે. ઇન્ડિયન પીનલ કોડનું સ્થાન લેનાર ભારતીય ન્યાય સંહિતા બિલ-૨૦૨૩માં અગાઉની ૫૫૧ કલમોને બદલે ૩૫૭ કલમો હશે. આમ, ૧૭૫ કલમો બદલવામાં આવી છે અને ૮ નવી કલમો ઉમેરવામાં આવી છે જ્યારે ૨૨ કલમો રદ કરવામાં આવી છે. પુરાવા અધિનિયમનું સ્થાન લેનાર ભારતીય સાક્ષ્ય વિધેયકમાં હવે અગાઉની ૧૬૭ કલમોની જગ્યાએ ૧૭૦ કલમો હશે. આમ, ૨૩ કલમો બદલવામાં આવી છે જ્યારે નવી ૧ કલમ ઉમેરવામાં આવી છે તો ૫ કલમ રદ કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ, જે સીઆર.પી.સી.નું સ્થાન લેશે, તેમાં હવે ૫૩૩ કલમો છે. જૂના કાયદાની ૧૬૦ કલમો બદલવામાં આવી છે અને ૯ નવી કલમો ઉમેરવામાં આવી છે તથા ૯ કલમો રદ કરવામાં આવી છે.