હેડ કોન્સ્ટે. પર જીવલેણ હુમલાના મામલે ચાર સામે ગુનો નોંધાયો
ભાવનગર, તા. 08 ફેબ્રુઆરી 2020, શનિવાર
તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પર ગઈકાલે સમીસાંજનાં સુમારે પાલિતાણાના નાની રાજસ્થાળી નજીક શખસોએ બાઈકને કારનો ટલ્લો મારી પછાડી દઈ જીવલેણ હુમલો કરતા પોલીસ જવાનને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે મામલે ચાલ શખસ સામે હત્યાના પ્રયાસ તળે ગુનો નોંધાવા પામ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલિતાણાના ભીલવાસમાં રહેતા અને તળાજા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનીલભાઈ જગીદશભાઈ પરમાર (ઉ.વ.૩૫) ગઈકાલે સાંજનાં ૫.૫૫ કલાકના અરસા દરમિયાન તળાજાથી પોતાની ડયુટી કરી પરત પોતાના ગામ બાઈક પર જઈ રહ્યા ંહતાં ત્યારે નાની રાજસ્થળી નજીક પાછળથી કારમાં આવેલા શખસોએ પોલીસ જવાનને મારી નાખવાના ઈરાદે બાઈકને ટલ્લો મારી પછાડી દઈ સશસ્ત્ર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત બનાવના પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ઉક્ત ઘટના અનુસંધાને પાલિતાણાના મોટા ફળિયા તળાવ પાસે રહેતા જગદીશભાઈ સીતારામભાઈ પરમાર (ઉ.વ.૫૫)એ પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ઈમરાન ઈબ્રાહીમભાઈ બિલખિયા, મહમદ ઉર્ફે ટીકુડો ઈબ્રાહીમભાઈ બીલખીયા, ઈબ્રાહીમ ઉર્ફે ઈબલો બિલખિયા અને અક અજાણ્યા શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના દીકરા અનીલભાઈ પરમારને મારી નાખવાના ઈરાદે કારનો ટલ્લો મારી પછાડી દઈ હથિયારો વડે માર મારી ફેકચર કરી જીવલેણ ઈજા પહોંચાડી નાસી છુટયા હતા. ઉક્ત બનાવ અનુસંધાને પોલીસે શખસો સામે આઈપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૧૪ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.