રાજકોટમાં છ માળના આવાસ બિલ્ડીંગની દીવાલો પર કોરોના જાગૃતિના વિશાળકાય ચિત્રો
રાજકોટ, તા.7 જુલાઇ 2020, મંગળવાર
રાજકોટમાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાઈ ચૂકી છે અને શહેર હોટસ્પોટ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે ખુદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યા પ્રમાણે લોક જાગૃતિનો અભાવ છે. ત્યારે રાજકોટના મવડી વિસ્તારમાં ભારત નગર પાસે મહાપાલિકા દ્વારા ગરીબ લોકોના આવાસ માટેના છ માળના એપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
આ બિલ્ડીંગની વિશાળ દિવાલ પર મહાપાલિકા દ્વારા કોરોના જાગૃતિ કઈ રીતે રાખવી અને કઇ રીતે બચવું તેના ચિત્રો સાથે સુત્રો તથા કોરોના વોરિયર્સને બિરદાવતા ચિત્રો દોરવામાં આવ્યા છે. વધુમાં મહાપાલિકાના સિટી એન્જિનિયર અલ્પના મિત્રાએ જણાવ્યું કે, આ એપાર્ટમેન્ટની 13 ફૂટ પહોળી અને 75 ફુટ ઉંચાઇની દિવાલ પર આ રંગીન ડ્રોઈંગ કરવામાં આવ્યું છે. જેનાથી આ આવાસ યોજના સુંદર લાગવા સાથે લોકોને મહામારીથી બચવા મેસેજ પણ આપશે.
રાજકોટ મહાપાલિકાના અનોખા અને લોકપ્રિય ચિત્રનગરી પ્રોજેક્ટ ચાલે છે. જેમા જાહેર દિવાલો પર જાહેરાતના ચિતરામણને બદલે કલાકારો નિઃશુલ્ક સુંદર ચિત્રો દોરે છે.