ગારિયાધાર નગરપાલિકાએ પેટીયુ રળતા લારી ધારકોને ડિમોલેશનમાં ટારગેટ કરતા હો..હા...
ગારિયાધાર, તા. 14 ઓક્ટોબર 2019, સોમવાર
ગારિયાધાર નગરપાલિકા દ્વારા આજે પ્રારંભે શુરા નાના લારી-ગલ્લાને ટારગેટ કરી ડિમોલેશનની કામગીરી આરંભી હતી. જો કે, આગેવાનો આ મુદ્દે વિફરતા થયેલ ઉગ્ર રજૂઆતો બાદ અંતે અધવચ્ચેથી જ ડિમોલેશનની કામગીરી આટોપતા મામલો થાળે પડયો હતો. ગારિયાધાર ન.પા. દ્વારા શહેરના દબાણકર્તાઓને દબાણ દૂર કરવા હેતુ આજરોજ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ન.પા. ચીફ ઓફિસર સ્ટાફ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના પચ્છેગામ રોડ તથા એસ.ટી. સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં જેસીબી, ટ્રેક્ટરો તથા હટાવ મશીનરી જેવા સાધનોનો કાફલો હતો.
પરંતુ ડિમોલેશનની પ્રક્રિયામાં માત્ર પેટીયું રળતા લારી-ગલ્લા ધારકોને જ તંત્ર દ્વારા ટારગેટ કરાતા સામાજિક કાર્યકર દિનેશભાઇ વણજારા તથા પીઢ કોંગી આગેવાન હરજીભાઇ વણજારા દ્વારા તંત્રની આ નીતિનો વિરોધ કરેલ અને ચીફ ઓફિસર પાસે વિગતે અહેવાલ માગેલ કે કોઇપણ જાતની લેખીત નોટિસ વિના આ પ્રક્રિયા હાથ ધરાઇ હોવાથી કાયદેસર નથી અને ચીફ ઓફિસર પર કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપતા તંત્રએ ડિમોલેશન આટોપી લીધેલ અને પીછેહઠ આગેવાનોની રજૂઆતના પગલે કરવી પડી હતી.
આ ઉપરાંત આગેવાનોએ જણાવેલ કે હાલ સાર્વત્રિક મંદીનું વાતાવરણ છે ત્યારે આવા દિવસોાં ન.પા. તંત્ર લોકોને શ્રમ રોજગાર મળે તેવી યોજનાઓની અમલવારી કરવાને બદલે પેટીયું રળતી પ્રજાને ધંધા વિહોણી કરી શું સાબીત કરવા માગે છે ? આમ આ તમામ પ્રશ્નોને લઇ ન.પા. કચેરી પર પણ હલ્લાબોલ આગેવાનો તથા લારી ધારકોના સમુહ દ્વારા થયેલ. જ્યારે આ પ્રક્રિયા દરમિયાન એક લારી ધારકને જ્ઞાાતિથી અપમાનિત કરીને લારી ધારકનું લારીમાં રહેલ શાકબકાલુ પણ લારી સાથે ઉંધુ વાળી દેતા અને ગેરવર્તન કરાયાની પોલીસમાં અરજી થયેલ જે મામલો પણ લાંબો ઘૂંટાયેલ અને તંત્ર મુંઝવણમાં જણાયું હતું.
એકબાજુ ન.પા. તંત્રમાં ગત સાધારણ સભામાં જ ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષ દ્વારા ચીફ ઓફિસરનો ઘેરાવ કરેલ, જ્યારે આવી બધી ગંભીર ભુલો કે જેમાં ભ્રષ્ટાચાર તથા ગેરરીતિ જેવી અનેક બાબતો પ્રત્યે તપાસ કરવાને બદલે તંત્ર ડિમોલેશન હાથ ધરી પેટીયું રળતા નાગરિકોને હેરાન કરી શું સાબીત કરવા માગે છે?