Get The App

રવિવારથી સુપ્રસિધ્ધ ઉંચા કોટડા અને ભગુડા ધામના ભક્તો માટે દ્વાર ખુલશે

- મહુવાના ભવાની મંદિર, દ્વારકાધીશની હવેલીના કપાટ અનલોક

- 13મીએ બગદાણા ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓની મિટીંગ મળશે, રાજપરા ખોડિયાર મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું

Updated: Jun 11th, 2021

GS TEAM


Google News
Google News
રવિવારથી સુપ્રસિધ્ધ ઉંચા કોટડા અને ભગુડા ધામના ભક્તો માટે દ્વાર ખુલશે 1 - image


મહુવા/ભાવનગર : ભાવનગર જિલ્લામાં કોરોનાની મહામારીને કારણે ૫૮ દિવસ સુધી ભક્તો માટે બંધ રહેલા સુપ્રસિધ્ધ યાત્રાધામો પૈકીના ભવાની મંદિર, રાજપરા ખોડિયાર મંદિર દર્શનાર્થીઓ માટે અનલોક થઈ ગયા છે. જ્યારે ઉંચા કોટડા અને ભગુડા ધામના ભક્તો માટે દ્વાર રવિવારથી ખુલી જશે.

દેવસ્થાનકોને લાગેલું કોરોનાનું ગ્રહણ આજથી હટી ગયું છે. રાજ્ય સરકારે ૧૧મી જૂનથી અમલમાં મુકેલી નવી ગાઈડલાઈનમાં એસઓપીના ચુસ્ત પાલન સાથે ધર્મસ્થાનકોને પણ ખોલવા માટે મંજૂરી આપી દીધી હતી. જેથી આજે શુક્રવારથી સિહોરના રાજપરા ખોડિયાર મંદિર, મહુવાનું ભવાની મંદિર અને વૈષ્ણવોના શ્રધ્ધેય સ્થાન દ્વારકાધીશની હવેલીના ભક્તો માટે કપાટ અનલોક કરી દેવામાં આવ્યા હતા. જ્યારે આગામી ૧૩મી જૂનને રવિવારે ઉંચા કોટડા સ્થિત ચામુંડા માતાજીના સુપ્રસિધ્ધ સ્થાનકને મંગળા આરતી સાથે ભક્તો માટે ખુલ્લા મુકી દેવાશે. આ ઉપરાંત ભગુડા સ્થિત માંગલ ધામને પણ રવિવારથી ખોલવામાં આવશે. દેવસ્થાનકો પર હાલ પૂરતી પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.

વધુમાં ગોહિલવાડના સુપ્રસિધ્ધ બગદાણા ગુરૂઆશ્રમને દર્શનાર્થે ખોલવા અંગેનો નિર્ણય લેવા માટે ૧૩મીએ ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓની મિટીંગ મળશે તેમ જાણવા મળ્યું છે.

સાંજે 7 કલાક સુધી વેપાર-ધંધાને અનલોકથી વેપારીઓને હાશકારો

ભાવનગર જિલ્લામાં આજથી નવી ગાઈડલાઈન મુજબ વેપાર-ધંધાને સાંજના સાત કલાક સુધી અનલોક કરી દેવાયા છે. જેના કારણે વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. અત્યાર સુધી સવારે ૯ થી ૩ અને ત્યારબાદ ૯ થી સાંજના ૬ કલાક સુધી જ દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી હતી. જેની અસર વેપાર-ધંધા ઉપર પડી હતી. જેના કારણે વેપારીઓને આર્થિક નુકશાની વેઠવી પડતી હતી. પરંતુ હવે સમયમર્યાદા એક કલાકની વધતા વેપારીઓએ રાહતનો દમ લીધો છે.

Tags :