18 મીથી ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન પાટે દોડતી થશે
- લોકાર્પણના વાંકે સાત-સાત માસથી મુસાફર ટ્રેનને શરૂ કરાઈ ન હતી, આખરે મુહૂર્ત નીકળતા 3 જિલ્લાની પ્રજાની ઇન્તેજારીનો અંત આવશે
- બોટાદ-સાબરમતી ગેજ કન્વર્ઝનને કારણે ચારથી પાંચ વર્ષ ટ્રેન વ્યવહાર બંધ રહ્યો, પ્રધાનમંત્રી લીલીઝંડી આપશે, ભાવનગર રેલવેના બાબુઓ કાર્યક્રમને લઈ તૈયારીઓમાં લાગ્યા, સત્તાવાર આદેશની રાહ
બોટાદથી સાબરમતી સ્ટેશન સુધી મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઈનને પરિવર્તિત કરવા માટે વર્ષ ૨૦૧૭ની ૧૫મી સપ્ટેમ્બરથી ભાવનગર વાયા બોટાદ-અમદાવાદ ટ્રેન વ્યવહારને ઠપ કરી દેવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે ગેજ કન્વર્ઝનનું કાર્ય શરૂ થયા બાદ કામ મંથરગતિએ ચાલતા ગેજ કન્વર્ઝન પૂરૂ થતાં થતાં ચાર વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. ત્યારબાદ જુલાઈમાં પ્રથમ વખત ટ્રેક ટેસ્ટીંગ અને નવેમ્બરથી માલગાડી દોડાવાનું શરૂ કરાયું હતું. ટેકનિકલથી લઈ તમામ સ્તરે નિરીક્ષણ કાર્યને લીલીઝંડી મળી ગયા છતાં માત્ર લોકાર્પણના વાંકે છથી સાત માસ સુધી મુસાફર ટ્રેન શરૂ કરવાનું કોઈ મુહૂર્ત આવતું ન હતું. જો કે, હવે આખરે ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે.
પ્રધાનમંત્રી મોદી આગામી ૧૭ અને ૧૮મીના રોજ પાવાગઢ-વડોદરાના કાર્યક્રમ માટે આવનારા છે. જેથી ૧૮મીના રોજ પીએમના હસ્તે ભાવનગર-અમદાવાદ ટ્રેનને પાટે દોડાવવા માટેની લીલીઝંડી આપવામાં આવશે તેમ રેલવેના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આ અંગે ભાવનગર રેલવે ડીઆરએમ સહિતના અધિકારીઓનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ભાવનગર-અમદાવાદ ટ્રેનના લોકાર્પણનો કાર્યક્રમ સંભવત્ ૧૮મીએ પીએમના હસ્તે થશે. જો કે, આ અંગે ભાવનગર રેલવે પાસે સત્તાવાર કોઈ આદેશ આવ્યો નથી. કાર્યક્રમને અનુલક્ષી હાલ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો તેમ ઉમેર્યું હતું.
ઉલ્લેખનિય છે કે, બોટાદ-સાબરમતી સુધીની બ્રોડગેજનું કામ પૂર્ણ થયા બાદ સંભવત્ શનિવારથી ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ થવા જઈ રહ્યો છે. જેથી ભાવનગર, બોટાદ જિલ્લાની સાથે ધંધુકા પંથકની જનતાને ટ્રેન સુવિધાનો ફરી લાભ મળતો થશે. જેથી પોણા પાંચ વર્ષની પ્રજાની ઇન્તેજારીનો અંત આવશે.
44 રેલવે ફાટક, 76 અંડરબ્રીજ બનાવાયા
બોટાદ-સાબરમતી સુધી નવીન બ્રોડેગજ લાઈન પાથરવામાં આવી છે. તેમાં ભાવનગરથી સાબરમતી સુધી ૪૪ રેલવે ફાટક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે તંત્ર દ્વારા ૭૬ સ્થળે અંડરબ્રીજનું નિર્માણ કરાયું છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણી જગ્યાએ ઓવરબ્રીજ પણ બનાવવામાં આવ્યા છે. મુસાફરોને અત્યાધુનિક સુવિધા મળી રહે તે માટે ૧૭ રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરી તેમાં અલગ-અલગ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
90 થી 110 ની સ્પીડે ટ્રેન દોડશે, સમયની બચત થશે
અમદાવાદ મીટર ગેજ ટ્રેન શરૂ હતી. ત્યારે ટ્રેનની સ્પીડ ૬૦ની હતી. તેની સામે હવે બ્રોડગેજ લાઈન શરૂ થતાં ટ્રેનની સ્પીડ વધારીને ૯૦થી ૧૧૦ની કરવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે ટ્રેનની સ્પીડ વધતા મુસાફરોને અમદાવાદ-બોટાદ-ભાવનગર આવવા-જવા માટેના સમયની પણ બચત થશે. આ ઉપરાંત માર્ગ અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો થશે.