ભાવનગરની ત્રણ સહિત પાંચ વેપારી પેઢીને રૂા. 16 લાખનો દંડ
ભાવનગર, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર
ભાવનગરની ત્રણ સહિત કુલ પાંચ વેપારી પેઢીને ફુડ સેફટીના નિયમના ઉલ્લંઘન બદલ ભાવનગરના એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટે દંડ ફટકાર્યો હતો. જિલ્લા વહિવટી તંત્ર, એસ.ઓ.જી. ટીમ તેમજ મહાનગરપાલિકા ભાવનગરના સંયુક્ત તેમજ સ્વતંત્ર રીતે ખાદ્ય વસ્તુનુ ઉત્પાદન/વેચાણ કરનાર/ સંગ્રહ કરતા વેપારી પેઢીના એકમો પર દરોડા પાડી તેમની પાસેથી તપાસ દરમ્યાન ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેની શંકાના આધારે ખાદ્ય વસ્તુઓના નમુનાઓ રાજકોટ રીઝનલ ફુડ લેબોરેટરીને મોકલ્યા હતા.
આ નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફ્ટી ઓફીસર દ્વારા ભાવનગરની એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમા એએમઆઈ ધારા શિગતેલ સંબંધી કેસ દાખલ કરવામા આવતા ધોરણસરની કાર્યવાહી થતા અસિમ ટ્રેડર્સ, દાણાપીઠ મેઈન રોડ, ભાવનગરને સતત ત્રીજા ગુન્હા બદલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 ની કલમ 64 પ્રમાણે તા.14મી ઓક્ટોબર, 2019ના રોજ રૂ. 6 લાખનો દંડ કરવામા આવ્યો તેમજ આ પેઢી વિરુધ્ધ રાણી રીફાઈન્ડ કપાસીયા તેલ સંબંધી કેસ દાખલ કરાતા ખાદ્ય તેલનુ ઉત્પાદન, વેચાણ અથવા સંગ્રહ કરવાના ગુનાહિત કૃત્યનુ પુનરાવર્તન કરતા હોવાના ચોથા ગુન્હા બદલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 પ્રમાણે તા.16 ઓક્ટોબરના રોજ લાયસન્સ રદ કરવામા આવ્યુ.
શ્રધ્ધા ટ્રેડીંગ ઉત્પાદક પેઢી, કતારગામ, સુરતને તેના ઉત્પાદન સ્વામીનારાયણ સ્પે. ફરાળી લોટ 500 ગ્રામ કં. પેક ને રૂ. 4 લાખ 80 હજાર અને મેસર્સ એચ.આર.મસાલા સ્ટેશન રોડ, તળાજા જી.ભાવનગરના જવાબદાર વ્યક્તિ તથા વિક્રેતા પેઢીને રૂ. 20 હજાર, એમ કુલ રૂ.૫ લાખના દંડની સજા તા. 25 ઓક્ટોબરે કરવામા આવી.જયશ્રી સ્વામિનારાયણ ગૃહ ઉદ્યોગ, કામરેજ રોડ, સુરતની ઉત્પાદક પેઢીને મીક્ષ ફરાળી લોટ 500 ગ્રામ કં.પેકને રૂ. 4 લાખ 80 હજાર, ભારત કિરાણા સ્ટોર, તળાજાને 10 હજાર, અજમલ કિરાણા સ્ટોર, આંબાચોક, મામા ખાણીયા, ભાવનગરને 10 હજાર એમ કુલ રૂ. 5 લાખના દંડની સજા 25 ઓક્ટાબરે કરવામા આવી. ખાવા-પીવાની કોઈપણ વસ્તુમા કોઈપણ પ્રકારની ભેળસેળ કરવી એ કાયદેસર ગુન્હો બને છે તેમ એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસએ જણાવ્યુ છે.