Gujarat

યુક્રેનમાં ભાવનગરના 39 વિદ્યાર્થી ફસાયા હોવાથી પરિવારો ચિંતીત

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
યુક્રેનમાં ભાવનગરના 39 વિદ્યાર્થી ફસાયા હોવાથી પરિવારો ચિંતીત

- રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વાતાવરણ તંગ 

- ભાવનગર શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર, ચેર્નિવત્સી, રોમનીયા બોર્ડર, ઓડેસા, સીનાવેત્સી સહિતની જગ્યાએ સલામત હોવાનો સરકારી તંત્રનો દાવો 

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરતા હતા પરંતુ તાજેતરમાં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરતા વાતાવરણ તંગ બન્યુ છે અને ભાવનગરના વિદ્યાર્થીઓ ફસાયા છે તેથી વાલીઓની ચિંતા વધી છે. ભાવનગરના ૩૯ વિદ્યાર્થી જુદા જુદા સ્થળે હોવાનુ આજે શનિવારે ભાવનગરના કન્ટ્રોલ રૂમે માહિતી આપતા જણાવેલ છે. ભાવનગરના કન્ટ્રોલમાંથી માહિતી રાજ્ય સરકારને મોકલવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ થશે તેવી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા હતી અને બે દિવસ પૂર્વે રશિયાએ યુક્રેનના કેટલાક વિસ્તારમાં હુમલો કર્યો હતો, જેના પગલે વાતાવરણ તંગ બન્યુ હતું. યુક્રેનમાં ભાવનગર શહેર અને જિલ્લાના ૩૯ વિદ્યાર્થી સહિતના નાગરીક હોવાની માહિતી છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લા કન્ટ્રોલ રૂમને મળી છે. ગત ગુરૂવારે ભાવનગર શહેર અને જિલ્લાના ૧૮ વિદ્યાર્થી યુક્રેનમાં હોવાની માહિતી મળી હતી પરંતુ ત્યારબાદ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આજે શનિવાર સુધીમાં ભાવનગરના ૩૯ વિદ્યાર્થી યુક્રેનમાં હોવાનુ જાણવા મળેલ છે. આ વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર, ચેર્નિવત્સી, રોમાનીયા બોર્ડર, ઓડેસા સેન્ટર, સેનાવેત્સી, ટર્નોપીલ, વિનીત્સીયા સીટી, પોર્ટાવા સીટી, ખારકીવ સીટી વગેરે સ્થળ પર હોવાની માહિતી વાલીઓએ જિલ્લા કન્ટ્રોલ રૂમને આપી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સલામત સ્થળે હોવાનો દાવો સરકારી તંત્રએ કર્યો છે પરંતુ હજુ સુધી ભાવનગરનો એક પણ વિદ્યાર્થી ભારતમાં આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી નથી. 

વિદ્યાર્થીઓના વાલીઓ હાલ ચિંતીત છે અને વિદ્યાર્થીઓને ભારત લાવવા માંગણી કરી રહ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આ ૩૯ વિદ્યાર્થીની યાદી ભાવનગરના કન્ટ્રોલ રૂમ વિભાગે રાજ્ય સરકારને આપી છે અને રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારને આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વાલીઓ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે પરંતુ વિદ્યાર્થીઓ ભારત કયારે આવશે ? તેને વાલીઓ ચિંતીત છે.