ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન સેમિનાર
- સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ચિત્રાના સંયુક્ત ઉપક્રમે
- એનઓસીથી લઇ ક્યાં કેવી ફાયર સેફ્ટી લાગુ પડે તેવી જીણવટભરી માહિતી અપાઇ

ભાવનગર : ઉદ્યોગકારો માટે ફાયર સેફ્ટી અંગે નિયમો અને તેના પાલન સહિત સેફ્ટી અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે સેમિનાર યોજાયો હતો.
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી અંગેનો સેમીનાર યોજવામાં આવેલ. પ્રથમ સેશનમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ખાતે ભાવનગર બિલ્ડર્સ એસોસીએશન અને ઇન્ડિયન મેડીકલ એસોસીએશનનાં પ્રતિનિધિઓ સાથે નિષ્ણાંત એલ.કે.ડુંગરાણી દ્વારા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ, હોસ્પિટલ્સ વગેરેમાં ફાયર સેફટી કોમ્પ્લાયન્સીસ બાબતે સરળ ભાષામાં સમજણ આપેલ અને બન્ને સંસ્થાના ઉપસ્થિત પ્રતિનિધિઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપેલ. બીજા સેશનમાં ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનનાં હોલ ખાતે ઉદ્યોગકારો માટે ફાયર સેફટી અંગે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનાં પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોનીએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવેલ કે હાલમાં સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ ફાયર સેફટીનાં નિયમનાં કારણે ઔદ્યોગિક એકમો અને જેમને આ નિયમ લાગુ પડે છે તેઓ પૂરતા માર્ગદર્શનનાં અભાવે ખુબ જ મૂંઝવણ અનુભવતા હોવાથી અમારી બન્ને સંથાઓ દ્વારા આ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. નિષ્ણાંત વક્તા એલ.કે. ડુંગરાણીએ આ વિષય અંગે વિસ્તૃત સમજણ આપતા ફાયર સેફટી કોને લાગુ પડે ?, એન.ઓ.સી. ક્યારે લેવાનું થાય ?, સેલ્ફ સર્ટીફીકેશન ક્યારે કરવાનું થાય ?, લો હેઝાર્ડ અને મોડરેટ હેઝાર્ડસ ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર સેફટી માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ તેની વિસ્તૃત સમજણ આપેલ.

