આર.ટી.ઓ.ની ડ્રાઈવિંગ ટેસ્ટમાં ગેરરીતી ધ્યાને આવશે તો ફરજ મોકુફીનો રીપોર્ટ થશે
Updated: Nov 23rd, 2021
- અનેક સમજાવટ બાદ પણ પથ્થર ઉપર પાણી રહેતા તાકીદ
- સંબંધિત ઈન્સ્પેકટરોની મનમાની સામે મુખ્ય અધિકારી આકરા બન્યા : પત્ર કરી તમામ ઈન્સ્પેકટરોને જાણ કરી
ભાવનગર આર.ટી.ઓ. કચેરીમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલરનું લાયસન્સ મેળવવા ડ્રાઈવીંગ ટેસ્ટ ફરજીયાત હોય છે. પરંતુ ચોક્કસ લેભાગુ એજન્ટો સાથે સંબંધિત ઈન્સ્પેકટરોના સેટીંગથી ઘણા લાયસન્સ ટેસ્ટ પાસ કર્યા વગર અરજદારોને પાસ કરવા અથવા ગેરહાજર હોવા છતાં પાસ કરવાનાં નાણા લેવાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે વ્યાપક હોબાળો થતા હાલ આ સેટીંગ બંધ કરાયા છે. છતાં ખાનગી રાહે માનીતા એજન્ટોના કામો હજુ શરૂ રહ્ય ોહવાની ચર્ચા આર.ટી.ઓ. સંકુલમાં ચાલી રહી છે ત્યારે ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા ગેરરીતી ડામવા ડ્રાઈવીંગ ટેસ્ટમાં જો ગોટાળો ધ્યાનમાં આવશે અથવા કોઈ અરજદાર મૌખિક કે લેખીત ગેરરીતી બાબતે પુરાવા સાથે રજુઆત કરશે તો સંબંધિત ઈન્સ્પેકટરનો વડી કચેરીને ફરજ મોકુફી માટે રીપોર્ટ કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે. જો કે આ અગાઉ પણ મોખીક તાકીદ કરાઈ હોવા છતાં ચોક્કસ છાપેલા કાટલા સમાન ઈન્સ્પેકટરોએ પોતાની મનમાની શરૂ રાખી રલવાની વૃત્તિ બંધ નહીં કરતા આ એકશનમોડ આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે આ ગેરરીતિ બાબતે અરજદાર ડાયરેક્ટ અધિકારીને ફરીયાદ કરી શકશે તેવી પણ વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાયું છે.