1 વર્ષ દરમિયાન 61 સાયબર ક્રાઈમના ગુનાના ભેદ ઉકેલાયા
- સોશ્યલ મિડીયા મારફતે અનેક લોકો બને છે ભોગ
- રૂપિયા 15.82 લાખ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના બેન્ક એકાઉન્ટમાં પરત મેળવાયા
ભાવનગર, તા. 17 જાન્યુઆરી 2020, શુક્રવાર
સોશ્યલ મીડિયાનો વ્યાપ વધતા કીમિયાગરોએ પણ પોતાની જાળ બિછાવી છે. થોડા સમય દરિયાન અસંખ્ય લોકો સોશ્યલ મીડિયા મારફતે સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ૬૧ સાયબર ક્રાઈમના ભેદ ઉકેલી પોલીસે રૂા. ૧૫.૮૨ લાખ સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોના બેન્ક એકાઉન્ટમાં પરત અપાવ્યા છે.
હાલના આધુનિક યુગમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાથુ્રં થતાં ફ્રોડની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયાના વોટસએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, ટીકટોક જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરી લોકો એક બીજાના સંપર્કમાં રહેતા હોય છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન મિત્રતા કેળવી અંગત માહિતીઓ મેળવી બ્લેકમેઈલીંગ કરવાના કિસ્સાઓ બની રહ્યાં છે. ફેસબુકમાં મહિલાના નામે ફેકટ એકાઉન્ટ બનાવી ફોરેનથી પાર્સલમાં ડોલર, આઈફોન, લેપટોપ જેવી વસ્તુઓ મોકલાવી હોવાનું જણાવી રૂપિયા પડાવી લેવાય છે.
જ્યારે કિમીયાગરો આયોજન પૂર્વક ડેબીટકાર્ડ કે ક્રેડીટ કાર્ડમાં આવતા ઓટીપીના માધ્યમથી એટીએમમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી રહ્યાં છે તે જ રીતે જોબ ફ્રોડ, મેટરીમોનીયલ ફ્રોડ, લોનફ્રોડ, લોટરી કે ઈનામ ફ્રોડ, ટાવર ઈન્સ્ટોલેશન ફ્રોડ, ઈમેઈલ હેકીંગ, કસ્ટમર કેર ફ્રોડ, ઈ-કોમર્સ સંબંધીત ફ્રોડ સહિતના સાયબર ક્રાઈમના બનાવો જોવા મળી રહ્યાં છે ત્યારે ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમના બનાવોને રોકવા રેન્જ ડી.આઈ.જી. યાદવની સુચનાથી સાયબર ક્રાઈમ સેલની રચના કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમ સેલમાં નોંધાયેલ ફરિયાદો અનુસંધાને કાર્યવાહી કરી છેલ્લે એક વર્ષ દરમિયાન ૬૧ ગુનાઓ ટેકનીકલ એનાલીસીસ આધારે અલગ અલગ બનાવોમાં ભોગ બનનારા લોકાના ૧૫૮૨૮૬૬ની રકમ બેન્ક એકાઉન્ટમાં પરત અપાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.