Get The App

સિહોરમાં સંકલનના અભાવે સેવા સેતુ કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકૂફ!

Updated: Oct 20th, 2024

GS TEAM

Google News
Google News
સિહોરમાં સંકલનના અભાવે સેવા સેતુ કાર્યક્રમ છેલ્લી ઘડીએ મોકૂફ! 1 - image


- વોર્ડ નં. 5 થી 9 માટે 10 માં તબક્કાના કાર્યક્રમનું મોટા ઉપાડે આયોજન કરાયું હતું

- લગ્ન મંડપ સજાવ્યો પણ વરરાજા જ ન પહોંચ્યા!, રિસિવ્ડ કોપીમાં સહી છતાં મુખ્ય વિભાગનો સ્ટાફ ગેરહાજર : અરજદારોને ધરમના ધક્કા

સિહોર : સિહોરમાં મોટા ઉપાડે સેવા સેતુનો સરકારી કાર્યક્રમ યોજવામાં આવ્યા પરંતુ ખૂદ સરકારી વિભાગોના સંકલનના અભાવ અને ઘોરબેદરકારીના પગલે 'લગ્ન મંડપ સજાવ્યો પણ વરરાજા જ ન પહોંચ્યા' જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ મુખ્ય વિભાગનો સ્ટાફ જ હાજર ન હોવાના કારણે છેલ્લી ઘડીએ કાર્યક્રમ મોકૂફ કરવાની નોબત આવી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતિમ ઘડીએ રદ્દ કરી દેવામાં આવતા અરજદારોને ધરમના ધક્કા થયા હતા. 

સિહોર નગરપાલિકા દ્વારા ટાઉન હોલ ખાતે આજે શનિવારે વોર્ડ નં.૫થી ૯ના ૧૦માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી કાર્યક્રમ માટે નગરપાલિકાએ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને વિવિધ સરકારી વિભાગ, આગેવાનો, પદાધિકારીઓ સહિતનાને પત્રથી જાણ પણ કરી હતી. કાર્યક્રમ માટે ટાઉન હોલમાં વિભાગ વાઈઝ માંડવા, ટેબલ-ખુરશી વગેરે ગોઠવી દેવામાં આવી હતી. પરંતુ સવારે ૯થી ૨ કલાક સુધી યોજાનારા કાર્યક્રમમાં સિહોર નગરપાલિકા, ફોરેસ્ટ, અર્બન, બેન્કિગ વિભાગ અને પોલીસ સ્ટાફ સ્થળ ઉપર હાજર હતો. જ્યારે આવકના દાખલા, જાતિના દાખલા, નોનક્રિમિલેયર, ડોમિશાયલ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની મુખ્ય કામગીરી સંભાળતો મામલતદાર કચેરીનો સ્ટાફ જ હાજર થયો ન હતો. જેના કારણે ૧૦ વાગ્યા સુધી કોઈ કામગીરી થઈ શકી ન હતી. 

સ્ટાફની ગેરહાજરીને લઈ સિહોર મામલતદાર પ્રજાપતિનો ટેલીફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અમને ખબર નથી. આ અંગે ચીફ ઓફિસરને પૂછવા કહ્યું હતું. જેથી પ્રાંત અધિકારી વાળાનો સંપર્ક કરતા તેમણે આ બાબતે તપાસ કરી બેજવાબદાર તમામ કર્મચારીને નોટિસ ફટકારવા આદેશ કર્યાનું જણાવ્યું હતું. તો બીજી તરફ નગરપાલિકાના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ વિભાગને લેખિતમાં જાણ સાથે કરી હતી અને તમામ પાસે રિસિવ્ડ કોપીમાં કરાવેલી સહી સાથેના આધાર-પુરાવા પણ છે. ઈન્ચાર્જ ચીફ ઓફિસરે તો સેવા સેતુ કાર્યક્રમ મોકૂફ રહ્યા અંગે કોઈ જાણકારી કે માહિતી ન હોવાનું કહ્યું હતું. ત્યારે ખૂદ સરકારી વિભાગોના જ સંકલનના અભાવે સરકારી કાર્યક્રમનો ફિયાસ્કો થતાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડયા હતા. જેથી લોકોમાં ટીકા સાથે રોષની લાગણી જન્મી હતી.

એક દિવસ અગાઉ જાણ કરી હોત તો ધક્કા ન થાત

સિહોરના ટાઉનહોલમાં આયોજીત સેવા સેતુ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવતા લોકોને હેરાન થયા હતા. આ બાબતે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, સંકલનના ભાવે કાર્યક્રમનો ફિયાસ્કો થતાં મોટી સંખ્યામાં આવેલા અરજદારોને ધક્કા થયા હતા. સરકારી તંત્ર દ્વારા એક દિવસ અગાઉ જાણ કરવામાં આવી હોત તો લોકોને મુશ્કેલી વેઠવી ન પડી હોત, આવા ગંભીર છબરડાને કોંગ્રેસે વખોડી  વહેલી તકે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ગોઠવવા માંગ કરી હતી.

Tags :