ભાવનગર એસ.ટી.ના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અસંતોષ
- સાડા પાંચ માસ પૂર્વે સંકલન સમિતિ સાથે થયેલી બેઠકમાં ઠાલા વચનો અપાયા હતા
- મધ્યસ્થ કચેરીના આદેશનું મનસ્વી રીતે અર્થઘટન કરી ક્રુનું શોષણ કરવામાં આવતું હોવાની રાવ
ભાવનગર એસ.ટી. ડિવિઝનમાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક બાબતના, નોકરી સાથે સક્રિય સંકળાયેલા પ્રશ્નો અને લેબર સેટલમેન્ટ મુજબ મળવાપાત્ર અધિકાર સહિતના પ્રશ્નો બાબતે ગત તા.૧૫-૭-૨૦૨૩ના રોજ ભાવનગર વિભાગની સંકલન સમિતિ દ્વારા બેઠકમાં રજૂઆત કરવામા ંઆવી હતી. આ મિટીંગની મિનિટ્સમાં જે-જે પ્રશ્નો બાબતે રજૂઆતો થઈ તેના નિરાકરણના ઠાલા વચન આપ્યાને સાડા પાંચ માસથી પણ વધુ સમય થયો છતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટે સહેજ પણ ગંભીરતા ન દાખવી ફક્ત ઔપચારિક મિટીંગની મિનિટ્સનો પત્ર વ્યવહાક કરી સંસ્થાના મૂલ્યવાન સમયનો વ્યય કર્યો હોવાની રાવ સાથે સંકલન સમિતિએ પુનઃ રજૂઆત કરી કર્મચારીઓના વિશાળ હિતમાં નિર્ણય કરવાની માંગણી કરી છે.
વધુમાં ફોર્મ-૪માં જે શિડયુલ મંજૂર કરાયો છે, તે રીતે સંપૂર્ણ સંચાલન યથાવત રાખી લેબર સેટલમેન્ટ મુજબ વર્તમાન સમયમાં ક્રુ પાસેથી ફરજ લઈ ઓવરટાઈમ ચુકવવા મધ્યસ્થ કચેરીનો આદેશ છે. જેનું મનસ્વી રીતે અર્થઘટન કરવામાં આવતું હોય, તાત્કાલિક અસરથી સ્થગિત રાખવા અને સીસી શિડયુલમાં એક તરફી અર્થઘટન કરી ક્રુનું શોષણ કરવામાં આવતું હોય, કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ બાબતોનું વહેલીતકે નિરાકરણ લાવવા એસ.ટી. વર્કસ ફેડરેશન (મજૂર મહાજન), એસ.ટી. કર્મચારી મંડળ અને એસ.ટી. ભારતીય મઝદૂર સંઘ (બીએમએસ)ની બનેલી સંકલન સમિતિએ માંગણી સાથે વિભાગીય નિયામકને લેખિતમાં રજૂઆત કરી છે.