કાલે શહેરમાં કંસારાના પ્રભાવિત વિસ્તારમાં કોંગ્રેસની પદયાત્રા
- કંસારાના નામે 25 વર્ષથી લોકોને ગેરમાર્ગે દોરતી ભાજપ
- અડધા ભાવનગરને અસર કરતો કંસારાનો પ્રશ્ન: ગંદકી, મચ્છરનો અસહ્ય ત્રાસ: શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા
ભાવનગર, તા. 25 જાન્યુઆરી 2020, શનિવાર
ભાવનગર શહેરમાં કંસારાના પ્રભાવિત વિસ્તારમાં આગામી સોમવારે કોંગ્રેસ પદયાત્રા કાઢશે અને ભાજપનો વિરોધ કરશે. કંસારાના પ્રશ્ને ભાજપ લોકોને વર્ષોથી ગેરમાર્ગે દોરે છે પરંતુ પરિણામલક્ષી કામગીરી કરતુ નથી. કંસારા નજીક રહેતા લોકો ગંદકી, મચ્છરથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે છતાં ભાજપ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેમ કોંગ્રેસે જણાવેલ છે.
શહેરના જુના તળાજા જકાતનાકા, દુઃખીશ્યામ બાપા સર્કલથી આગામી તા. ર૭ જાન્યુઆરીને સોમવારે સવારે ૧૧ કલાકે કંસારાના પ્રભાવિત વિસ્તારમાં કંસારા પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામાં આવેલ છે. કંસારા શુધ્ધિકરણની વાતો વર્ષોથી ભાજપ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા રપ વર્ષથી ભાવનગર મહાપાલિકામાં ભાજપનુ શાસન છે અને દરેક ચૂંટણીમાં કંસારાના નામે અનેક વખત ભાવનગરની પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે. કંસારાનો પ્રશ્ન અડધા ભાવનગરને અસર કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. ગંદકી થતા મચ્છરનો ત્રાસ અસહ્ય છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ ભાજપ દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી.
કંસારાના પ્રશ્ને કોંગ્રેસ પદયાત્રા કાઢી ભાજપનો વિરોધ કરશે. આ પદયાત્રામાં કોંગ્રેસ અગ્રણી-કાર્યકર, નગરસેવકો, ફ્રન્ટલ ઓર્ગેનાઈજના પ્રમુખો, કાર્યકરો સહિતના જોડાશે. આ પદયાત્રામાં જોડાવવા ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિરોધપક્ષના નેતાએ અનુરોધ કર્યો છે.