ભાવનગરમાં કંસારાના પ્રભાવિત વિસ્તારમાં કોંગ્રેસની પદયાત્રા
- કંસારા શુધ્ધિકરણના પ્રશ્ને કોંગ્રેસ મેદાનમાં, ભાજપ નિષ્ક્રીય
- કંસારાના પગલે ગંદકી, મચ્છરનો ત્રાસ: શહેરીજનો પરેશાન
ભાવનગર, તા. 27 જાન્યુઆરી 2020, સોમવાર
ભાવનગર શહેરમાં કંસારાના પ્રભાવિત વિસ્તારમાં આજે સોમવારે કોંગ્રેસ પદયાત્રા કાઢી હતી અને ભાજપનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કંસારાના પ્રશ્ને ભાજપ લોકોને વર્ષોથી ગેરમાર્ગે દોરે છે પરંતુ પરિણામલક્ષી કામગીરી કરતુ નથી. કંસારા નજીક રહેતા લોકો ગંદકી, મચ્છરથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે છતાં ભાજપ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
શહેરના જુના તળાજા જકાતનાકા, દુઃખીશ્યામ બાપા સર્કલથી આજે સોમવારે સવારે કંસારાના પ્રભાવિત વિસ્તારમાં કંસારા પ્રશ્ને કોંગ્રેસ દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી-કાર્યકર જોડાયા હતાં. કંસારા શુધ્ધિકરણની વાતો વર્ષોથી ભાજપ દ્વારા કરવામાં આવે છે.
છેલ્લા રપ વર્ષથી ભાવનગર મહાપાલિકામાં ભાજપનુ શાસન છે અને દરેક ચૂંટણીમાં કંસારાના નામે અનેક વખત ભાવનગરની પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવેલ છે. કંસારાનો પ્રશ્ન અડધા ભાવનગરને અસર કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. ગંદકી થતા મચ્છરનો ત્રાસ અસહ્ય છે તેથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પરંતુ ભાજપ દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી તેમ કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યુ હતું.
કંસારાના પ્રશ્ને કોંગ્રેસ પદયાત્રા કાઢી ભાજપનો વિરોધ કર્યો હતો. આ પદયાત્રામાં કોંગ્રેસ અગ્રણી-કાર્યકર, નગરસેવકો, ફ્રન્ટલ ઓર્ગેનાઈજના પ્રમુખો, કાર્યકરો સહિતના જોડાયા હતાં. કંસારા શુધ્ધિકરણના પ્રશ્ને કોંગ્રેસ મેદાનમાં આવી છે અને ભાજપ નિષ્ક્રીય જણાય રહી છે.