ભાવનગર ડિવીઝન થઇને દોડતી 5 જોડી ટ્રેનના કોચમાં ફેરફાર કરાયા
Updated: Jan 25th, 2023
- મુસાફરોની માંગણી અને સુવિધાને ધ્યાને લઇ
- રાજકોટ-જેતલસર પર પ્રથમ વખત ઇલેક્ટ્રીક લોકોમોટિવ નિરીક્ષણ પૂર્ણ
મુસાફરોની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ ભાવનગર ડિવીઝનની ૫ જોડી ટ્રેનોના કોચની સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવીઝનના સિનીયર ડીસીએમના જણાવ્યા મુજબ ટ્રેન નં.૧૯૩૧૯-૧૯૩૨૦ વેરાવળ-ઇન્દોર-વેરાવળ એક્સપ્રેસમાં એક વધારાના થર્ડ એસી કોચ વધારવામાં આવશે તેમજ જનરલ કોચની જગ્યાએ એક વધારાનો સ્લીપર કોચ પણ લગાડવામાં આવશે. આ ફેરફાર ઇન્દોરથી ૭-૨ અને વેરાવળથી ૮-૨થી લાગુ થશે.
ટ્રેન નં.૨૦૯૬૬-૨૦૯૬૫ ભાવનગર-સાબરમતી-ભાવનગર સુપરફાસ્ટ ઇન્ટરસિટી એક્સપ્રેસને એક થર્ડ એસી કોચને બદલે એક એસી ચેર કાર દ્વારા બદલવામાં આવશે. આ ફેરફાર ભાવનગર અને સાબરમતી બંને સ્ટેશનો પરથી ૩-૨ થી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૯૦-૨૨૯૮૯ મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૧૦-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૧૧-૩ થી મહુવાથી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૯૪-૨૨૯૯૩ મહુવા-બાંદ્રામાં સામાન્ય કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૮-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૯-૩ થી મહુવાથી લાગુ થશે. ટ્રેન નં.૨૨૯૩૬-૨૨૯૩૫ પાલિતાણા-બાંદ્રામાં જનરલ કોચને બદલે ફર્સ્ટ કમ સેકન્ડ એસી કોચ લગાડવામાં આવશે. આ ફેરફાર ૭-૩ થી બાંદ્રા ટર્મિનસથી અને ૮-૩ થી પાલિતાણાથી લાગુ થશે. મુસાફરો આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી માટે યાત્રિઓ વેબસાઇટની પણ મુલાકાત લઇ શકે છે.
અમદાવાદ યુનિટના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન વિભાગે ભાવનગર અને રાજકોટ ડિવીઝનના રાજકોટ-જેતલસર સેક્શનને ચાલુ કરીને એક ઉપલબ્ધિ હાંસલ કર્યું છે. મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર, રેલ્વે ઇલેક્ટ્રીફિકેશન-અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શનમાં ગુડ્સ અને પેસેન્જર ટ્રેનોના ઉદ્દઘાટન માટે જરૂરી પીસીઇઇના સફળ નિરીક્ષણ પછી ઉત્તમ કાર્ય પ્રાપ્ત થયું છે.