રાજકોટમાં ચાઈનીઝ દોરા, તુક્કલ વેચતા બે ઝબ્બે
- નફાની લ્હાયમાં પ્રતિબંધ નેવે મુકતા વિક્રેતાઓ
- રાજીવનગર બાદ નહેરુનગરમાં પોલીસનો દરોડો,વધુ ૩૯૦ નંગ તુક્કલ કબજે કરાયા
રાજકોટ, તા.12 જાન્યુઆરી 2019, શનિવાર
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ નિમિત્તે ચાઈનીઝ દોરી, તુક્કલ વગેરે જોખમી હોય તેના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે છતાં નફાની અને કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ તેનું વેચાણ કરતા રહે છે. આજે પોલીસે વધુ એક સહિત ચોવીસ કલાકમાં બે શખ્સોને આ અંગે ઝડપી લઈને ચાઈનીઝ માલ કબજે કર્યો હતો.
શહેર પોલીસે ઠેરઠેર ચેકીંગ હાથ ધર્યું છે જે અન્વયે આજે નહેરુનગર, રામેશ્વર વાડી, એંસી ફૂટના રોડ પર પટેલ ચોક પાસે જાહેરમાં મંડપ નાંખીને વેચાણ કરતા ધર્મેશ હસમુખભાઈ રાણપરીયા (ઉ.૩૦ રહે.સુભાષનગર શેરી નં.૫, હરિ ધવા રોડ, રાજકોટ) પોલીસની ઝપટે ચડી જતા તેની પાસેથી રૂ।.૭૮૦૦ની કિંમતના ૩૯૦ તુક્કલ કબજે કરાયા છે અને આરોપી ધર્મેશ સામે જી.પી.એક્ટની ક.૧૩૧, ૧૧૭ મૂજબ ભક્તિનગર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ પહેલા ગત રાત્રિના રાજીવનગરમાં નાસીરખાન મહમદખાન પઠાણ પણ જાહેરનામાના ભંગ બદલ રૂ।.૭૧૦૦ની કિંમતના ૧૧૫ તુક્કલ અને ૧૬ ચાઈનીઝ દોરીની ફીરકી સાથે મળીૂ આવતા ગુનો નોંધાયો હતો.
દરમિયાન મનપાના મૅયર સહિતના પદાધિકારીઓએ વેપારીઓને ચાઈનીઝ દોરી તુક્કલો નહીં વેચવા અને લોકોને આવો માલ નહીં ખરીદવા માટે અપીલ કરી છે.