Get The App

અઢારેય વર્ણના કુળદેવી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવની આજે ઉજવણી

Updated: Feb 17th, 2024

GS TEAM


Google News
Google News
અઢારેય વર્ણના કુળદેવી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવની આજે ઉજવણી 1 - image


- માઈ મંદિરોમાં જયઘોષ ગૂંજી ઉઠશે

- ભાવનગર શહેર ઉપરાંત રાજપરા ખોડિયાર મંદિરે સવારથી જ શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે : રાત્રે ભવ્ય લોકડાયરો

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ અઢારેય વર્ણના કુળદેવી જગત જનની જોગમાયા આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિની મહા સુદ ૮ આવતીકાલ તા.૧૭ ફેબુ્રઆરીના રોજ પરંપરાગત રીતે ભાવ અને ભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ અવસરને અનુલક્ષીને ખોડિયાર મંદિરમાં વિશેષ શણગારના દર્શન, ત્રણેય પહોરની આરતી, પૂજન અર્ચન અને યજ્ઞા તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.આવતીકાલે સવારથી જ માઈભકતો માઈમંદિરે દર્શનાર્થે ઉમટી પડશે.

આવતીકાલ તા.૧૭ને શનિવારે ભાવનગર શહેરના સંસ્કાર મંડળ નજીક આવેલા ખાંડીયા કુવા ખોડિયાર માતાજીના મંદિરેથી સવારે ૮ કલાકે માતાજીની શોભાયાત્રા નીકળશે. સવારે ૯-૧૫ કલાકે હોમાત્મક નવચંડી યજ્ઞાનો પ્રારંભ થશે. સવારે ૧૦-૧૫ કલાકે ધ્વજદંડ આરોહ સ્થાપન થશે. સાંજે ૪-૩૦ કલાકે શ્રીફળ હોમાશે બાદ સાંજે ૭-૧૫ કલાકથી મહાપ્રસાદ રાખેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાવનગરના આ પૌરાણિક અને શ્રધ્ધાસ્થાનકમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટતા હોય છે જયારે સિહોર તાલુકાના રાજપરા ખાતે આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે જન્મ જયંતિની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.મહંત પરિવાર દ્વારા આ પ્રસંગે સવારે ૫ કલાકે મંગળા આરતી, સવારે ૧૧ કલાકે બાવન ગજની ધજા મંદિરના શીખર પર ચડાવવામાં આવશે. સવારે ૧૧ કલાકે કુંવારીકા પૂજન, સાંજે ૪ કલાકે અન્નકુટ દર્શન, સવારથી સર્વે ભાવિકોને લાપસીના મહાપ્રસાદનું વિતરણ કરાશે. સવારે  અત્રે એ નોંધનીય છે કે, દર વર્ષે રાજપરા ખોડિયાર માતાજીના મંદિરે કારતક માસમાં લાભ પાંચમના મહિમાવંતા મહાપર્વથી પૂનમ સુધી, વર્ષની ચારેય નવરાત્રિ દરમિયાન તેમજ દર શનિવાર, રવિવાર તેમજ ધાર્મિક તહેવારો અને રજાના દિવસોમાં ૬૫ હજારથી વધુ આબાલવૃધ્ધ માઈભકતો દર્શનાર્થે ઉમટતા હોય છે. તહેવારોના દિવસોમાં ૧૫૦ ઉપરાંત સંઘો દ્વારા વાજતે-ગાજતે માતાજીને ધજા ચડાવતા હોય છે અને લાપસીની પ્રસાદી ધરાવાય છે. અત્રે દર રવિવારે અંદાજે ૧૬ હજારથી વધુ ભાવિકો દર્શનાર્થે આવે છે અને જય માડી ખોડિયાર જય જય ખોડિયારનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠશે. જ્યારે ભાવનગર રાજવી પરિવાર દ્વારા આવતીકાલ શનિવારે રાત્રે ૯ કલાકે ખોડિયાર મંદિરના પાર્કિંગ ગ્રાઉન્ડમાં લોકડાયરો યોજાશે જેમાં નામી-અનામી કલાકારો હાજર રહેશે.

વર્ષમાં ફકત એક જ વાર બપોરે મહાઆરતી થશે

રાજપરા ખાતેના આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં સ્થાપના કાળથી આજદિન સુધી વર્ષ દરમિયાન ફકત એક જ વાર ખોડિયાર માતાજીના જન્મ જયંતિ મહોત્સવ પર્વે જ બપોરે ૧૨ કલાકે મહાઆરતી કરવામાં આવે છે. 

Tags :