Get The App

શિપબ્રેકરો ઉપર હુમલાના પગલે ઉદ્યોગપતિઓમાં રોષ, વિરાટ રેલી

Updated: Nov 14th, 2019

GS TEAM

Google News
Google News
શિપબ્રેકરો ઉપર હુમલાના પગલે ઉદ્યોગપતિઓમાં રોષ, વિરાટ રેલી 1 - image

ભાવનગર, તા. 14 નવેમ્બર 2019, ગુરૂવાર

ભાવનગર જિલ્લાના બુધેલ નજીક કાર ઓવરટેકીંગના મામલે શખસોએ ઉશ્કેરાઇ ત્રણ શિપ બ્રેકરો સહિત ચાર પર હુમલો કરી માર મારતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. ઘટનાના વિરોધમાં અલંગ બંધના એલાનના પગલે અલંગ, તેની સાથે સંકળાયેલા તમામ વ્યવસાયો અને ઘટનાને વખોડી અસંખ્ય એસો.એ ટેકો જાહેર કરી પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતાં.

જ્યારે હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતાં. આજે શિપ બ્રેકીંગ એસો.ની કચેરીએ મોટી સંખ્યામાં વેપારીઓએ એકત્રિત થઇ હાઇપ્રોફાઇલ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી અસામાજિક તત્વો વેપારીઓ, ઉદ્યોગકારોને ધાક-ધમકી આપી માર મારી ખંડણી ઉઘરાવી રહ્યા હોવાની રાવ વ્યક્ત કરી આવેદન પાઠવ્યું હતું. ત્યારબાદ કલેક્ટર, રેન્જ આઇજી અને એસપીએ ખાતરી આપતા મામલો થાળે પડયો હતો અને આવતીકાલથી અલંગ સહિતના તમામ વ્યવસાયો રાબેતા મુજબ શરૂ કરવાનું એલાન કર્યું હતું.

ઘટનાની જાણવા મળતી સઘળી વિગતો અનુસાર ભાવનગરથી વ્યવસાય અર્થે અલંગ જતા શિપ બ્રેકરની કારને બુધેલ ચોકડી પાસે ઓવરટેકીંગના મામલે આંતરી શિપબ્રેકર બટુકભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ, ડ્રાઇવર અને મુકાદમને માર મારી લૂંટ ચલાવ્યા બાદ અન્ય શિપબ્રેકર જીવરાજભાઇ પટેલને માર મારતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો અને મોટી સંખ્યામાં શિપબ્રેકરો, વેપારીઓ કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતાં. જ્યારે ઘટનાને વખોડી કાઢી મોડી રાત્રિ સુધી કલેક્ટર કચેરીએ પડાવ નાખ્યો હતો.

આજે ગુરૂવારે શિપબ્રેકરો પર થયેલા હુમલાના વિરોધમાં રૂપાણી સર્કલ સ્થિત શિપબ્રેકર એસો.ની કચેરીએ શિપબ્રેકરો, ઉદ્યોગકારો, નાના-મોટા વેપારીઓ અને તમામ એસો.ના હોદેદારોએ એકઠા થઇ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદન પાઠવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બુધેલ ગામના સરપંચ ભવાનીસિંહ મોરી, પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના મળતવીયાઓ ભાવનગર, બુધેલ, મામસા, અલંગ વગેરે સ્થળોએ ચાલતા ઉદ્યોગકારોને ત્રાસ આપી રહ્યાં છે.

અવાર-નવાર મારજુટ, ધાકધમકી આપી ભયનો માહોલ બનાવી છાશવારે સમાજની સુલેહ શાંતિને રીતસર બાનમાં લે છે. ફરિયાદી બટુકભાઇ પટેલને પણ માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી ફરિયાદ ન કરવા અથવા કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી રહ્યાં છે. આવારા અને અસામાજિક તત્વો વારંવાર ભાવનગરના વેપારી-ઉદ્યોગકારોને ધાક-ધમકી આપી માર મારી ખંડણી ઉઘરાવે છે ત્યારે શિપબ્રેકરો પર હુમલો કરનાર ગુનેગારોને ઝબ્બે કરી કડકમાં કડક સજા નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજે સવારથી જ ભાવનગરના મોટાભાગના ઉદ્યોગકારો અને તેની સાથે સંકળાયેલા લોકોએ કલેક્ટર કચેરીએ ધરણા હાથ ધર્યા હતાં જેને લઇ કલેક્ટર કચેરી ચર્ચામાં રહેતી જોવા મળી હતી. રેલી સ્વરૂપે આવેલા ઉદ્યોગકારો પૈકીના બે વેપારીઓએ રીતસર રોડ પર સુઇ જઇ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

ઉદ્યોગકારોના આવેદન અને તેઓની માગણી બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ, રેન્જ આઇજી યાદવ અને એસપી રાઠૌરએ આગામી 20 દિવસમાં તમામ પરિસ્થિતિનો તાગ મેળવી અસામાજિક તત્વો પર કડક હાથે કામ લેવામાં આવશે તેવી ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડયો હતો અને આવતીકાલથી અલંગ તેને સંલગ્ન તમામ વ્યવસાયો અને ટેકો જાહેર કરનાર તમામ એસો.એ પોતાના ધંધા-રોજગાર ખોલી નાખવાનું એલાન કર્યું હતું પરંતુ આવતીકાલે સવારથી કલેક્ટર કચેરી બહાર શાંતિપૂર્ણ રીતે સાંજ સુધી ધરણા ધરવામાં આવશે.

પોલીસના ડર વિના ગુંડાગીરીનું લાયસન્સ મળ્યું હોય તેમ શખસો વર્તી રહ્યાં છે

હુમલાની ઘટનાને વખોડી કાઢી શીપબ્રેકરો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓએ જીલ્લા કલેકટર સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો અને ખુલ્લેઆમ ગુંડાગીરી, લુખ્ખાગીરી કરતા શખસોને સરકાર અને પોલીસનો કોઈપણ ડર ન હોય તે રીતે ગુંડાગીરીનું લાયસન્સ મળ્યું હોય તે રીતે વર્તી રહ્યાં છે.

અસામાજિક તત્ત્વોનો બુધેલ, અધેવાડા, કોબડી, મામસા, માલપર અને આજુબાજુના અન્ય ગામડાઓમાં ખોફ રહ્યો છે. લોકોની સામાન્ય જિંદગી અને નાના વેપારને તાબે કરી રાખ્યા છે. જેને લઈ ગામડાઓની સામાન્ય જનજીવન માટે પોલીસ રક્ષણ આપવા માંગ સાથે આવારા, અસામાજિક અને રંજાડીતત્ત્વોને ઝબ્બે કરી કડકમાં કડક સજા કરવા માંગણી કરી છે. 

અલંગ શિપીંગ યાર્ડના માર્ગ ઉપર 24 કલાક માટે બંદોબસ્ત ફાળવો

વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડો ભાવનગરનો હાર્દસમો ઉદ્યોગ રહ્યો છે. ભાવનગર તેમજ અન્ય સીટીમાંથી આવતા વેપારીઓ, ઉદ્યોગપતિઓને અલંગ સુધી પહોંચવા માટે માત્ર એક જ માર્ગ છે. આ માર્ગ પર દિન-પ્રતિદિન આવારા તત્ત્વોની રંજાડના પગલે વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. અલંગ અને સોસિયા માટે તળાજા રોડ પર દિવસ અને રાત 24 કલાક માટે ચુસ્ત અને સઘન સલામતીનો તાત્કાલીક બંદોબસ્ત ફાળવવા વેપારીઓએ કલેકટર સમક્ષ માગ કરી છે.

શીપબ્રેકરો પર હુમલાના મામલે SITની રચના

ભાવનગર જીલ્લાના બુધેલ ચોકડી નજીક ગઈકાલે બપોરે શીપ બ્રેકરો પર હુમલો કરી માર મરાતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. ભારે રોષસાથે ઉદ્યોગપતિઓ વેપારીઓ કલેકટર સમક્ષ દોડી ગયા હતા. ગુંડાગીરીને વખોડી કાઢીને શખસો સામે પાસાનું શસ્ત્ર ઉગામવા માંગ સાથે ધરણા કર્યા હતા. ઉક્ત ચકચારી ઘટનાને લઈ ડીવાય.એસ.પી.ની આગેવાનીમાં SITની રચના કરવામાં આવી છે.

જેની સંપૂર્ણ તપાસ લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. હાથ ધરશે અને જીલ્લા પોલીસ વડાનું મોનીટરીંગ રહેશે તેમ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ઉંડાણ પૂર્વક અને વૈજ્ઞાાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવશે. કડક હાથે કામ લેવાશે. વેપારીઓ, આગેવાનોને કોઈ હેરાનગતી હશે તેવા ગુંડાતત્ત્વોને છોડવામાં નહીં આવે. સમગ્ર મામલે લૂંટની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમાજમાં એક દાખલો બેસે તેવા પ્રયાસો હાથ ધરશે તેમ તેઓએ જણાવ્યું હતું.

હુમલા-લૂટની ઘટનાને વખોડી અન્ય એસો.એ ટેકો આપી બંધમાં જોડાયા

બુધેલ નજીક શીપબ્રેકરો પર હુમલો અને લૂંટની ઘટનાના ઘેરા પડઘા ડયા છે ત્યારે આજે અલંગ અને તેની સાથે સંકળાયેલ તમામ વ્યવસાયકારીઓએ બંધ રાખ્યું છે. હુમલાની ઘટનાને વખોડી ભાવનગર સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, શીપ રીસાયક્લીંગ એસો. ઈન્ડસ્ટ્રીઝ સિહોર સ્ટીલ રી-રોલીંગ મીલ એસ. ભાવનગર ઈન્ડકશન ફગ્નેશ એસો. શીપ બીલ્ડીંગ એસો. સ્ટીમ શીપ એજન્ટ એસો., શીપ સ્કેર્પ્ટ મર્ચન્ટ એસો. સબ મશીનરી એસો., સ્કેરપ બ્રોકર એસો. અલંગ સ્ક્રેપ મર્ચન્ટ એાસો. અલંગ પ્રોફાઈલ કટીંગ એસો ઈન્ડસ્ટ્રીઝયલ ગેસ એસો., અલંગ લેબર એસો. અલંગ સોસિયા શીપ ઓઈલ એસો., ચિત્રા જીઆઈ.ડી.સી. એસો., ઓક્સીજન ઈન્ડ. ઈસો., વરતેજ રોલીંગ મીલ એસો., મામસા ઈન્ડ. એસો., અલંગ ટ્રાન્સપોર્ટ, ભાવનગર ટ્રાન્સપોર્ટ એસો., ડાયમંડ એસો., મશીનરી એસો. બિલ્ડીંગ મટીરીયલ એસો. અલંગ નોન ફેરસ એસો., જ્વેલરી એસો., થાઉન્ડરી એસો., વેસ્ટ ઓઈલ એસો., ઈન્ડીયન મેડીકલ એસો., ડાયમંડ મેન્યુ. ફેચકરીંગ એસો. સહિતના એસો.એ ટેકો આપી ધંધા રોજગારથી અળગતા રહી બંધ પાળ્યો હતો.

શિપબ્રેકર પર હુમલાની ફરિયાદ અનુસંધાને એક શખસની ધરપકડ

ભાવનગરના તળાજા રોડ પર આવેલ બુધેલ ચોકડી નજીક ત્રણ શિપબ્રેકરો અને ડ્રાઇવરને માર મારી શખસોએ લૂંટ ચલાવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે મામલે વરતેજ પોલીસ મથકમાં વરતેજ ગામના સરપંચ, પૂર્વ સરપંચ સહિત 11 શખસો સામે લૂંટ સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો જે ગુનાના કામે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી ગત મોડી રાત્રિના 2.00 કલાકના અરસા દરમિયાન મહેશ નરશીભાઇ જેતાણી (રે.બુધેલ)ની ધરપકડ કરી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Tags :