ભાવનગર એસ.એસ.સી. બોર્ડનું પરિણામ 69.70 ટકા
ગત વર્ષની તુલનામાં ૦.૫૬ ટકાનો થયો ઘટાડો
૩૦૦૦૫ પૈકી ૨૯૭૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં એ-૧ ગ્રેડમાં ૪૫૮ વિદ્યાર્થીઓએ મેદાન માર્યુ, બોટાદ જિલ્લાનું ૭૩.૩૯ ટકા પરિણામ
ભાવનગર: ગુજરાત બોર્ડ દ્વારા ગત તા.૧૪ માર્ચના રોજથી ભાવનગર સહિત રાજયભરમાં એસ.એસ.સી.ની વાર્ષિક પરીક્ષા શાંતિમય રીતે લેવાઈ હતી. જેનું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારે ઓનલાઈન સાઈટ પર તેમજ વોટસએપના માધ્યમથી જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં બોર્ડનું પરિણામ ૬૪.૬૨ ટકા આવેલ છે. તો ભાવનગર જિલ્લાનું ૬૯.૭૦ ટકા પરિણામ આવેલ છે. જે ગત વર્ષની તુલનામાં ૧.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. જયારે એ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓમાં પણ ગત વર્ષની તુલનામાં ૫૦ ટકાથી વધુ છાત્રોનો ઘટાડો થયો છે. જયારે બોટાદ જિલ્લાનું ૭૩.૩૯ ટકા પરિણામ જાહેર થયુ છે.
માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.૧૪,૩ થી ધોરણ ૧૦ ની પરીક્ષા સી.સી. ટી.વી. કેમેરા સહિતની ચુસ્ત વ્યવસ્થા વચ્ચે યોજાઈ હતી. જે પરીક્ષાનું પરિણામ ઓનલાઈન સાઈટ તેમજ વોટસએપના માધ્યમથી આજે જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં રાજયના કુલ ૭૩૪૮૯૮ નીયમીત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું કુલ ૬૪.૬૨ ટકા પરિણામ જાહેર થયેલ છે. જયારે ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૩૦૦૦૫ પૈકી૨૯૭૯૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓના પરિણામમાં એ-૧ ગ્રેડમાં ૪૫૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ છે. જયારે એ-૨ ગ્રેડમાં ૨૬૯૨ વિદ્યાર્થીઓ, બી-૧ માં ૪૩૪૮ અને બી-૨માં ૫૬૫૦ ,સી-૧માં ૫૨૮૪ સી-૨માં ૨૨૨૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે જયારે ઈકયુસીમાં ૨૦૭૬૩ વિદ્યાર્થીઓ આવેલ છે. આમ, ધો.૧૦ નું ભાવનગર જિલ્લાનું સરેરાશ પરિણામ ૬૯.૭૦ ટકા થવા પામ્યુ છે. સમગ્ર ગુજરાતમાં ૨૯૪ પૈકી ૨૭૨ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યુ છે. એક તબકકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનું પરિણામ ૦.૫૬ ટકા ઘટયુ છે. જયારે બોટાદ જિલ્લાનું ધો.૧૦ નું જાહેર થયેલ પરિણામ ગત વર્ષે આવેલા ૬૩.૮૪ ટકાની સામે ચાલુ વર્ષે ૯.૫૪ ટકા વધતા એકંદરે ૭૩.૩૯ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જયારે ગ્રેડેશનમાં બોટાદમાં એ-૧ ગ્રેડ મેળવનાર ૭૮ વિદ્યાર્થીઓ રહ્યા જયારે એ-૨મા ૫૭૬, બી-૧ ગ્રેડમાં ૧૧૯૫ બી-૨ ગ્રેડમાં ૧૬૬૫, સી-૧ ગ્રેડમાં ૧૬૮૮ અને સી-૨ગ્રેડમાં ૭૧૬ તો ઈકયુસીમાં ૫૯૪૭ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.