Get The App

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, 36 માસનું કામ 5 વર્ષે પણ અધૂરૂં

Updated: Nov 20th, 2021

GS TEAM


Google News
Google News
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, 36 માસનું કામ 5 વર્ષે પણ અધૂરૂં 1 - image


- રાજ્યમાં 2 મુખ્યમંત્રી બદલાયા પણ નેશનલ હાઈવેનું શિકલ ન બદલાઈ

- જનતાના પૈસા બનતા રોડ પર જનતા પાસે જ ટોલ ટેક્સના નામે ફદિયાના ઉઘરાણાં છતાં ધૂળિયા રોડ પર વાહન ચલાવવા મજબૂરી

રાજુલા : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેને ૩૬ માસમાં બનાવવાની ગુલબાંગો ફૂંકાઈ હતી. પરંતુ અહીં પણ માત્ર ઠાલા વચનોની લ્હાણી સિવાય જનતાને બીજું કઈ મળ્યું નથી. જે કામ ૩૬ માસમાં પૂર્ણ કરવાનું હતું. તે કામને પાંચ વર્ષ થવા છતાં પણ પૂરૂ કરવાની વાત તો દૂર રહી, લોકોને રોડની બદતર હાલતના માનસિક ત્રાસમાંથી મુક્તિ આપવામાં પણ સરકારી તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ રસ નથી.

ભાવનગર-સોમનાથ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાના કારણે રાજુલાની પ્રજા તૌબા પોકારી ગઈ છે. ૨૭૦ કિ.મી.ના આ નેશનલ હાઈવેનું  ૫૦ ટકા પણ પૂરૂ થયું નથી. મંથરગતિએ ચાલતા કામને કારણે વાહનચાલકો હાડમારી વેઠી રહ્યા છે. નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ હજુ નાના-મોટા નાળા-પુલ બાકી છે. રાજુલાથી ચારનાળાનો ૬ કિ.મી. રોડ તો ગામડાના રસ્તાઓથી પણ બદતર છે, ધૂળિયા રસ્તાને કારણે વાહનો ૨૦ કિ.મી.ની સ્પીડે ચાલી શકતા નથી. સતત ધૂળની ડમરી ઉડતી હોવાને કારણે સામેથી આવતા વાહનો દેખાતા ન હોવાથી વાહનચાલકોને માથે અકસ્માતોનો ભય કાયમ ઉભીને ઉભો જ રહે છે. વળી, ધૂળિયા રસ્તાના કારણે ટ્રાફિકજામની સમસ્યા અવાર-નવાર સર્જાઈ છે. જેના કારણે લોકોના કિંમતી સમય અને ઈંધણનો પણ વ્યય થાય છે. જનતાના પૈસા બનતા રોડ પર જનતા પાસે જ ટોલ ટેક્સના નામે ફદિયાના ઉઘરાણાં છતાં ધૂળિયા રોડ પર વાહન ચલાવવા લોકો મજબૂર બન્યા છે.

અહીંથી સોમનાથ, તુલસીશ્યામ જેવા તિર્થસ્થાનકો અને દીવ-દમણ જેવા પર્યટન સ્થળો આવતા હોવાથી દૈનિક હજારોની સંખ્યામાં લોકોનું આવન-ગમન રહે છે. તેમ છતાં રોડનું કામ વહેલીતકે પૂર્ણ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કઈ રસ જ નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ નિરશતા દાખવી રહી છે. તો માથાના દુખાવારૂપ સમસ્યા હોવા છતાં સ્થાનિક રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી.

ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે સમયે રાજ્યમાં આનંદીબહેન પટેલની સરકાર હતી. ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને હવે ભૂપેન્દ્ર પટેલના હાથમાં રાજ્યની કમાન છે. એટલે કે બે મુખ્યમંત્રી બદલાયા છતાં પણ નેશનલ હાઈવેનું કામ કાચબાની ચાલે જ ચાલી રહ્યું છે, જેના તરફ કોઈ ગંભીરતા દેખાડતું ન હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો છે.

રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી, ટ્રાફિકજામની અવાર-નવાર સર્જાતી સમસ્યા

યુ.પી.માં 3 વર્ષની અંદર 341 કિ.મી.નો રોડ બન્યો

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ પાંચ વર્ષથી ચાલી રહ્યું છે. રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કામ હજુ ક્યારે પૂર્ણ થશે તે તો જવાબદાર અધિકારીઓ પણ કહીં શકતા નથી. ભાવનગર-સમોનાથ નેશનલ હાઈવે ૨૭૦ કિ.મી.નો છે, તેની સામે યુ.પી.માં એક્સપ્રેસ વે ૩૪૧ કિ.મી.નો બનવાનો હતો. તેને માત્ર ત્રણ વર્ષની અંદર જ પૂર્ણ કરી તાજેતરમાં હાઈવેને ખુલ્લો પણ મુકી દેવાયો છે. તેના પરથી પણ જો બોધ લેવામાં આવે તો નાગરિકોને સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે.

ટોલ ટેક્સ વસૂલવા સામે વિરોધનો શૂર ઉભો થયેલો

નેશનલ હાઈવેનું કામ હજુ અડધું પણ ન હતું થયું ત્યાં તો જાણે સરકારને હાઈવે રોડના નામે તિજોરી ભરવાના અભરખા જાગ્યા હોય તેમ દિવાળીના તહેવાર ઉપર જ રાતોરાત કોબડી અને નાગેશ્રી ટોલનાકાને શરૂ કરી દઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દેવાયું હતું. રોડનું કામ અધૂરૂ અને ખખડધજ હાલત છતાં પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવતા નાગરિકોએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે રાજકીય દબાણવશ થોડા સમય માટે ટોલ ટેક્સના ઉઘરાણાં બંધ કરી દેવાયા બાદ ફરી શરૂ કરી દેવાયા છે. જેના કારણે પૂરતી સુવિધા ન હોવા છતાં પણ પૂરો ટોલ ટેક્સ ભરવા માટે જનતા લાચાર બની છે.

4 ફેઈજમાં રોડના કામની વહેંચણી

ભાવનગર-સોમનાથ હાઈવેના કામને ચાર ફેઈજમાં વહેંચવામાં આવ્યું છે અને તેના માટે અલગ-અલગ રકમની ફાળવણી કરાઈ છે. જેમાં ભાવનગરથી તળાજા સુધી ૮૧૯ કરોડ, તળાજાથી મહુવા ૬૪૫ કરોડ, મહુવાથી કાગવદર ૪૫૦ કરોડ અને કાગવદરથી ઉના વચ્ચે નેશનલ હાઈવેના કામ માટે ૪૫૦ કરોડનો ખર્ચ થશે તેમ ભાવનગર સ્થિત નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.

Tags :