ટીડીએસના વિરોધમાં ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડ આજે બંધ
ભાવનગર, તા. 02 સપ્ટેમ્બર 2019, સોમવાર
1લી સપ્ટેમ્બરથી સરકારે એક કરોડના રોકડ બેન્ક વ્યવહાર પર બે ટકા ટીડીએસની જોગવાઈનો નવો નિયમ અમલી કર્યો છે. આ નિયમને કારણે ખેત પેદાશની ખરીદી કરતા વેપારીઓને મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જ્યારે ખેડૂતોને પણ આ નિયમની વિપરીત અસર થઈ શકે તેમ હોય, તેના વિરોધમાં અપાયેલા બે દિવસ યાર્ડ બંધના એલાનના બીજા દિવસે આવતીકાલે ભાવનગર અને મહુવા માર્કેટીંગ યાર્ડ બંધ પાળશે.
યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ એક કરોડ કે તેથી વધું રકમના બેન્કના રોકડ વ્યવહાર ઉપર બે ટકા ટીડીએસ કાપવાનો નવો નિયમથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. આ નવી જોગવાઈના અમલીકરણ પહેલા જ વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રભરના યાર્ડના વેપારીઓએ તેનો વિરોધ દર્શાવી ટીડીએસનો નિયમ તા.01-09થી અમલ થાય છે.
તો જૂના બેન્ક વ્યવહાર ન ગણી 1લી સપ્ટેમ્બરથી જ બેન્કના રોકડ વ્યવહાર ગણવાની માગણી સાથે સોમવાર અને મંગળવારે બંધ પાળવાનું એલાન કર્યું હતું. જેને ભાવનગર જિલ્લાના યાર્ડોએ પણ ટેકો જાહેર કરી આજે સોમવારે સંવત્સરીની રજા અને બંધના એલાન વચ્ચે ભાવનગર અને મહુવા માર્કેટ યાર્ડમાં વેપાર ઠપ રાહ્યા હતા. આવતીકાલે મંગળવારે પણ આ બન્ને યાર્ડમાં બંધ પાળવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.