ભાવનગરના 943 મધ્યાન ભોજન કેન્દ્રના કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે
- ચુંટણી ટાણે છેડાયેલ આંદોલનને સફળતા મળી
- સંચાલક, કુક, હેલ્પરને વિદ્યાર્થી સંખ્યાની કેટેગરી પ્રમાણે 500 થી 1400 સુધીનો વધારો મળશે
શહેર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાન ભોજનના સંચાલકો, કુક અને હેલ્પરોને વર્ષો પૂર્વે નજીવો વધારો કરાયા બાદ અસંખ્ય વાર સંચાલક મંડળો દ્વારા માનદ વેતન વધારા અંગે રજૂઆતો થતી આવી હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે મધ્યાન ભોજનના સંચાલક મંડળ દ્વારા ઉગ્ર રજૂઆત બાદ પુખ્ત વિચારણાના અંતે માનદવેતનમાં વધારો કરવાનું નિશ્ચિત કરાયું હતું.
રાજ્ય સરકારે વધારો મંજૂર કરતા ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના ૯૬ હજાર કર્મચારીના સંઘ અને મજદુર સંઘના હોદ્દેદારોએ ઓર્ડર લઇ સૌ પ્રથમ સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવી અને હોદ્દેદારોએ મોં મીઠું કરી ઉજવણી કરી હતી.
જેમાં ૨૫ વિદ્યાર્થી સુધીના કેન્દ્રો માટે સંચાલક કમ કુકને ૧૪૦૦ને, કુક કમ હેલ્પરને ૫૦૦ અને હેલ્પરને ૭૦૦નો વધારો જાહેર કરાયો છે. તો ૨૬ થી ૧૦૦ સુધીની સંખ્યાવાળા કેન્દ્રો માટે ક્રમશઃ ૧૪૦૦, ૧૧૦૦ અને ૫૦૦ તથા ૧૦૧ થી વધુ વિદ્યાર્થી સુધીના કેન્દ્રો માટે ક્રમશઃ ૧૪૦૦, ૧૧૦૦ તથા મ્યુનિ. કોર્પોરેશન વિસ્તાર માટે સંચાલક કમ કુકને ૧૪૦૦ અને કુક કમ હેલ્પરને ૧૧૦૦નો વધારો કરાયો છે. જે તા.૧-૧૦-૨૨થી લાગુ કરાશે. તંત્રના આ નિર્ણયથી ભાવનગરના ૯૪૩ મધ્યાન ભોજન કેન્દ્રના અંદાજીત ૨૫૦૦ જેટલા કર્મચારીઓને ફાયદો થશે.