ભાવનગર
ભાવનગર મંડળના તમામ પ્રવાસન સ્થાનકોને જોડવા અને પ્રવાસનને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી રેલવેએ ભારત ગૌરવ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમશયલ મેનેજરે જણાવ્યું હતું કે, ભાવનગર રેલવે ડિવિઝન હેઠળના પર્યટન સ્થળો પાલિતાણા, સોમનાથ, દીવ, સાસણ ગીર, જૂનાગઢ અને પોરબંદરને ભારત ગૌરવ ટ્રેન દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડીને ચલાવી શકાશે. દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત ગૌરવ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લોકો દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકશે. ભારત ગૌરવ ટ્રેનની સુવિધા પશ્ચિમ રેલવે અધિકારક્ષેત્ર દ્વારા પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ માટે કોઈપણ ટૂર ઓપરેટર ભારત ગૌરવ ટ્રેનને લીઝ પર લઈ શકશે અને ભાડું જાતે નક્કી કરી શકશે. પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે, અન્ય સેવા પ્રદાતાઓ પણ સરળ પ્રક્રિયા અપનાવીને આ ટ્રેન બુક કરાવી શકે છે. આ સાથે તેના ઓપરેશનલ રૂટ પણ નક્કી કરી શકાય છે. ભારત ગૌરવ ટ્રેનમાં બે ગાર્ડ બ્રેક વાન સહિત ઓછામાં ઓછા ૧૪ અને વધુમાં વધુ ૨૦ કોચ ઓછામાં ઓછા ૨ વર્ષના સમયગાળા માટે બુક કરાવી શકાય છે. ટ્રેન બુકિંગ અને પશ્ચિમ રેલવેની વિશેષ માહિતી માટે મુખ્યાલય ચર્ચગેટનો સંપર્ક કરવા જણાવાયું છે.


