લાભ પાંચમથી નોંધાયેલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાશે
- મેસેજ કે ફોન પર ખેડૂતોને માલ લાવવા સુચના અપાશે
- ભાવનગર, ઘોઘા, તળાજા, પાલિતાણા અને મહુવા, ગારિયાધાર માર્કેટીંગ યાર્ડમાં પ્રક્રિયા થશે
સરકાર દ્રારા તા.૦૯/૧૧(લાભપાંચમ)થી લઘુતમ ટેકાના ભાવે મગફળીની જે ખેડૂતો દ્રારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેની પાસેથી ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવાનું નક્કી કરેલ છે. જે મુજબ ભાવનગર એપીએમસી ખાતે ભાવનગર, ઘોઘા, ઉમરાળા અને વલ્લભીપુર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તળાજા એપીએમસી ખાતે તળાજા તાલુકાના ખેડૂતો, મહુવા એપીએમસી ખાતે મહુવા તાલુકાના અને જેસર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. પાલીતાણા એપીએમસી ખાતે પાલીતાણા અને સિહોર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે. જ્યારે ગારીયાધાર એપીએમસીમાં ગારીયાધાર તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરેલ છે.
ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાવે તે પહેલા દર્શાવેલ પેરામિટર મુજબની મગફળી હોય તો જ ટેકાના ભાવે વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવવા જણાવવામાં આવે છે. જે ખેડૂતો દ્રારા ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમને ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્રારા ઓનલાઇન રજીસ્ટર કરાવેલ મોબાઇલ નંબર પર મેસેજ અથવા ફોન કરી સૂચના આપવામાં આવે તે દિવસે જ મગફળીનો જથ્થો સાફસુફ કર્યા બાદ જ વેચાણ માટે લાવવાનો રહેશે.