Get The App

આજે બગદાણાધામ ખાતે બજરંગદાસ બાપાની 46 મી પુણ્યતિથિની ઉજવણી

Updated: Jan 10th, 2023

GS TEAM


Google News
Google News
આજે બગદાણાધામ ખાતે બજરંગદાસ બાપાની 46 મી પુણ્યતિથિની ઉજવણી 1 - image


- ભાવનગર જિલ્લાના બગદાણામાં બાપા સીતારામનો નાદ ગુંજી ઉઠશે

- આરતી, મહાપ્રસાદ સહિતના આયોજન, બગદાણામાં ભાવનગર સહિત રાજ્યભરમાંથી આશરે દોઢ લાખ ભાવીક ભક્તો ઉમટી પડશે : 167 ગામના 7 હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે  

ભાવનગર : સંત પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આવતીકાલે બુધવારે બાપાની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવવાનું શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગુરુઆશ્રમ ખાતે ભાવિક ભક્તજનોમાં ભારે ઉત્સાહ્મપુર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. 

તીર્થરાજ બગદાણા ગામ ખાતે બજરંગદાસ બાપાની ૪૬ પુણ્યતિથિ હોય સદગુરુ દેવના ચરણોમાં શીશ નમાવવા આશરે દોઢ લાખ ભાવિક ભાઈઓ-બહેનો ગુરુઆશ્રમ ખાતે ઉમટી પડશે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકોની હાજરીમાં ગુરૂઆશ્રમ ખાતે આવતીકાલે બુધવારે વહેલી સવારના ૫ વાગ્યાથી મંગળા આરતી સાથે ધર્મમય કાર્યક્રમોમાં સૌ જોડાશે. સમગ્ર મહોત્સવની વ્યવસ્થા માટે સરકારી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ટ્રસ્ટી મંડળ, કાર્યકરોની બેઠક મળી હતી, જેમાં કાર્ય સંકલન સાધવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જોડાનાર સૌ ભક્તજનો ભાવિકોની તમામ વ્યવસ્થાઓ અને પહોંચી વળવા સ્વયંસેવકો ખડે પગે સેવા કરશે. અહી મહોત્સવ નિમિત્તે ૧૬૭ ગામોના આશરે ૫,૦૦૦ ભાઈઓ અહીં દિવસ અને રાત્રીના નિરંતર સેવા બજાવશે, જ્યારે ૬૩ ગામોમાંથી આવેલા બે હજાર બહેનો દિવસ દરમિયાન સેવા બજાવશે. અહી પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંધોબસ્ત રહેશે. કાર્યક્રમમો મુજબ મંગળા આરતી, ધ્વજ રોહન, ગુરૂ પૂજન થયા બાદ સવારના ૧૦ કલાકથી ભોજન પ્રસાદ વિતરણ શરૂ થશે.

રસોડા વિભાગમાં ૧૫ હજાર કિલો લાડવા, ૭૦૦૦ કિલો ગાંઠિયા, ૪૦૦૦ કિલો મોહનથાળ, ૩૦૦૦ કિલો તુવેર દાળ, ૫૦૦૦ કિલો ભાત, ૧૨,૦૦૦ કિલો શાકભાજી તેમજ ૧૫૦૦૦ કિલો રોટલીના લોટ સાથેનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હોવાનું ભોજનાલય વિભાગમાંથી જાણવા મળ્યું હતું. પૂ.બાપાના પુણ્યતિથિ મહોત્સવમાં સામેલ થવા બગદાણા ધામ ખાતે પદયાત્રીઓ સહિત સૌ યાત્રાળુઓ વહેલી સવારથી જ સામેલ થઈને ધન્યતા અનુભવશે. બજરંગદાસ બાપાની તપોભૂમિ ગુરુઆશ્રમ બગદાણા ખાતે બુધવારના રોજ ધામધૂમથી ૪૬મી પુણ્યતિથિ ઉજવાય રહી છે ત્યારે પુણ્યતિથિ મહોત્સવની પૂર્વ સંધ્યાએ નૂતન મંદિર સહિત મંદિર પરિસરને તેમજ સમગ્ર ગુરૂઆશ્રમને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. મંગળવાર સાંજની સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો જોડાયા હતાં. પુણ્યતિથિ મહોત્સવને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ભકતજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 

શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પુણ્યતિથિ ઉજવાશે 

ભાવનગર શહેર અને જિલ્લામાં આવતીકાલે બુધવારે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મંદિર, મઢુલી વગેરે સ્થળે આરતી, પ્રસાદ, ભજન સહિતના આયોજનો કરવામાં આવેલ છે. મઢુલીઓને સુંદર શણગાર કરવામાં આવ્યો છે. શહેર અને જિલ્લામાં બાપાનો નાદ ગુંજી ઉઠશે. 


Tags :