Gujarat

ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનો કાર્યક્રમ જાહેર

By GS Team
22 Nov 20212 mins read
This article was originally published on 22 Nov 2021
ધો.9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટીનો કાર્યક્રમ જાહેર

- ઓએમઆર અને માઇનસ પદ્ધતિ સાથે

- આગામી 6 ડિસેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરાશે : ધો.9 માં શહેર-જિલ્લાના 40 હજાર વિદ્યાર્થી

ભાવનગર : ધો.૯ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટી યોજાય છે. ચાલુ વર્ષે આ કસોટીના ફોર્મ આગામી તા.૬-૧૨ થી ઓનલાઇન ભરી શકાશે જે અંગેનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.

ભાવનગર શહેર-જિલ્લાની સરકારી, અનુદાનિત, ખાનગી માધ્યમિક શાળાઓના ધો.૯ના ૩૯૯૯૬ વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા આગામી તા.૭-૨ના રોજ પ્રખરતા શોધ કસોટી જાહેર કરાઇ છે. આ કસોટી સ્વૈચ્છીક રીતે વિદ્યાર્થી આપી શકે છે જેના ઓનલાઇન ફોર્મ તા.૬-૧૨ થી ૨૬-૧૨ દરમિયાન ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા અંગેની વિગતો જાહેર કરતા જણાયું છે કે, આ પરીક્ષામાં ઓ.એમ.આર. સીટમાં બારકોર્ડનો ઉપયોગ કરાશે. તો પ્રશ્નપત્ર-૧માં ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન ૩૦-૩૦ પ્રશ્નો અને સામાન્ય જ્ઞાનના ૧૦ પ્રશ્નો રહેશે. જ્યારે પ્રશ્નપત્ર-૨માં ગણિત, વિજ્ઞાનના ૪૦-૪૦ પ્રશ્ન અને માનસિક ક્ષમતાના ૨૦ પ્રશ્નો રહેશે. આમ બન્ને પ્રશ્નપત્ર ૧૦૦-૧૦૦ માર્કસના પુછાશે. પ્રત્યેક સાચા પ્રશ્નનો ૧ ગુણ છે તો પ્રત્યેક ખોટા પ્રત્યુત્તર માટે ૧/૩ ગુણ કપાશે, પ્રશ્નપત્રનું કન્ટેઇન ધો.૯ની કક્ષા પ્રમાણે રહેશે તો પરીક્ષાનો સમય સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૪નો નિયત કરાયો છે. ૨૦૦ ગુણમાંથી પર્સન્ટાઇલ પ્રમાણે પ્રથમ ૧૦૦૦ વિદ્યાર્થીને બોર્ડ દ્વારા પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂા.૧૦૦૦ પ્રોત્સાહક ઇનામ આપવાનું આયોજન જાહેર કર્યું છે. આમ આ પ્રખરતા શોધ કસોટીમાં ભાવનગર જિલ્લામાંથી કેટલા ફોર્મ ભરાશે તે જોવું રહ્યું.