જીતુ વાઘાણી સામે રાજપૂત સમાજનું ફરી જંગનું એલાન
- ભાવનગરના બુધેલના પૂર્વ સરપંચ મોરી સામે કેસ પાછા નહીં ખેંચાતા..
- સમસ્ત રાજપૂત સમાજના રાજ્યભરના 350 આગેવાનો બુધેલ ગામે એકઠા થયા
- જો એક માસમાં કેસ પાછા નહીં ખેંચાય તો લોકસભાની 10 બેઠક પર ભાજપને હરાવવા નિર્ધાર
ભાવનગર, તા,21 ઓક્ટોબર 2018, રવિવાર
ગુજરાત વિધાનસભાની ગત ર૦૧૭ની ચૂંટણી પૂર્વે ભાવનગર જિલ્લાના બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગ મોરી સામે અંગત જમીન વિવાદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખોટા કેસ કરાવ્યા હોવાના આક્રોશ સાથે રાજ્યભરના રાજપૂત સમાજે ભાજપ સામે રણશીંગુ ફૂંક્યું હતુ.
જેમાં જીતુ વાઘાણીના ફોર્મ ભરવાના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પાછા ખેંચી લેવાની ખાતરી આપીને રાજપૂત સમાજ સાથે સમાધાન કરાયુ હતુ.
પરંતુ આજ દિન સુધી એક પણ કેસ પાછો નહીં ખેંચાતા આજે રવિવારે બુધેલ ગામે સમસ્ત રાજપૂત સમાજના રાજ્યભરના ૩પ૦ આગેવાનો એકઠા થયા હતા અને જો એક માસમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ભાજપને લોકસભાની ઓછામાં ઓછી ૧૦ બેઠક પર હરાવવા નિર્ધાર કરાયો હતો.
આ અંગે બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરીએ જણાવ્યું હતુ કે, મારી સામેના તમામ ખોટા કેસ પરત ખેંચી લેવાનો કરાયેલો વાયદો રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી ભૂલી ગયા છે. ચૂંટણી સમયે હાર ભાળી ગયેલા ભાજપે રાજપૂત સમાજનો રોષ ખાળવા ખોટા વાયદા આપી પાછળથી દ્રોહ કર્યો છે.
જેથી અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ (રજુડા-અમદાવાદ)ની આગેવાનીમાં લક્ષ્મણસિંહ યાદવ (ગીર-સોમનાથ), રૈયાભાઈ રાઠોડ(સાયલા-સુરેન્દ્રનગર), બાઘાભાઈ મોરી (બરવાળા), નરેન્દ્રસિંહ અશ્વાર (ધંધુકા) સહિતના રાજ્યભરના રાજપૂત સમાજના ૩પ૦ જેટલા આગેવાનો બુધેલ ગામે એકઠા થયા છે અને જો એક માસમાં મારી સામેના તમામ કેસ પરત નહીં ખેંચાય તો લોકસભાની ર૬ બેઠકો પૈકી રાજપૂત સમાજના વર્ચસ્વવાળી ઓછામાં ઓછી ૧૦ બેઠકો લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા નિર્ધાર કરાયો છે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે ભીંસમાં આવેલા ભાજપ માટે લોકસભા-૧૯ના જંગ પૂર્વે જ ફરી અસંતોષ અને આક્રોશનો દાવાનળ ભડકી રહ્યો છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની જીદ જીતે છે કે રાજપૂત સમાજની લડત તે આગામી સમય જ બતાવશે, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા અને ઉપરોક્ત ઘટનામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે પણ આક્રોશ ઠાલવાયો હોય ભાજપ પીછેહટ કરી મામલો વધુ બગડે તે પૂર્વે ઘીના ઠામમાં ઘી ઢોળાય જાય તેવા પ્રયાસ કરશે તેવું રાજકિય નિષ્ણાંતો માની રહ્યા છે.
સૌરભભાઈ અને ભૂપેન્દ્રસિંહની જીત રાજપૂત સમાજને આભારી
ગત વિધાનસભા ચૂંટણીમાં નજીવી સરસાઈથી જીતેલા અને હાલ રાજ્ય સરકારના મંત્રી તરીકે બેઠેલા સૌરભભાઈ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત રાજપૂત સમાજને આભારી છે. જો રાજપૂત સમાજે ભાજપને ટેકો ન આપ્યો હોત તો પાટીદારોના રોષ વચ્ચે આ બન્ને મંત્રીને જીતવું અશક્ય હતુ તેમ જૂનાગઢ,ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવે આક્રોશભેર જણાવ્યુ હતુ.
મારી મૂંછના વાળના ભરોસે સમાધાન કરો તેવું કહેનારા અમિત શાહ બોલ્યું પાળી ન શક્યા !
જૂનાગઢ,ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતુ કે, પાટીદાર આંદોલન અને રાજપૂત સમાજના આંદોલનને લઈ ગત વિધાનસભામાં હાર ભાળી ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પોતાના અમદાવાદ સ્થિત બંગલે દાનસંગભાઈ અને મારી સહિતના રાજપૂત આગેવાનોને બોલાવી કહ્યું હતુ કે, મારી મૂંછના વાળના ભરોસે સમાધાન કરો, હું જીતુ વાઘાણીનો ફોર્મ ભરવા ભાવનગર આવું ત્યારે દાનસંગભાઈને હાર પહેરાવી સમાધાન કરવા તૈયાર થઈ જાઓ.
બાકીની બધી ચિંતા છોડી દો. ત્યારબાદ ભાજપ જીતી ગયુ અને હવે આ મહાનુભાવોએ રાજપૂત આગેવાનોના ફોન રિસિવ કરવાનું પણ બંધ કરી દીધુ છે. એટલે અમિત શાહ બોલ્યું પાળી શક્યા નથી ! પરંતુ હવે રાજપૂત સમાજ આવા કોઈ વાયદા પર ભરોસો રાખવા માંગતુ નથી. જો એક માસમાં દાનસંગભાઈ સામેના તમામ કેસ પરત નહીં ખેંચાય તો ભાજપે લોકસભાની ૧૦ બેઠકો ગૂમાવી રાજપૂત સમાજ સાથે કરેલા દ્રોહની કિંમત ચૂકવવી પડશે તેવો હૂંકાર કર્યો હતો.
અમિત શાહ અને વણઝારાના કેસ પરત ખેંચાતા હોય તો મોરીના કેમ નહીં ?
અમિત શાહ અને આપીએસ અધિકારી વણઝારા સામેના કેસ પરત ખેંચાતા હોય તો બુધેલના સરપંચ દાનસંગ મોરી સામેના કેસ પરત કેમ ન ખેંચી શકાય ? જીતુ વાઘાણીએ ચૂંટણી બાદ પણ દૂશ્મનાવટ ભૂલાવી નથી અને અંગત રાગાદ્વેશથી રાજપૂત સમાજ સાથે દ્રોહ કર્યો છે તેવો જૂનાગઢ,ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવે આક્ષેપ કર્યો છે. તેમણે ઉમેર્યું હતુ કે, સમાધાન થઈ ગયા છતાં અને હાઈકોર્ટમાં પણ કેસ હારી ગયા છતાં સરકાર ઉપલી કોર્ટમાં જવાની જીદ કરતી હોય તેવી વિચારધારા રાજપૂત સમાજ માટે આંચકાજનક છે.