રીક્ષા ગેંગ બાદ ઈકો ગેંગ મેદાનમાં, મુસાફરોના 75 હજાર તફડાવ્યા
Updated: Jan 24th, 2023
જામનગરમાં રહેતા રેલ્વે કર્મચારી ભોગ બન્યા
પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધા, બીજા ગુના આચર્યા અંગે તપાસ
જામનગરમાં દ્વારકા હાઈવે નજીકના આદીનાથ પાર્કમાં ક્રીષ્ના
દર્શન ટાઉનશીપમાં રહેતા અને રાજકોટ રેલ્વેમાં કુરીયર ડીપાર્ટમેન્ટમાં પટાવાળા
તરીકે નોકરી કરતા અશોકભાઈ નટવરલાલ રાવલ (ઉ.વ.૫૯) ગઈ તા. ૨૧નાં રોજ જામનગરથી ઓખા
ગયા હતાં. ઓખાથી રેલ્વે પાર્સલો લઈ રાજકોટ રેલ્વે સ્ટેશને આવ્યા હતાં.
પાર્સલો પોતાની ઓફીસે જમા કરાવી ઘરે જવા માટે નીકળ્યા હતાં.
સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ જામટાવર ચોક પાસે ઉભા હતા ત્યારે કબુતરી કલરની ઈકો કાર
પસાર થઈ હતી. જેમાં બે માણસો બેઠા હતાં. એક ગાડી ચલાવતો હતો. જયારે બીજો વચ્ચેની
સીટમાં બેઠો હતો. તેમાં બેસી ગયા બાદ વચ્ચેની સીટમાં બેઠેલા શખ્સે ધક્કો મારી
કહ્યું કે, મને
ઉલ્ટી અને ઉબકા આવે છે.
ત્યારબાદ ડ્રાઈવરે હવે મારે જામનગર જવુ નથી કારણ કે મારા
મીત્રની તબીયત ખરાબ છે તેમ કહી સાંઢીયા પુલ નજીક ઉતારી દીધા હતાં. એટલું જ નહીં
ભાડુ પણ લીધા વગર જતા રહ્યાં હતાં. થોડીવાર પછી પેંટના નીચેના જમણી સાઈડના
ખીસ્સામાં જોતા રૃા. ૭૫ હજાર ગાયબ હતા. આ રકમ પોતાના ઉપરી અધિકારી દીનેશભાઈ ચાવડા
પાસેથી ભાણેજના લગ્ન માટે ઉછીની લીધી હતી. આ પછી જામનગર જઈ લગ્નના કામમાં રોકાઈ
ગયા હતાં. આજે પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધાનું જાણવા મળ્યું છે. આરોપીઓએ આ સીવાય બીજા કોઈ ગુના આચર્યા છે કે કેમ, તે બાબતે પોલીસે તપાસ જારી રાખી છે.