Get The App

પિતરાઇ બહેનની હત્યા બાદ ભૂલ સમજાવતા યુવકે કર્યો'તો આપઘાત

Updated: Nov 30th, 2024

GS TEAM


Google News
Google News
પિતરાઇ બહેનની હત્યા બાદ ભૂલ સમજાવતા યુવકે કર્યો'તો આપઘાત 1 - image


ધોરાજીનાં તોરણીયા ગામે હત્યા - આત્મહત્યા મામલે ગુનો દાખલ

મૃતક યુવતીની નાની બહેને પ્રેમલગ્ન કર્યા બાદ મામા - ફઇનાં બન્ને પરિવારો વચ્ચે ચાલતા મનદુઃખનાં કારણે ખૂની ખેલ ખેલાયો, તપાસમાં એફએસએલ ટીમની પણ મદદ લેવાઇ

ધોરાજી: ધોરાજી તાલુકાનાં તોરણીયા ગામે ગઇકાલે સાંજે વાડી વિસ્તારમાં યુવતીની ગળું કાપીને હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ થોડે દૂરથી પિતરાઇ ભાઇનો ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં બન્ને મામા - ફઇનાં પરિવાર વચ્ચેનાં મનદુઃખનાં કારણે પિતરાઇ બહેનની હત્યા બાદ ભૂલ સમજાતા યુવાને આપઘાત કરી લીધાનું ખુલ્યું છે. 

મળતી વિગતો પ્રમાણે ધોરાજીના તોરણીયા ગામે રહેતા જીવનભાઈ શામજીભાઈ ડાભી જાતે હરમિત (ઉં.વ. ૨૧)ને ગત મોડી સાંજે ખેતરમાં તેના સગા મામાના દીકરા જીગ્નેશ ઉર્ફે બાલો ટીડાભાઇ દેગામાએ છરીના ઘા મારી હત્યા નીપજાવી હતી. બાદમાં કશું ખોટું થઈ ગયું હોવાની તેમજ પશ્ચાતાપ થતાં જાતે જ ખેતરમાં ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બંને મૃતક ને ધોરાજી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને ત્યાં બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં ગતરોજ મોડી રાત્રે મૃતક યુવતી હરમિતના પિતા જીવનલાલ શામજીભાઈ ડાભીએ ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેમના ભાણેજ જીગ્નેશ દેગામાએ પોતાની પુત્રીની હત્યા નીપજાવ્યા અંગેનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જેના આધારે ધોરાજી પોલીસે બી.એન.એસ. ૧૦૩ (૧) મુજબ મૃતક જીગ્નેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે જીગ્નેશના આપઘાત મામલે ધોરાજી પોલીસે એડી દાખલ કરી હતી. 

વિશેષ વિગતો પ્રમાણે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી હરમિતની સગાઈ આવતી ૧૦ તારીખે દેવરખી ગામે તેમના જ્ઞાાતિના યુવાન સાથે રીતી રિવાજ મુજબ નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ એ પૂર્વેજ યુવતીની તેમના જ ફઈના દીકરાએ હત્યા કરી નાખી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક હરમિતની નાનીબહેને પ્રેમ લગ્ન કર્યા હતા, જે સમયે આરોપી જીગ્નેશ અને તેના પરિવારે પ્રેમલગ્ન મામલે દરમિયાનગીરી કરી હતી. જેથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ સર્જાયા હતા.  એ મનદુઃખનો ખાર રાખી હત્યા કરાઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. 

આ હત્યા અને આત્મહત્યાના બનાવને લઈ એફએસએલની ટીમને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે. 

આ ઉપરાંત ધોરાજી તાલુકા પોલીસે આજરોજ તોરણીયા બનાવનાર સ્થળ પર ખેતરે જઈ મૃતક યુવતીની લોહીના ડાઘા વાળી ચુંદડી તેમજ આરોપીએ જે છરી વડે યુવતીની હત્યા કરી હતી. તે છરી સહિત ઘટનામાં મળેલ તમામ પુરાવાઓ એકત્રિત કર્યા હતા. 

Tags :