Get The App

શાળાઓમાં થતી સમુહ પ્રાર્થના એ બાળકની કેળવણીનું કેન્દ્ર છે

Updated: Oct 22nd, 2018

GS TEAM


Google News
Google News
શાળાઓમાં થતી સમુહ પ્રાર્થના એ બાળકની કેળવણીનું કેન્દ્ર છે 1 - image

ભાવનગર, તા. 22 ઓક્ટોબર 2018, સોમવાર

પ્રાર્થના સંમેલનમાં 'કેળવણી' કે 'ઘડતર' થાય છે. જ્યારે વર્ગખંડોમાં થતા ભણતરને માત્ર 'શિક્ષણ' કહેવાય. અંગ્રેજી ભાષામાં 'શિક્ષણ' માટે એજ્યુકેશન શબ્દ વપરાય છે. ગુજરાતી ભાષામાં શિક્ષણ માટે ભણતર, ઘડતર કે કેળવણી શબ્દ વપરાય છે. તેને અંગ્રેજી ભાષાની રીતે તપાસતા 'કેળવણી' કહેતા 'એજ્યુકેશન' જ્યારે શિક્ષણ કહેતા 'સ્કૂલીંગ' શબ્દ વધુ યથાયોગ્ય છે આશિંક તફાવત બતાવે છે.

ગામડાંની પ્રાથમિક કે માધ્યમિકમાં કાં તો મોટો પ્રાર્થના ખંડ હોય છે કાં તો મેદાન કે ઝાડની નીચે સમૂહ પ્રાર્થના થાય છે. જ્યારે શહેરોમાં બહુ ઓછી શાળાઓમાં સમૂહ પ્રાર્થના થાય તેવા મોટા પ્રાર્થના ખંડ હોય અને મેદાનો કે ઝાડ નીચે બેસે તેવી તો જગ્યા જ ક્યાં હોય છે?

આજકાલ વાલી અને વિદ્યાર્થીની દોડ કે લક્ષ્ય માત્ર ઊંચી ટકાવારી જ હોવાના કારણે પ્રાર્થના અને સમુહ ક્વાયત કે રમતોનું મહત્ત્વ ઘટાડી દેવાયું છે. જેની અસરે વિદ્યાર્થીમાં સ્વચ્છ, સ્વસ્થ, સાહસિક કે સમજણયુક્ત કે સહનશીલતા જેવા જીવનલક્ષી ગુણો ખીલતા નથી. જેનો પડઘો દેશની પ્રજાના અયોગ્ય વર્તન-વ્યવહારમાં જોવા મળે છે!!

આજકાલ સતત અને સર્વગ્રાહી શિક્ષણની વાતો થાય છે. તે જોતા વિદ્યાર્થીઓમાં સર્વદેશીય અને સર્વગ્રાહી વિકાસનું વાવેતર માત્ર શાળાની સમૂહ પ્રાર્થનાના પડથારે થાય છે. 
મહાત્મા ગાંધીએ કેળવણીની વ્યાખ્યા આપેલી કે 'બાળકમાં પડેલા આંતરિક વિકાસ/શક્યતાઓને બહાર લાવવી તેને ખરી કેળવણી કહેવાય.'

વિદ્યાર્થીઓમાં રહેલી મૌલિકતા, રજૂઆત કૌશલ, ગીત-સંગીત દ્વારા ગળું અને સુમધુર અવાજની વારંવારની રજૂઆતથી એક કલાકારનું પ્રાગટય. વિદ્યાર્થી દ્વારા સમૂહ પ્રાર્થનામાં રજૂ થતી અનેક વિવિધા... પ્રસંગ, સુવિચાર, વાર્તાકથન, ગીત-સંગીત, નાટકો, અભિનય, પ્રશ્નોત્તરી, એકપાત્રીય અભિનય નૃત્ય દ્વારા પોતાની જાતને જોડી એક ઉત્તમ શ્રોતા થકી ઉત્તમ વક્તા બની શકે છે. આમેય કોઈપણ વિદ્યાર્થીને શાળા છોડયા બાદ સૌથી વધુ આકર્ષણ કે સ્મરણ પ્રાર્થના સંમેલનનું રહે છે.

પ્રાર્થના સંમેલનમાં આવતા ક્ષેત્રના વક્તાઓ જેવા કે લેખકો, કવિઓ, સમાજસેવકો, સમાજશ્રેષ્ઠિઓ અધિકારીઓ વગેરેને સન્મુખ જોતા-સાંભળતા વિદ્યાર્થીમાં ઉચ્ચ મનોભાવો દ્વારા એક સારો નાગરિક, શ્રોતા, વક્તા, વાચક,  વિચારક, સમાજ સુધારક કે પછી એક સારો રાજનીતિજ્ઞાથી ઉત્તમ અધિકારી બને તેવું વાતાવરણ મળે છે.

કોઠારી શિક્ષણ પંચનાં અહેવાલનું પ્રથમ વાક્ય હતું 'શાળાઓનાં વર્ગખંડોમાં (હવે કહેવું પડે કે સમૂહ પ્રાર્થનામાં) ભારતનું ભાવિ ઘડાય રહ્યું છે.' સમૂહ પ્રાર્થનામાં કેળવણી (એજ્યુકેશન) થાય છે જ્યારે વર્ગખંડોમાં માત્ર શિક્ષણ (સ્કૂલીંગ) થાય છે. તેમ બાળકોનાં જીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતા શિક્ષણવિદ્દ વી.જી.સવાણીએ જણાવ્યું છે.
Tags :