Get The App

જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા 134 ખેડુત અમૃત ખેડૂત બજારમાં જોડાયા

- અમૃત ખેડુત બજાર હેઠળ ભાવનગરને મળ્યુ રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક કેન્દ્ર

- સરકારી તંત્રની નવતર પહેલ, દર રવિવારે અમૃત ખેડૂત બજાર 5 કલાક ખુલ્લી રહેશે

Updated: Jan 10th, 2021

GS TEAM


Google News
Google News
જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા 134 ખેડુત અમૃત ખેડૂત બજારમાં જોડાયા 1 - image


ભાવનગર, તા. 10 જાન્યુઆરી 2021, રવિવાર 

આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા જવાહર મેદાનની બાજુમા, રીલાયન્સ માર્ટ સામે આવેલ જોગર્સ પાર્ક-૨ ખાતે રાજ્યની પ્રથમ એવી નવતર પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને શહેરમાં પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમા રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે તેવા લોકોને સરળતાથી ગામડામા સંપુર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે. 

આજરોજ ભાવનગર જિલ્લાના ૧૩૪ ખેડુતો દ્વારા જુદી જુદી ખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી તથા જિલ્લા વિકાસ અધિકારીએ અમૃત ખેડુત બજારને ખુલ્લી મુકી હતી અને બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ હતુ. અમૃત ખેડુત બજારને ખુલ્લુ મુકતા રાજ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, આજે લોકો અને ખેડુતો બન્ને ઓર્ગેનિક તરફ વળ્યા છે ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવુ શુધ્ધ ઉત્પાદન ઘર આંગણે જ મળશે. 

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે, ભાવનગરમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લાના ખેડુતો તથા શહેરીજનોની માંગ હતી કે તેઓને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી આ અમૃત કૃષિ બજાર ઉભુ કરવામાં આવ્યુ છે. અહી સખી મંડળના ઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામા આવ્યા છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. સાથે સાથે ખેડુતોને ઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે તેમજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે. 

અમૃત ખેડુત બજારમા ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. ઉલ્લેખનીય છે કે આ બજાર દર રવિવારે સવારે ૭ થી ૧૨ કલાક દરમિયાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે. 

અગાઉ પણ આવા પ્રયાસ થયા હતા 

ભાવનગર શહેરમાં અગાઉ પણ તંત્ર દ્વારા આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આ પ્રયોગો નિષ્ફાળ ગયા હતા તેમ જાણવા મળેલ છે. શહેરની કેટલીક શાળા-કોલેજમાં શાકભાજીના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી અને દર રવિવારે આયોજન કરવામાં આવતુ હતુ પરંતુ ત્યારબાદ કોઈને કોઈ કારણસર આ આયોજન લાંબા ચાલ્યા ન હતા તેમ જાણવા મળેલ છે ત્યારેે અમૃત ખેડૂત બજાર લાંબી કેટલો સમય ચાલશે ? તે જોવુ જ રહ્યું.  

Tags :