For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વયવૃદ્ધિ-એજિંગ પ્રોસેસને ધીમી કરવાની ટેકનિક

Updated: Aug 31st, 2022

Article Content Image

- મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓ અને મનમાં ઘુમરાતા વિચારોની શરીર પર પ્રબળ અસર...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- તમારૂં શરીર Ageless છે અને મન Timeless છે

- આપણું ભૌતિક શરીર એક ઈલ્યૂઝન-ભ્રમણા છે, જે નથી દેખાતું તે સાચું વિશ્વ છે.

દિપક ચોપરાના કલાસિક પુસ્તકનો પ્રેરણાદાયી અને પ્રોત્સાહિત કરતો કેન્દ્રવર્તી મુદ્દો એ છેકે 'એજિંગ' અર્થાત વયવૃધ્ધિ એ કાંઇ સાવ જ અનિવાર્ય પ્રક્રિયા નથી. લાંબા અને તંદુરસ્ત જીવનની શોધ માટેની સફરે લેખક વાંચક ને લઇ જાય છે.

લેખક કહે છે કે આપણે એક એવી જગ્યા કે એવા સ્થળની શોધ કરીશું કે જયાં રોજિન્દા અસ્તિત્વના નિયમો લાગુ નહીં પડતા હોય, માનવ જીવનના અસ્તિત્વનો સામાન્ય નિયમ એ છે કે માણસ જન્મે, પછી છેલ્લે વૃધ્ધ થાય, અશક્ત બને અને છેવટે મૃત્યુ પામે એ બધા લોકોની નિયતિ છે. સદીઓથી જીવનચક્ર આમ જ ચાલી રહ્યું છે.

લેખક કહે છે કે વાસ્તવિકતા વિશેનું આ અનુમાન તમે થોડો વખત ભૂલી જાવ, જેથી તમે એવા પ્રદેશના આદ્યનિવાસી બની શકશો કે જયાં યૌવનનું જોમ કે નવજીવનનો જુસ્સો, સર્જનાત્મકતા, આનંદ- ઉલ્લાસ, આત્મસંતોષ અને કાલાતીતતા કે કાળનિરપેક્ષ એ રોજના જીવનનો સામાન્ય અનુભવ હશે, વળી જયાં ઘડપણ, અશક્તિ અને મૃત્યુ નહીં હોય.!

જો પૃથ્વી પર આવું કોઇ સ્થળ છે, તો આપણને ત્યાં જતા કોણ રોકે છે?

આ જગ્યા કોઇ અંધારિયા ખંડમાં કે કોઇ મધદરિયે નથી, પરંતુ આપણા પૂર્વજોએ, સમાજે, શિક્ષકોએ અને આપણા મા-બાપે શિખવાડવાથી આપણા સામૂહિક વૈશ્વિક દ્રષ્ટિકોણમાં આ વાત ઘર કરી ગઇ છે, આપણું મન તેમાં બંધાઇ ચૂકેલું છે. આપણું આ રીતે જે સામૂહિક ''કન્ડિશ્નીંગ'' થયું છે તેના કારણે તમારૂં શરીર તમારા નિયંત્રણ બહાર વયવૃધ્ધિ પામતું રહે છે. સદીઓથી આપણા મનમાં જે માન્યતા ઘર કરી ચૂકી છે, તે જૂની માન્યતાની ધરેડ આપણે તોડીએ નહીં ત્યાં સુધી ''એજિંગ પ્રોસેસ''માં બીજું કાંઇક નૈસર્ગિક તત્વ છે કે નહીં તે આપણે જાણી શકીશું નહીં.

"Ageless Body & Timeless Mind" મહેસૂસ કરવા માટે તમારે જૂની વિચારસરણીની પરંપરાગત ધરેડમાંથી બહાર આવવું પડશે. તમારા મન અને શરીરનો મૂળભૂત સ્વભાવ ઓળખવો પડશે.

પૃથ્વી પર આપણે જ એક એવા સજીવ છે કે જેની બાયોલોજીમાં વિચાર પ્રમાણે ફેરફાર થતા રહે છે. વળી સજીવોમાં માત્ર એક આપણી જ 'નર્વસ સિસ્ટમ'- મગજનું તંત્ર છે જે વયવૃધ્ધિની પ્રક્રિયાથી સભાન છે. ઘરડા સિંહ કે વાઘને ખબર નથી પડતી કે તેના શરીરમાં આ ફેરફાર શા માટે થઇ રહ્યા છે. 

આપણી હતાશા, આપણી ઇમ્યૂન સિસ્ટમ એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ઘરખમ ઘટાડો કરી દે છે. આથી ઊલ્ટું આપણે કોઇના પ્રેમમાં પડીએ કે આપણને કોઈ મોટી સફળતા મળે કે પરીક્ષામાં સારી રેન્ક આવે ત્યારે આપણા શરીર-મનની ક્ષમતામાં અસાધારણ વધારો થઇ જાય છે.

જીવનમાં મળતી નિષ્ફળતા કે નિરાશાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે, જ્યારે આનંદ- ઉલ્લાસથી તંદુરસ્ત રહેવાય છે. આનો સીધો અર્થ એ થયો કે આપણી બાયોલોજી અને સાયકોલોજી વચ્ચે ચોક્કસપણે ભેદરેખા દોરી શકાતી નથી.

ભૂતકાળમાં આપણે કોઇ તનાવની સ્થિતિમાંથી પસાર થયા હોય, અને આજે તે યાદ કરીએ ત્યારે એની યાદ કે વિચાર માત્રથી પણ અગાઉના જેટલા જ નકારાત્મક હોર્મોન્સ શરીરમાં પેદા થતા હોય છે.

આપણું મગજ, શરીરના દરેક કોષને 'અસર' કરતું હોવાથી, વયવૃધ્ધિની પ્રોસેસ પ્રવાહી અને પરિવર્તીત છે, વયવૃધ્ધિની પ્રોસેસ (૧) ઝડપી પણ થઇ શકે છે (૨) ધીમી પણ પડી શકે છે. (૩) વચ્ચે થોડો સમય વયવૃધ્ધિ સદંતર સ્થગિત પણ કરી શકાય અને (૪) વયવૃધ્ધિની પ્રોસેસ રિવર્સ પણ થઇ શકે છે...!

છેલ્લા ઘણાં દાયકાઓથી વિવિધ દેશોમાં ચાલતા સંશોધનોથી પુરવાર થયું છે કે એજિંગ એટલે કે વયવૃધ્ધિની પ્રોસેસ ૅજે તે  વ્યક્તિ પર આધાર રાખે છે.

અને એટલે જ તમે જોશો તો કેટલાક લોકો, યુવાન વયે અકાળે વૃધ્ધ જેવા દેખાય છે. તો આથી ઊલ્ટું કેટલાક ઘરડા વડીલોના ચહેરા પર યુવાન જેવી ચમક અને તાજગી દેખાતી હોય છે. ૭૫ વર્ષના વૃધ્ધ સડસડાટ ૨૫ પગથિયા ચડી જાય છે, તો કયાંક ૩૨ વર્ષનો યુવાન ૧૦ પગથિયા ચઢતા હાંફી જતો જોવા મળે છે.

એજિંગ પ્રોસેસને પડકારવા માટે સદીઓથી આપણા મનમાં ઘર કરી ગયેલી જૂની માન્યતાઓને તિલાંજલિ આપવી પડે, કારણ આપણા મનના વિચારો કે મનમાં સંઘરાયેલી વર્ષો પુરાણી માન્યતાઓની આપણા શરીર પર જેટલી પ્રબળ અસર પડે છે, તેટલી ઘેરી અસર બીજા કશાની શરીર પર નથી પડતી.

સાયન્સમાં બાયોકેમિસ્ટ્રી નામનો એક વિષય છે અથવા સાદી ભાષામાં કહીએ તો બાયોકેમિસ્ટ્રી નામની સાયન્સની એક શાખા છે, જેમાં આપણા શરીરમાં પેદા થતા રસાયણો જેવા કે એન્ઝાઇમ્સ, હોર્મોન્સ, એમિનો એસિડ, જિન અથવા જનીન વિષે શીખવાડાય છે.

આપણી માન્યતાઓ, આપણા વિચારો કે પછી ક્રોધ, ઇર્ષા, કિન્નાખોરી સ્નેહ-પ્રેમ, દયા કરૂણા જેવી લાગણીઓ આપણા શરીરમાં સારા કે ખરાબ રસાયણો અને રસાયણિક પ્રક્રિયાઓ પેદા કરે છે. જેની સારી અથવા ખરાબ અસર આપણા સ્થૂળ શરીર પર ચોક્કસપણે પડતી રહે છે. શરીરના દરેકે દરેક કોષ (સેલ) આનાથી પ્રભાવિત થતા રહે છે.

લેખક કહે છે કે તમે તમારા આ શરીર, તમારો ઇગો કે તમારા વ્યક્તિત્વ કરતા કાંઇક વધુ  છો, એ સિધ્ધાંત મારે તમારા મનમાં ઠસાવવો છે. ખૂબ ઊંડા ઉતરીને વિચારશો તો તમને સમજાશે કે તમારૂં શરીર ‘Ageless'' છે અને તમારૂં મગજ "Timeless" છે.

તમે આ સાચી વાસ્તવિકતાથી સભાન થશો તો વયવૃધ્ધિમાં મૂળભૂત પરિવર્તન આવશે.

૩૦ વર્ષની ઉંમર પછી માણસના શરીરમાં વર્ષે ૧ ટકાની તદ્દન ધીમી ગતિએ ઘસારો શરૂ થઇ જાય છે. ધીમે ધીમે ચામડીની ચમક અને તાજગી ઓછી થતી જાય છે, મસલ્સમાં ઢીલાશ મહેસૂસ થાય છે, ૫૦ વર્ષ પછી કરચલીઓ પડવાની શરૂ થાય છે. હાડકા નરમ કે બરડ થતા લાગે છે. શરીરમાં જોમ-જુસ્સો કે સ્ટેમિનામાં ધીમો ઘટાડો થાય છે, પડકાર ઝીલવાની ક્ષમતા ઘટે છે, જેથી માણસ અગાઉ જેટલું કામ નથી કરી શકતો.

ઉંમર વધવાની સાથે શરીરમાં થતા આ બધા ફેરફારો સર્વાંગીરીતે માનવ શરીર પર બહુ મોટી અસર પાડે છે.

Gujarat