For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મૂળભૂત અધિકારોનું રક્ષણ કરતો શકવર્તી ચુકાદો..

Updated: Jan 25th, 2023


સારાંશ - વિનોદ ડી. ભટ્ટ - ભાગ-૩

કેશવાનંદ ભારતી કેસમાં નાની પાલખીવાલાની તેજસ્વી દલીલોના પગલે સુપ્રીમ કોર્ટનો

નાની પાલખીવાલાની તેજસ્વી દલીલોથી સુપ્રીમના જજો પણ પ્રભાવિત થયા હતા..

પ્રારબ્ધ જેવું કાંઈ છે કે નહીં, નાની પાલખીવાલાનો નસીબ પ્રશ્ને સચોટ પ્રત્યુત્તર

વર્ષ ૧૯૭૦માં કેશવાનંદ ભારતીએ કેરાલા લેન્ડ રિફોર્મ્સ કાયદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. રિલિજીયસ પ્રોપર્ટીના મેનેજમેન્ટ પર આ કાયદા દ્વારા કેરાલા સરકારે નિયંત્રણો લાદી દીધા હતા.

કેશવાનંદ ભારતી કેરાલાના એડનિર મઠના મુખ્ય મહંત હતા. મઠની કેટલીક જમીન ખુદ કેશવાનંદની પોતાની માલિકીની હતી. કેરાલાએ પસાર કરેલા કાયદા હેઠળ મઠની અમુક જમીન સંપાદન કરવાની સરકારને સત્તા અપાઇ હતી.

વર્ષ ૧૯૭૦માં કેશવાનંદ ભારતીએ બંધારણમાં તેમને મળેલા હક્કોનો અમલ કરાવવા સુપ્રીમ કોર્ટમાં કેરાલા સરકાર  વિરૂધ્ધ કેસ દાખલ કર્યો હતો. અરજદારની દલીલ એવી હતી કે સંસદ પોતાને મનફાવે તે રીતે બંધારણમાં સુધારા ન કરી શકે કારણ કે બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા મર્યાદિત છે. બંધારણનું મૂળભૂત માળખું કે બંધારણના હાર્દ સમા ભાગમાં સંસદ ફેરફાર કરી શકે નહીં.

આ કેસનો તા.૨૪ એપ્રિલ ૧૯૭૩ના દિવસે સુપ્રીમ કોર્ટે શકવર્તી ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં જણાવાયું છે કે સંસદ, બંધારણમાં અમર્યાદ સુધારા કરી શકે છે, પણ તેમાં એક શરત છે કે સંસદ બંધારણમાં જે કાંઇ સુધારા કરે તેનાથી બંધારણનું ''બેઝિક સ્ટ્રકચર'' બદલાવુ ન જોઇએ.

આ કેસમાં કેશવાનંદ ભારતી તરફે નાની પાલખીવાલાએ એટલી જોરદાર અને તર્કબધ્ધ દલીલો કરી હતી કે સુપ્રીમના જજો પણ તેમનાથી અત્યંત પ્રભાવિત થઇ ગયા હતા.

સુપ્રીમ કોર્ટમાં કેશવાનંદ ભારતી કેસની સુનાવણી સૌથી લાંબા સમય સુધી - ૬૮ દિવસ ચાલી હતી અને આ કેસને સુપ્રીમમાં સૌથી વધુ અગ્રીમતા અપાતી હતી.

તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા ગંભીર પ્રકારના ઘર્ષણની પરાકાષ્ઠારૂપે કેશવાનંદ ભારતી કેસ ઊભો થયો હતો.

વિશ્વના અત્યંત તેજસ્વી બુધ્ધિપ્રતિભા ધરાવતા પ્રથમ દશ ધારાશાસ્ત્રીઓમાં સ્થાન પામી શકે એવા નાની પાલખીવાલા વિશે ભુતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇએ કહ્યું 'તું,  નાની પાલખીવાલા, ''India's Finest intellectual'' છે.

પાંચ દાયકાના તેમના જાહેર જીવન દરમિયાન પાલખીવાલાએ વિવિધ વિષયો પર અતિ ઊંડાણપૂર્વકના સંખ્યાબંધ લેખ લખ્યા હતા. તેઓ અચ્છા વકતા પણ હતા. તેમના લેકચર સાંભળવા બુધ્ધિજીવીઓ મોટી સંખ્યામાં  ઊમટતા હતા. શ્રોતાઓને તેમના પ્રભાવમાં જકડી રાખવાની પાલખીવાલામાં અદ્ભૂત ક્ષમતા હતી.

''નાની પાલખીવાલા : સિલેકટેડ રાઇટિંગ્સ'' પુસ્તકમાં પાલખીવાલાના અસંખ્ય લખાણોમાંથી ચૂંટીને કેટલાક અતિ સુંદર લખાણો પ્રકાશિત કરાયા છે.

તેમના એક લેખનું શિર્ષક છે :Are we masters of our fate? શું આપણે આપણા ભાગ્યના વિધાતા છે? અર્થાત શું આપણું ભાગ્ય આપણા હાથમાં છે કે પછી આપણે જે ભાગ્ય લખાવીને આવ્યા છીએ તે પ્રમાણે જ આપણું જીવન ચાલે છે?

પાલખીવાલાએ લેખની શરૂઆત ખૂબ સરસરીતે કરી છે કે, પ્રારબ્ધના વિષયમાં દરેક જણ પોતપોતાના અનુભવ પ્રમાણે પોતાનો મત કે માન્યતા બાંધે છે. હું તો અહીં મારા જીવનના થોડા પ્રસંગો તમને કહીશ, જેના પરથી તમે તમારો નિષ્કર્મ તારવી લેવા સ્વતંત્ર છો. મારી તમને એટલી જ વિનંતી છે કે આના પરથી તમે જે કાંઇ નક્કી કરો તે ખુલ્લું મન રાખીને નક્કી કરજો, તેમાં કોઇપણ પૂર્વગ્રહ કે પક્ષપાત ન રાખતા.

દુનિયાના કેટલાક મહાન માણસો પણ એવું માનતા 'તા કે તેમના જીવનની કેટલીક ઘટનાઓ પૂર્વ નિર્ધારિત હતી, કહેવાનો મતલબ કે તેમના જીવનના કેટલાક બનાવો તેમના પ્રારબ્ધમાં લખાયેલા જ હતા. દુનિયામાં કેટલાક લોકો એવા છે જેમને ભવિષ્યની કેટલીક ઘટનાઓ અગાઉથી જ દેખાઇ જાય છે, ટૂંકમાં કેટલાક લોકોને સચોટ ભવિષ્ય કથન કરવાની અદ્ભૂત ક્ષમતા કુદરતે બક્ષેલી હોય છે.

મારા મનમાં ડો. રાધાક્રીષ્ણનનો દાખલો સૌ પ્રથમ યાદ આવે છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ અને તે બાદ રાષ્ટ્રપતિ બન્યા એના વર્ષો અગાઉ તેઓ માત્ર  પ્રોફેસર હતા. તેમના પુત્ર ગોપાલે પિતા ડો. રાધાકૃષ્ણનના જીવન વિષે લખેલા પુસ્તકમાં નીચે મુજબની એક ઘટના ટાંકી છે.

''એક વખત ગ્રીષ્મ ઋતુમાં ડો. રાધાકૃષ્ણન યુરોપ ગયા ત્યારે ત્યાં તેમને એ જમાનાના એક ખ્યાતનામ હસ્તરેખાશાસ્ત્રી મળ્યા હતા. તેમણે ડો. રાધાકૃષ્ણનના હાથની રેખાઓ જોઇ ભવિષ્ય ભાખ્યું હતું કે તેઓ જીવનમાં ટોપ પોઝિશન પર જશે, તેઓ રાષ્ટ્રના વડા બનશે. પણ મૃત્યુ અગાઉ તેઓ તેમના મગજ પરનું નિયંત્રણ ગુમાવશે. (be fore his death, lose his mind).

એ સમયગાળામાં ડો. રાધાકૃષ્ણન વિશે કરાએલી આ બે ભવિષ્યવાણી એટલી તો બેબુનિયાદ લાગતી હતી કે આ ભવિષ્યવાણી અમારા માટે તો ફેમિલિ જોક બની ગઇ હતી.'' (પાન નં-૧૪૩)

ડો. રાધાકૃષ્ણનના પુત્ર ગોપાલે તેમના પુસ્તકમાં લખેલી ઉપરોક્ત ઘટના પરથી બે હકીકતો સ્પષ્ટ થાય છે - એક તો માણસને પોતાનું પ્રારબ્ધ હોય છે અને બીજી હકીકત એ છે કે જૂજ લોકો એવા હોય છે કે જેમને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું પૂર્વજ્ઞાાન હોય છે.

ભૂતકાળમાં એવી કેટલીક ઘટનાઓ બની છે જેમાં કોઇક મહાનુભાવ કે સંતને પ્રારબ્ધે આગોતરી ચેતવણી આપી દીધી હોય.

આવો સૌથી જાણીતો કિસ્સો વિન્સ્ટન ચર્ચિલના જીવનમાં બન્યો હતો. એ દિવસે વિન્સ્ટન ચર્ચિલ તેમની કારમાં સામાન્ય રીતે જે સિટ પર બેસતા હતા તેના બદલે દૂરની બીજી સિટ પર બેઠા હતા.

લેડી ચર્ચિલે તેમને પૂછ્યું પણ ખરૂં, કે તમારી રોજની સિટના બદલે આજે પેલા ખૂણાની સિટ પર તમે કેમ બેઠા?

જવાબમાં ચર્ચિલે કહ્યું, આઇ ડોન્ટ નો, આઇ ડોન્ટ નો,.. મને ખબર નથી, મને ખબર નથી, બે વખત આવો જવાબ આપ્યા પછી ચર્ચિલે કહ્યું, અલબત્ત મને ખબર છે. રોજ હું જે સિટ પર બેસતો હતો, એ તરફનો દરવાજો ખોલીને ડ્રાયવર ત્યાં ઊભો હતો, પણ હું એ તરફ જઉં તે પહેલાં કોઇકે (કોઇક અદ્રશ્ય શક્તિએ) કહ્યું, Stop...(ઊભો રહે). પછી મને લાગ્યું કે કોઇકે મને કારની બીજી બાજુનો દરવાજો ખોલી એ તરફની સિટ પર બેસવા કહ્યું...


Gujarat