Get The App

મીઠી વાણીથી પતિનું મન મોહી લો

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
મીઠી વાણીથી પતિનું મન મોહી લો 1 - image

વિજયે ઓફિસમાંથી આવી ઘરમાં પગ મૂક્યો ત્યારે વૈભવી રસોડામાં કામ કરતી હતી. વિજય માટે પાણીનો ગ્લાસ લઈ આવી, ટેબલ પર મૂકી એક શબ્દ બોલ્યા વિના પાછી જવા લાગી. ત્યારે વિજયે તેનો હાથ પકડી કહ્યું, ''અરે ડાર્લિંગ, ક્યાં ચાલી, થોડીવાર અમારી પાસે તો બેસ.''

''અરે, આ તમે શું કરી રહ્યા છો. છોડો મને, કામ કરવા દો.'' વૈભવીએ વિજયના હાથમાંથી હાથ છોડાવાનો પ્રયાસ કરતાં કહ્યું.

વિજયે વધુ મજબૂત રીતે હાથ પકડયો પછી હસીને બોલ્યો, ''કામ તો થતું રહેશે. ડિયર, આવ, બે પ્રેમની મીઠી વાત કરીએ. તારો દિવસ કેવો ગયો તેની જરા વાત તો કરો.''

''આજે તમને થયું છે શું?'' તેણે જરા છણકા કરતાં કહ્યું.

''બસ એમ જ.'' આમ બોલી વિજયે વૈભવીનો હાથ છોડી દીધો.

વૈભવીનો છણકો સાંભળી વિજય ચૂપ થઈ ગયો અને મન મારીને બેસી રહ્યો. તેનો મૂડ ખરાબ થઈ ગયો. ચા-નાસ્તાને ન્યાય આપી ચૂપચાપ કોમ્પ્યુટર સામે બેસી ગયો.

દામ્પત્યસંબંધને તાજગીભર્યા બનાવી રાખવા માટે પ્રેમભર્યા મીઠા બે બોલ મહત્ત્વના હોય છે. જીવનસાથી સામે પ્રેમ વ્યક્ત કરવો ખૂબ જ જરૂરી છે.

ઘણાં દંપતી એકબીજાને અત્યંત પ્રેમ કરતાં હોય છે, પરંતુ ઈચ્છા હોવા છતાં તેઓ પ્રેમ બતાવવામાં સંકોચ અનુભવતા હોય છે અને પ્રેમના ઊંડાણને સમજી શકતા નથી. ઘણીવાર પ્રેમભર્યા શબ્દ બોલવાની ઈચ્છા કરતા હોય છે, પરંતુ તેઓ અંતરમાં બાઝી ગયેલા પડને તોડી શકતા નથી. એ કશું બોલે તે પહેલાં તેમના હોઠ સંકોચના કારણે સિવાઈ જતા હોય છે.

નીરજ તેની પત્ની નેહાને બેહદ પ્રેમ કરે છે. દરેક કામમાં તેને મદદ કરે છે. જીવનના  દરેકે દરેક પગલે સાથ આપવામાં પોતાનું કર્તવ્ય સમજે છે.

સગાસંબંધી અને પાડોશી બધાં જ સ્વીકારે છે કે નીરજ નેહાને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ નેહાનું કહેવું છે કે તે તેને જરા પણ પ્રેમ કરતો નથી. આ વાત સૌને આશ્ચર્ય પમાડે છે.

આનું મુખ્ય કારણ એ છે કે નીરજ અંતર્મુખી છે, તે ક્યારે પણ નેહાને પ્રેમના બે શબ્દ નથી કહેતો.

આમાં દોષ માત્ર નીરજનો નથી, કારણ કે નેહા પણ તેને અંતર્મુખી સમજી ચૂપ રહે છે. તે ક્યારેય પ્રયાસ કરતી નથી કે બંને વચ્ચે પ્રેમભર્યા સંવાદની સ્થિતિ ઉભી કરી શકે.

મોટાભાગે પતિ, પત્નીની માગણી પૂરી કરવામાં, તેના તરફની જવાબદારી પૂરી કરવામાં, તેને રક્ષણ આપવાની વાતને પ્રેમ સમજે છે. તે વિચારે છે કે પોતાના પ્રેમને આ રીતે તે વ્યક્ત કરે છે, પરંતુ પત્ની એમ સમજે છે કે આમ કરવાથી તેનો પતિ માત્ર તેની ફરજ પૂરી કરે છે.

આ સંબંધ વિશે અંજના કહે છે, ''આજના વ્યસ્ત જીવનમાં આમ પણ પતિપત્નીને વાતચીત કરવાનો સમય ઘણો ઓછો મળે છે. જો આ થોડો સમય પણ મૂંગા રહી પસાર કરવામાં આવે તો દામ્પત્યસંબંધ ઘણો કંટાળાજનક બની જાય છે. સંબંધોને તાજા અને મજબૂત બનાવવા માટે થોડી ક્ષણો પ્રેમભરી વાતો કરી, જીવનને રંગીન બનાવવું જરૂરી છે.''

એક ગૃહિણીનું કહેવું છે, ''મારો પતિ પોતાના વ્યસ્ત ભર્યા દિવસમાં થોડો સમય જરૂર મારા માટે ફાળવે, રોજ મને 'આઈ લવ યૂ', 'માય ડાર્લિંગ' અથવા પ્રેમના અન્ય શબ્દો કહે.''

મયંકના કહેવા મુજબ, ''જ્યારે મારી પત્ની  મારી સાથે પ્રેમની બે મીઠી વાત કરે છે ત્યારે મારું તનમન આનંદથી છલકાઈ જાય છે અને ઓફિસમાં હું વધુ સારું કામ કરી શકું છું.''

ઘણા પતિઓનું માનવું છે કે તેઓ તેમની પત્નીને બેહદ પ્રેમ કરે છે, પરંતુ પત્ની સમક્ષ પ્રેમની રજૂઆત કરી શકતા નથી. કેટલાક પતિની તો એવી ફરિયાદ છે કે તેમની પત્ની પ્રેમનાં શબ્દો કહેવામાં પણ કંજૂસાઈ કરે છે. એટલે તેમની વચ્ચે પ્રેમભર્યા શબ્દોની વાતચીતને અવકાશ મળતો નથી.

જ્યારે શરદને આ વિશે સવાલ કરાયો કે તે દામ્પત્યજીવનમાં પ્રેમભર્યા શબ્દોને કેટલે અંશે વાજબી માને છે ત્યારે તેણે તરત કહ્યું, ''જીવનસાથીના બે પ્રેમભર્યા બ્દો તનમનને ઘણી રાહત આપે છે. મારા મત મુજબ આના વિના સુખી દામ્પત્યજીવનની કલ્પના નથી કરી શકાતી.''

પતિપત્નીનો પરસ્પરનો તાલમેલ હોય, તેના માટે જરૂરી છે કે જેટલો સમય સાથે રહો તેટલા સમયમાં પ્રેમભરી વાતચીત બની રહે તે. સંબંધોમાં મીઠાશ લાવવા માટે જીવનસાથીને પ્રેમભર્યા શબ્દોથી વંચિત ન કરશો.

જીવનસાથીને 'આઈ લવ યૂ', 'હું સદાકાળ તારો છું' એવા પ્રેમભર્યા શબ્દો વાપરવામાં કંજૂસાઈ ન કરશો.

પ્રેમભર્યા શબ્દોથી તમે જીવનસાથીની વધુ નજીક રહી શકો છો. તાણ અને મૂંઝવણમાંથી પણ છૂટકારો મેળવી શકો છો.