- આપણા પુરુષપ્રધાન સમાજમાં
આપણે હંમેશાંથી કહેતાં-સાંભળતા આવ્યા છીએ કે આપણો સમાજ પુરુષપ્રધાન છે. અલબત્ત, આ વાત શતપ્રતિશત સાચી પણ છે. આજે પણ આપણા સમાજમાં દહેજ મૃત્યુનું ઊંચુ પ્રમાણ આ વાતનો સૌથી મોટો પુરાવો છે.પરંતુ તાજેતરમાં નેશનલ ક્રાઇમ બ્યુરો (એનસીઆરબી)એ આપેલા ચોક્કસ પ્રકારની આત્મહત્યાના આંકડા સમાજનું બદલાઇ રહેલું ચિત્ર રજૂ કરે છે. 'એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા ૨૦૨૧'ના રિપોર્ટ અનુસાર દેશમાં ૧૩૦૦૦ જણે પ્રેમમાં પડયા પછી આત્મહત્યા કરી લીધી હતી.તેમાંથી ૬૪ ટકા ૧૮થી૩૦ વર્ષની વયના યુવાનો હતાં.
પુરુષપ્રધાન સમાજમાં આ વાત આંચકાજનક લાગે તેવી છે.પરંતુ નિષ્ણાતો કહે છે કે પ્રેમમાં નાસીપાસ થયેલા યુવાનો અથવા તો આત્મહત્યા કરે છે કે પછી હત્યા-હિંસા.મહત્વની વાત એ છે કે આમ કરવા પાછળનું મૂળ કારણ પ્રેમમાં મળેલી નિષ્ફળતા નથી હોતી. બલ્કે તેમને એમ લાગે છે જાણે તેમના પૌરુષત્વ સામે પડકાર ફેંકવામાં આવ્યો છે કે પછી તેમની મર્દાનગીને નકારવામાં આવી છે.પ્રેમમાં મળેલી નિષ્ફળતા તેમના પુરુષ હોવાના અહમ્ પર કારમો ઘા કરે છે. તેમની આવી માનસિકતાનું કારણ તેમનો પુત્ર તરીકેનો ચોક્કસ પ્રકારનો ઉછેર હોય છે. વાસ્તવમાં આપણા સમાજમાં આજે પણ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. દરેક બાબતમાં દીકરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. તેમને રડવાની કે હારવાની જાણે કે વણલખી મનાઇ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તેઓ પ્રેમમાં નાસીપાસ થાય છે, જો કોઇ યુવતી તેમને પસંદ નથી કરતી ક ે તેમનો અસ્વીકાર કરે છે ત્યારે પેદા થતી હારની લાગણી તેમને આત્મહત્યા અથવા હત્યા-હિંસા તરફ દોરી જાય છે.
સોશ્યલ મીડિયાના આધુનિક દૌરમાં યુવાનોએ એક વેબસાઇટ પર લખેલા પોતાના વિચારો પરથી પણ તેમની પૌરુષત્વ વિષયક માનસિકતાનો ખ્યાલ આવે છે. એક યુવાને એક વેબસાઇટ પર લખ્યું હતું કે હું શાળાના છેલ્લા વર્ષમાં હતો ત્યારેપ્રેમ, સેક્સ, રિલેશનશીપ વિશેનો મારો તરવરાટ ચરમસીમાએ હતો. તેણે વધુમાં લખ્યું હતું કે એક યુવતીની કિંમત તેના ં સૌંદર્ય થી અંકાય છે અને યુવકનું મૂલ્ય એ વાત પરથી નક્કી થાય છે કે કેટલી સૌંદર્યવતીઓ તેને પસંદ કરે છે. તમે તમારા અભ્યાસમાં ગમે તેટલા તેજસ્વી કેમ ન હો, પરંતુ જ્યાં સુધી છોકરીઓ તમારા ઉપર ફિદા ન થાય ત્યાં સુધી બધું નકામું.તમને મનમાં એમ જ લાગ્યા કરે કે એક વખત કોઇ કન્યા સાથે તમારો નિકટનો સંબંધ સ્થાપાઇ જાય પછી જ તમે ખરા પુરુષ.
અન્ય એક યુવકે લખ્યું હતું કે જ્યારે કોઇ પુરુષને સ્ત્રી તરફથી નકારાત્મક પ્રતિક્રિયા મળે છે ત્યારે તે હતાશામાં નશાના રવાડે ચડી જાય છે. તેણે વધુમાં લખ્યું હતું કે આજ ે યુવાનો બેસ્ટ પોર્ન સ્ટાર્સના કંઇકેટલાય વિડિયો ડાઉનલોડ કરીને જૂએ છે.આમ છતાં આપણે ક્યારેય ખુલ્લેઆમ સેક્સ કે માનવીય ભાવનાઓ વિશે વાતચીત નથી કરતાં.આવી સ્થિતિમાં જ્યારે યુવતી તરફથી જાકારો મળે ત્યારે તેના વિશે વાત કરતાં પણ પુરુષોને સંકોચ થાય છે.તેમને પોતાની હાંસી ઉડાવવામાં આવશે એવો ભય લાગે છે. છેવટે તેઓ મનોમન ઘૂંટાઇને આલ્કોહોલ લેવા તરફ વળી જાય છે.ઘણાં કિસ્સાઓમાં એ પણ જોવામાં આવ્યું છે કે પુત્ર યુવાન થાય ત્યારે માતાપિતા તેની સાથે ચોક્કસ અંતર જાળવી રાખે છે.અને જ્યારે આવા યુવાનો કોઇ યુવતીને ડેટ ન કરતાં હોય ત્યારે સ્ત્રી તરફથી મળતી હૂંફ માટે પણ વલખાં મારે છે.પછી તે હૂફ તેની માતાની કેમ ન હોય. તેથી જરૂરી નથી કે દીકરો મોટો થાય પછી માતા તેને ગળે ન વળગાડી શકે. તે કોઇપણ વયના પુત્રને ગળે વળગાડીને તેને પોતાની મમતાની અનુભૂતિ કરાવી શકે છે.
મનોચિકિત્સકો કહે છે કે આપણા સમાજમાં છોકરાઓને નાનપણથી એવી રીતે ઉછેરવામાં આવે છે કે તે પુરુષ છે તેથી તે રડી ન શકે,તે કોઇપણ સંજોગોમાં હતાશ કે નિરાશ ન થઇ શકે, તે હારી ન શકે વગેરે વગેરે. પણ હકીકતમાં પુરુષો પણ ઇન્સાન હોય છે.તેમનામાં પણ માનવીય લાગણીઓ,નબળાઇઓ હોવાની જ. આમ છતાં જ્યારે તેમને હતાશાજનક સ્થિતિનો સામનો કરવો પડે ત્યારે તેઓ ભીતરથી પડી ભાંગે તોય પોતાની નિરાશા પ્રગટ ન કરે. ખાસ કરીને પોતિકા લોકો સામે. છેવટે આવી માનસિક સ્થિતિથી ભાગવા તેઓ નશો કરે અથવા કોઇક અજાણી યુવતી સમક્ષ પોતાનું હૈયું ઠાલવે.
તેઓ વધુમાં કહે છે કે પ્રેમ સંબંધમાં પણ પુરુષો પર બોજો જ હોય છે. આપણા સમાજમાં આજે પણ પ્રેમ વચ્ચે ન્યાત-જાત-ઘર્મ-આર્થિક અસમાનતા ર્ જેવી ઘણી અડચણો આવે છે.તેથી પ્રેમમાં કોની સાથે પડવું એ પણ યક્ષ પ્રશ્ન થઇ પડે છે.એવું પણ બને કે કોઇ યુવક પોતાના કરતાં ઊંચી જ્ઞાાતિની યુવતીને પ્રેમ કરતો હોય,પણ તે યુવતી પોતાને તેના કરતાં ઊંચી માનતી હોય અને તે સંબંધિત યુવકના પ્રેમને ન ગણકારે.આવું બને ત્યારે અકળાઇ ઉઠેલો યુવક આત્મહત્યા કે હત્યા જેવું અંતિમ પગલું ભરી બેસે છે.આ કારણે જ દેશના વિવિધ ભાગોમાં યુવકોએ એકતરફી પ્રેમમાં પોતાને ગમતી યુવતીઓની સરેઆમ હત્યા કરી નાખી હોય એવા કિસ્સા જોવા-સાંભળવા મળે છે.આમ કરવા પાછળ તેમનો પ્રેમ નહીં ,બલ્કે ઘવાયેલો અહમ્ કારણભૂત ે હોય છે.તે સંબંધિત યુવતીના અસ્વીકારને પચાવી નથી શક્તો. બાકી તમે જે વ્યક્તિને પ્રેમ કરતાં હો તેને ઇજા શી રીતે પહોંચાડી શકો?
મનોવૈજ્ઞાાનિકો કહે છે કે સમય પાકી ગયો છે કે આપણે છોકરા-છોકરીઓના ઉછેરમાં થતો ભેદભાવ દૂર કરીએ. પુત્રો માટે નિશ્ચિત કરવામાં આવેલા વણલખ્યા ધારાધોરણોેને તિલાંજલી આપીએ.છોકરાઓને નાનપણથી જ એવી તાલીમ આપીએ કે તેમનો અસ્વીકાર પણ થઇ શકે, તે હારી પણ શકે, તે રડી પણ શકે,તે નિરાશ કે હતાશ પણ થઇ શકે.તે પણ મહિલાઓની જેમ જ હાડમાંસના માનવી છે, તેમની ભાવનાઓ પણ સ્ત્રીઓ જેવી હોઇ શકે.ઇશ્વરે ભલે તેમને સ્ત્રીઓ કરતાં વધુ મજબૂત શરીર આપ્યું છે પણ હૈયાને થોડાં હાડકાં હોય છે?તો પછી પુરુષ હોવાનો ઘમંડ કે અહમ્ શા માટે રાખવો.આવી માનસિકતા જ તમારી નીંદર હરામ કરી દઇ શકે છે.બહેતર છે કે વાસ્તવિક્તાનો સ્વીકાર કરતાં શીખી જાઓ.
- વૈશાલી ઠક્કર


