પાણીની ટાંકીની સફાઈ પણ જરૂરી .
શું તમે જાણો છો કે આખી દુનિયામાં દર વર્ષે થતાં કુલ મૃત્યુ આંકમાંથી ૬ ટકા દૂષિત પાણીના કારણે થાય છે અને દૂષિત પાણી દ્વારા ઉત્પન્ન થતા રોગોથી લગભગ ૮ ટકા દરદી શારીરિક વિકલાંગતાનો શિકાર બને છે ?
મોટેભાગે ઘરની અંદરની સાફસફાઈ અને હાઈજિન પ્રત્યેનું ધ્યાન તો આપણે બધાં રાખતાં હોઈએ છીએ, પરંતુ ઘરની બહાર, ધાબા પર મૂકેલી પાણીની ટાંકી સાફ કરવા તરફ ઘણુંખરું કોઈનું પણ ધ્યાન નથી જતું.
ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતું પાણી દૂષિત થવાનું મુખ્ય કારણ છે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તે પાણીની ટાંકીની અવારનવાર સફાઈ ન થવી. આ ટાંકી ધાબા ઉપર મૂકવામાં આવે છે, એટલે સામાન્ય રીતે એની સાફસફાઈ તરફ ધ્યાન આપવામાં આવતું નથી.
રોગાણુ, ફૂગ, કીડીમંકોડાને ઠંડી જગ્યા આરામદાયક લાગતી હોય છે એટલે તે સ્થિર પાણી, જેમ કે વોટરટેન્કમાં જલદી ફેલાય છે અને પાણીને દૂષિત બનાવે છે. આ દૂષિત પાણીનો ઉપયોગ આપણે રસોડામાં કરીએ છીએ, આથી આપણને રોગ જલદી થઈ જાય ચે.
ઘણુંખરું બધાંનાં ઘરોમાં અને બિલ્ડિંગોમાં ટેન્કની સફાઈ કરવા માટે પ્લંબરને બોલાવવામાં આવે છે. પ્લંબર પણ બહારથી કોઈ મજૂરને લઈ આવે છે. તેને ટેન્કમાં ઉતારીને ટેન્કની ફરસ, છત અને દીવાલો ઘસીઘસીને સાફ કરાવવામાં આવે છે અને પછી ટેન્ક સર્ફના પાણીથી ધોઈને, સુકાય પછી ફરી પાણી ભરવામાં આવે છે. સફાઈ કરવા માટે અપરિષ્કૃત અને જૂનાં સાધનો જેમ કે સાવરણો, ડંડો, બ્લીચિંગ પાઉડર, સર્ફ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, તે કોઈ પણ રીતે હાઈજિનિક નથી.
આ રીત બરાબર નથી. આ પ્રકારે સફાઈ કર્યા પછી ટેન્કનું પાણી જરૂર સાફ દેખાય છે, પરંતુ બીમારી ઉત્પન્ન કરતાં જીવાણુ મરતાં નથી.
બીજું, જે મજૂરો પાસે ટેન્ક સાફ કરાવવાનું કામ કરાવવામાં આવે છે, તેમને હાઈજિનનો અર્થ સુધ્ધાં ખબર નથી હોતી. તેમના પોતાના હાથપગ પણ સાફ નથી હોતા. તેમના શરીર પર ફોલ્લા-ફોલ્લી કે પછી બીજો કોઈ ત્વચા રોગ થઈ શકે છે. આ ઉપરાંત આ લોકોને આખો વખત પાન-ગુટકા ચાવવાની ટેવ હોય છે. આવા લોકો ટેન્ક તો સાફ કરી આપે છે, પરંતુ તેમનાં ગંદાં કપડાં અને શરીરનાં જીવાણુ પાણીને પ્રદૂષિત કરવાનું કારણ બની જાય છે.
વોટર પ્યૂરિફાયર
આજે કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં પીવાનું પાણી શુદ્ધ કરવા માટે વોટર પ્યૂરિફાયર ન હોય. દૂષિત પાણીને કારણે આ વોટર પ્યૂરિફાયરની પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધીરેધીરે ઓછી થતી જાય છે. ટેન્કમાંથી આવતું પાણી ગંદું હોવાથી એનાં ફિલ્ટર જલદી ખરાબ થઈ જાય છે અને મશીનમાં કાટ લાગી જાય છે. એટલે આ વોટર પ્યૂરિફાયરની વધારે સંભાળ રાખવાની જરૂર પડે છે. એનાથી વિપરીત જો ટેન્કમાંથી સાફ પાણી સપ્લાય થતું હોય તો વોટર પ્યૂરિફાયરનાં ફિલ્ટર વગેરે લાંબા સમય સુધી ચાલે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ નહીંવત્ હોય છે.
ગંદકી ભેગી થવી
ટેન્ક કેટલી ગંદકીવાળી છે, એ જાણવા માટે ટેન્ક ખાલી કરી તેની નીચેની સપાટી પર રહેલું પાણી ચેક કરો. ઘણુંખરું લોકો ટેન્કમાં ડોકિયું કરી જોઈ લે છે, પરંતુ ટેન્કમાં અંધારું હોવાના કારણે કશું દેખાતું નથી, પાણી ચાંગળું ભરીને જોવાથી પાણી સાફ જ દેખાય છે. હકીકતમાં, પાણીમાં ધૂળમાટી, રેત વગેરે નીચેની સપાટી પર બેસી જાય છે અને ઉપર સાફ પાણી દેખાય છે. ટેન્ક બિલકુલ ખાલી કરી લેવી. પાણી ખતમ થતાં જ ટેન્કની નીચે રેત, કચરો, કીચડ વગેરે જોવા મળે છે.
પહેલાં તો ઘરમાં પોતપોતાની નાનીનાની ટાંકીઓ રહેતી, તેને સાફ કરવી બહુ મુશ્કેલ નહોતી. પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી મલ્ટિસ્ટોરી બિલ્ડર્સ ફ્લેટ્સનું ચલણ વધ્યું છે. કેટલાંક મકાનોમાં તો બધાંને પોતપોતાની ટેન્ક હોય છે, પરંતુ તે ટેન્કમાં પણ પાણી જમીનમાં બનેલી મોટી અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી સપ્લાય થાય છે. કેટલાંક બિલ્ડિંગોમાં એક મોટી ટેન્ક હોય છે, તેમાંથી બધાંનાં ઘરમાં પાણી સપ્લાય થાય છે. આટલી મોટી ટેન્કની સફાઈ જાતે કરવી કે પછી કોઈ બીજા દ્વારા કરાવવી મુશ્કેલ જ નહીં, જોખમકારક કામ છે.
આજકાલ સ્પર્શ માત્રથી અલગઅલગ પ્રકારની બીમારીઓ ફેલાય છે. હાઈજિનની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને પાણીની ટેન્કમાં ઉતારીને સફાઈ કરાવવી યોગ્ય નથી. ટેન્ક સાફ કરવા માટે ઘણી બધી કંપનીઓ પોતાની સેવાઓ પ્રદાન કરે છે. એટલે આ કાર્ય પોતે ન કરવું અને પ્રોફેશનલ ટીમ દ્વારા જ કરાવવું જોઈએ. તેમની પાસે બધા પ્રકારે સંપૂર્ણ તાલીમ લીધેલા કાર્યકરો હોય છે, તેમની પાસે એક જ નહીં, હજારો ટેન્કો સાફ કરવાનો અનુભવ હોય છે.
તેઓ ટેન્ક સાફ કરતી વખતે સુરક્ષાના માપદંડોનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તેમની પાસે આધુનિક મશીનો અને સાધનો હોય છે, જેનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી હાથ લગાડયા વિના ટેન્ક હાઈજિનિક પ્રકારે સાફ કરે છે. તેમની ટેક્નિક વધારે અસરકારક હોય છે. પાણીમાં ઉત્પન્ન થતાં વાયરસ, બેક્ટેરિયા અને બીજાં જીવાણુઓને કીટનાશક, રોગાણુનાશક રસાયણો દ્વારા વૈજ્ઞાાનિક રીતે નષ્ટ કરી પાણીને દરેક પ્રકારે ચેપ મુક્ત કરે છે.
ટેન્ક સાફ કરવી બધાને બહુ મોટી મુશ્કેલી લાગે છે, પરંતુ આજે ઘણી બધી પ્રોફેશનલ ટેન્ક ક્લીનિંગ કંપનીઓ આ કામ થોડી જ વારમાં પૂરું કરી દે છે.
તો તમારા માટે તૈયાર છે તમારા મનમાં ઊઠતા પ્રશ્નોના જવાબ :
ટેન્ક સાફ કરવામાં કમ સે કમ કેટલો સમય લાગે છે?
એ ટેન્કની ક્ષમતા પર નિર્ભર કરે છે. ૧૫,૦૦૦ લિટર પાણીની ક્ષમતાવાળી ટેન્ક સાફ કરવા માટે લગભગ ૧ કલાકનો સમય લાગે છે.
ટેન્ક સાફ કર્યા પછી કેટલા સમય પછી તેનો ઉપયોગ કરવામાં આવે છે?
ટેન્ક સાફ કર્યા પછી તરત જ તેમાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ કોઈ પણ કામ માટે કરી શકો છો.
ટેન્કની સફાઈ કેટલા સમય પછી કરવી જોઈએ?
આમ તો ટેન્કની સફાઈ કમ સે કમ વર્ષમાં ૨ કે ૩ વખત કરવી જોઈએ, પરંતુ ભારતનું પ્રદૂષિત પર્યાવરણ અને બેદરકારીના કારણે વધારે ટેન્કની પાઈપલાઈનોમાંથી પાણી સતત ઝમવાના કારણે ટેન્કનંપ પાણી જલદી પ્રદૂષિત થઈ જાય છે એટલે ટેન્કની સફાઈ વર્ષમાં કમ સે કમ ૪ વખત એટલે કે દર ૩ મહિના પછી જરૂરી છે.
ટેન્ક સાફ કરવા માટે ક્યાં ક્યાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે?
ટેન્ક સાફ કરવા માટે હાઈ વોલ્યૂમ પંપ, હાઈ પ્રેશર રોટરી જેટ મશીન, સાફ કરતાં પહેલાં ટેન્ક પૂરેપૂરી ખાલી કરીને ટેન્કની નીચે ભેગો થયેલો કીચડ દૂર કરવા માટે હેવી ડયૂટિ સેક્શન પંપ, વેક્યૂમ ક્લીનર અને યૂ.વી. લેમ્પ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
ટેન્ક સાફ કરવા માટે બુકિંગ કરાવતી વખતે ગ્રાહકને કઈ કઈ સૂચનાઓ આપવામાં આવે છે?
કેટલી ટેન્ક સાફ કરવાની છે, ટેન્કનો આકાર અને ક્ષમતા (લિટરમાં), ટેન્ક કેવા પ્રકારની છે. (આર. સી. સી., ટાઈલ્ડ, સિંટેક્સ વગેરે), જે ટેન્ક સાફ કરવાની છે, તે ક્યાં મૂકેલી (કયા માળ પર) છે, ટેન્ક સાફ કરવા માટે સગવડવાળો દિવસ, સમય અને સૌથી મહત્ત્વની વાત એ કે ટેન્ક સાફ કરવા માટે ઉપયોગમાં લેવાનાં બધાં સાધનો વીજળીથી ચાલતાં હોય છે, એટલે વીજળીનો સપ્લાય ટેન્કથી કેટલો દૂર છે આ કહેવું જરૂરી છે.
ટેન્ક સાફ કેવી રીતે થાય છે?
સૌથી પહેલાં ટેન્કની આસપાસની જગ્યા અને ટેન્કના ઢાંકણાની આસપાસ ભેગી થયેલી ધૂળમાટી અને લીલ, કાટ વગેરે સાફ કરવામાં આવે છે. તે પછી હાઈપ્રેશર જેટ દ્વારા ટેન્કની છત અને દીવાલો સાફ કરવામાં આવે છે. પછી ટેન્કની સપાટી પર ભેગો થયેલો કીચડ અને ગંદા પાણીને હાઈપ્રેશર પંપની મદદથી બહાર કાઢવામાં આવે છે.
કીચડ કાઢવા ઉપરાંત ટેન્કની ફરસ પર ભેગી થયેલી રેતી અને માટી કાઢવા માટે વેક્યૂમ પંપ ચાલુ કરવામાં આવે છે અને વધેલી ધૂળને ઇન્ડસ્ટ્રિયલ પંપ દ્વારા કાઢવામાં આવે છે. ટેન્કની પૂરેપૂરી સફાઈ થઈ ગયા પછી ટેન્કની છત અને દીવાલોને દરેક પ્રકારના ચેપથી બચાવવા માટે વિશિષ્ટ પ્રકારના એન્ટિબેક્ટેરિયલ એજન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે ટેન્કમાં અન્ય વધ્યાઘટયા જીવાણુઓને યૂ.વી. રેડિએટર દ્વારા નષ્ટ કરવામાં આવે છે.