Get The App

વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો :- ભાગ-4

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
વેજીટેબલ્સ અને તેનાં ઔષધીય ગુણો :- ભાગ-4 1 - image

- આરોગ્ય સંજીવની

આજનાં અંકમાં ત્રણ એવા શાકભાજી વિશે ચર્ચા કરીશું કે જેનાં ઔષધીય ગુણો ઔષધથી જરા પણ ઓછા નથી.

જેમાં, આજે હું સૂરણ વિશે વાત કરવા જઈ રહી છું. સૂરણ જમીનમાં થનારો સ્થૂળ અને મોટો કંદ છે. તેનાં બે પ્રકાર પડે છે. (૧) મીઠી સૂરણ (૨) વળવળાટવાળી સૂરણ.

વળવળાટવાળું સૂરણ લીસું હોય છે. તેને ઉકાળવાથી વળવળાટ ઓછો થાય છે. તેથી સૂરણનું શાક પાણીમાં બાફયા પછી જ બનાવવાનો રિવાજ છે.

મીઠું સૂરણ ગુણવત્તામાં વધારે સારું છે. તેના ગરનો રંગ સફેદ અથવા આછો ગુલાબી હોય છે. સૂરણનું શાક, રોટલી, પૂરી, ખીર અને શીરો તેમજ અથાણું પણ બને છે. સૂરણની ચીપ્સ મીઠું, મરી નાંખીને ખવાય છે. ઘી માં બનાવેલ શાક કે ચીપ્સ વધારે પુષ્ટિકારક બને છે.

ઔષધીય ગુણ : સૂરણ હરસ-મસાને મટાડનાર છે. તે અગ્નિપ્રદિપ્ત કરનાર, રુચિકારક, કફ, બરોળ અને ગોળાને મટાડનાર છે. પરંતુ રક્તપિત્ત, ખૂજલી કે ચામડીનાં દર્દવાળાએ તેમજ અમ્લપિત્તવાળાએ તેને ભૂલમાં પણ ન ખાવું.

આમ ઉપર : સૂરણને કકડા કરી સૂકવી ચૂર્ણ કરવું. તેને ઘીમાં શેકી સાકર મેળવી ખાવાથી આમવાત મટે છે. હરસ-મસામાં પણ આ ફાકી ખૂબ જ લાભપ્રદ છે.

સર્વપ્રકારનાં હરસ-મસા ઉપર : ૧ તોલો મરી, ૮ તોલા ચિત્રક, ૧૬ તોલો સૂરણનું ચૂર્ણ અને ૫૦ તોલા ગોળ મેળવી મોટા બોર જેવડી ગોળીઓ બનાવવી. આ ગોળી સવાર-સાંજ ખાવાથી તમામ પ્રકારનાં હરસ-મસા મટે છે.

આજનું બીજું વેજીટેબલ છે 'આદું' : આદું એ પાચક અને અગ્નિદીપક છે. કફ, વાયુ, કંઠરોગ, દમ, ઉધરસ અને શૂળ વગેરને તે ઘટાડે છે.

અજીર્ણ ઉપર : આદુંનો રસ એક ચમચી, થોડું સિંઘવ મેળવી લેવાથી અજીર્ણ દૂર થાય છે. તો આમવાતનો નાશ કરી ભૂખ લગાડે છે. આ પ્રયોગમાં આદું-લીંબુના રસમાં જરૂરિયાત પ્રમાણે વધ-ઘટ કરી શકાય છે.

કાસ-શ્વાસ ઉપર : આદુંના રસમાં મધ મેળવી પીવડાવવાથી ઘણી રાહત રહે છે અને લાંબેગાળે કાસ-શ્વાસ મટે પણ છે.

ઉલટી ઉપર : આદુંનો રસ અને કાંદાનો રસ એક-એક તોલો મિક્સ કરી પીવડાવાથી ઉલટી મટે છે.

બહુમૂત્ર રોગ ઉપર : આદુંનો રસ અને ખડી-સાંકર મેળવી તેને સવાર-સાંજ લેવાથી અતિમૂત્રતાનો રોગ મટે છે.

ભ્રમયુક્તપિત્ત ઉપર : છ તોલા ગાયના દૂધમાં બે તોલા આદુંનો રસ મેળવી ધીમા તાપે ગરમ કરી તેમાં જરૂર પ્રમાણે સાકર નાખવી. અડધું બળી જાય ત્યારે ઉતારી સૂતી વખતે આપવાથી દર્દી પિત્ત અને ભ્રમથી મુક્ત થઇ શાંતિથી સૂઈ જાય છે. આ સિવાય આ પ્રયોગ જો અનુકૂળ ન હોય તો, બે તોલા આદુંનો રસ, બે તોલા આમળાનો રસ, બે તોલા ખાંડ, બે તોલા ગાયનું ઘી આટલું એકત્ર કરી અડધું બળે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. સવારે નરણે કોઠે અને સાંજે સંધ્યા ટાણે આપવું. આ પ્રયોગથી પણ ખૂબ ફાયદો જણાશે.

જે દર્દીઓને ખૂબ જ અરુચિ રહેતી હોય તેમણે જમતી વખતે આદું અને સિંધવ ભોજનમાં લેવાં.

આદું પાક

૧. આદુંનો રસ કાઢી તેમાં પાણી નાખી પછી સાંકર નાખી તેનો પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવિંગ મેળવી તે ભરી રાખવું. આ પ્રયોગથી અજીર્ણ અવશ્ય મટે છે.

૨. આદુંને છોલીને છીણી નાખવું. તેને ઘીમાં બરાબર શેકી લેવું. બરાબર તે શેકાઈ જાય ત્યારે જરૂરિયાત પ્રમાણે ગોળ મેળવી બરાબર ચાસણી થાય ત્યારે ઉતારી લેવું. આમાં કોપરું છીણીને બદામ, જાયફળ, લવિંગ, એલચી, કેસર, જાવંત્રી વગેરે નાખી શકાય છે. આ પાકના સેવનથી વારંવાર થતી શરદી મટે છે. ભૂખ ખૂલવાથી સરખા પ્રમાણમાં ખોરાક લઈ શકાય છે અને શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી આવે છે. આમવાત અને મળબધ્ધતા (કબજિયાત) જેવા રોગો નાશ પામે છે.

આજે ત્રીજુ એક શાકભાજી અને તેના ઔષધીય ગુણો વિશે પણ જાણીશું. જે છે ભીંડા. ભીંડા પથ્યકર અને સ્વાદિષ્ટ છે. ભીંડા જેઠ, અષાઢ અને શિયાળામાં એમ વર્ષમાં બેવાર ખવાય છે. ભાદરવામાં ભીંડા ખૂબ ફલે છે.

ભીંડોશાક તરીકે ઉત્તમ ગણાય છે. ભીંડાનું શાક, કઢી અને રાયતું પણ થાય છે.

ભીંડામાં વિટામીન સી અને એ તેમજ લોહ, ત્રાંબુ, ગંધક, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ હોય છે. ભીંડા વાયુ અને કફકારક છે, તેથી ખાંસી, મંદાગ્નિ કે વાત પ્રકૃતિના લોકો માટે ત્વજવા યોગ્ય છે.

ધાતુપુષ્ટિ માટે સવારે નરણે ૨૦થી ૨૫ ભીંડા માફક આવે તેટલા કૂણાં ભીંડા ચાવીને ખાવાથી બળ અને ધાતુ વધે છે.

આમવાત ઉપર : ભીંડાનાં મૂળ સાકર સાથે ખાવાથી આમવાતમાં ફાયદો થાય છે.

પ્રમેહની બળતરા ઉપર : ભીંડાનાં તાજા બી વાટી સાકર નાંખીને ખાવાથી પેશાબથી બળતરા મટે છે.

આમ, આ વેજીટેબલ્સ ઔષધનાં રૂપમાં પણ ઘણાં જ ફાયદાકારક છે.

- જહાનવીબેન ભટ્ટ