Get The App

ગર્ભાશયની અળવીતરી ગાંઠ અને ગર્ભપાત પછીની બીમારીઓ

Updated: Jan 2nd, 2023

GS TEAM


Google News
Google News
ગર્ભાશયની અળવીતરી ગાંઠ અને ગર્ભપાત પછીની બીમારીઓ 1 - image


ગર્ભાશયમાં થતું ફાઇબ્રોઇડ ટયૂમર ખરેખર બહુ અળવીતરું હોય છે. કેમ કે તે ઇચ્છે તો વર્ષો સુધી ડાહ્યાડમરા બાળકની જેમ ચૂપચાપ ગર્ભાશયમાં પડયું રહી શકે છે. અને જો તે તોફાને ચડે તો દર્દીને હેરાનપરેશાન કરી મૂકે છે. દર્દીને થાય છે કે તે બને તેટલું જલદી ઓપરેશન કરાવી એનાથી છૂટકારો મેળવી લે. આમ ન કરવામાં આવે તો આ ટયૂમર અસહ્ય દુખાવો કે વધારે પડતો રક્તસ્ત્રાવ કરી દરદીમાં લોહીની ઉણપ ઊભી કરી દે છે. ક્યારેક ક્યારેક તો દર્દીને બે-ત્રણ બાટલા લોહી પણ ચડાવવું પડે છે. આમ છતાં હું કહી શકું આ ટયૂમર અળવીતરું જરૂર છે. પરંતુ ખતરનાક નથી. જો તમે એનાથી બરાબર માહિતગાર થવા માગતા હો તો આવો એનું બંધારણ જોઇએ અને એની ખતરનાક અસરો વિશે પણ જાણીએ.

આ ટયૂમર માટે ભાગે કેન્સરમાં પરિણમે નહીં તેવું હોય છે. સ્ત્રીઓમાં ઉત્પન્ન થતું એસ્ટ્રોજન હોર્મોન આ ટયૂમરને વધવામાં મદદ કરે છે. ૨૦ થી ૪૫ વર્ષની ઉંમર દરમિયાન મહિલાઓને આ ટયૂમર થવાની શક્યતા વધારે હોય છે. કોઇ કોઇ વાર ૧૫-૧૬ વર્ષની કુંવારી છોકરીઓમાં પણ એ જોવા મળે છે. માસિક ધર્મ બંધ થયા પછી આ ટયૂમર થવાની સંભાવના બહુ ઓછી હોય છે.

આ ટયૂમર કેમ થાય છે? તેનાં કારણ કયા કયા છે? એ હજી સુધી જાણી નથી શકાયું. પરંતુ બનતા સુધી તે ગર્ભાશયની માંસપેશીઓની અસામાન્ય વૃધ્ધિથી થાય છે. આ ટયૂમર અંડાશયના ગ્રેન્યૂલોજા સેલ ટયૂમર તેમજ મોટા ભાગે એની પોલીસિસ્ટીક  ઓવરીઝ સાથે પણ જોવા મળે છે કેમકે આ બંને બીમારીઓમાં એસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે.

રજોનિવૃત્તિ પછી ફાઇબ્રોઇડ ટયૂમર થાય તો ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

* ફાઇબ્રોઇડ ટયૂમર ત્રણ પ્રકારનાં હોય છે. ૭૫ ટકા ફાઇબ્રોઇડ ઇન્ટ્રામ્યૂરલ એટલે કે ગર્ભાશય દીવાલોમાં અંદર ને અંદર વધતું રહે છે. એથી માસિક અનિયમિત આવવું, વધારે પડતું માસિક આવવું અને માસિક વખતે ખૂબ જ દુખાવો થવો વગેરે તકલીફો ઊભી થાય છે.

આ ટયૂમર પોતે આ બધું નથી કરતું. પરંતુ એની સાથે જ્યારે અંડાશયમાં પણ ફેરફાર થાય ત્યારે હોર્મોનની અસમતુલા જ આવાં પરિવર્તનકર્તા લક્ષણોને જન્મ આપે છે.

* સબમ્યૂક્સ ફાઇબ્રોઇડની સંભાવના ૧૫ ટકા હોય છે. જો તે ગર્ભાશયની અંદરની તરફ વધતું જાય અને એમાં પણ એના પોલાણમાં આવી જાય ત્યારે માસિક ઘણા દિવસ સુધી ચાલુ રહે છે. જો કોઇ સ્ત્રીને માસિક દરમિયાન ૪-૫ દિવસ સુધી રક્તસ્ત્રાવ થતો હોય અને જો તેને આ પ્રકારનું ફાઇબ્રોઇડ થાય તો માસિક ૮-૧૦ દિવસ સુધી આવ્યા કરે છે, જેથી એ મહિલાના શરીરમાં લોહીની ઊણપ ઊભી થઇ જાય છે. ગર્ભાશય સંકોચાતું નથી એટલે માસિક દરમિયાન દુખાવો પણ બહુ થાય છે. કેટલીક મોટી ઉંમરની સ્ત્રીઓને તો યોનિમાંથી લોહીવાળું પ્રવાહી પણ નીકળે છે. આવી સ્થિતિમાં કેન્સરની શક્યતા વધી જાય છે.

* ત્રીજા પ્રકારનું ફાઇબ્રોઇડ છે સબસીરસ તે ગર્ભાશયની ઉપલી સપાટી પર વિકસે છે અને એનાં લક્ષણો દેખાય ત્યાં સુધી તે વર્ષો સુધી વધ્યા જ કરે છે. આ ટયૂમર તૂટેલા નાળિયેરની ગાંઠરૂપે પેટમાં પડયું રહે છે. સાદી ભાષામાં એને ફરતી ગાંઠ કહેવામાં આવે છે. ધીરે ધીરે તે આંતરડાઓ સાથે ચોંટીને એમાંથી લોહી સૂચવા લાગે છે.

સબમ્યૂક્સ ફાઇબ્રોઇડ હોય તો વારંવાર કસુવાવડ થઇ શકે છે અને વાંઝિયાપણું પણ આવી શકે છે. ક્યારેક ક્યારેક ગર્ભાશયનું સબસીરસ ફાઇબ્રોઇડ પેશાબની થેલી પર દબાણ કરવા લાગે છે. જેથી મહિલાને વારંવાર પેશાબ જવાની તકલીફ ઊભી થાય છે. ઘણીવાર ગર્ભાશયની બાજુમાં બ્રોડ લિંગામેન્ટમાં જ્યારે ફાઇબ્રોઇડ વિકસે છે. ત્યારે તે પેશાબ લઇ જતી નળીઓ પર દબાણ કરે છે અને અવરોધ ઉભો કરી કિડની કે મૂત્રાશયનું કદ મોટું કરી દે છે, જેથી કિડનીને નુકસાન થાય છે.

 જે સ્ત્રીઓને ઓછાં બાળકો હોય છે એમને ફાઇબ્રોઇડ ટયૂમર થવાની શક્યતા વધારે હોય છે. તેથી જ આજકાલ કુટુંબનિયોજનના કારણે ટયૂમરના કેસ બહુ વધી ગયા છે.

ઘણીવાર ટયૂમર એવી સ્થિતિ ઊભી કરી દે છે જેથી જો પેન્ડક્યૂલેટેડ ફરી જાય અને એમાં આંટી પડી જવાને લીધે એવી રક્તવાહિનીઓમાં અવરોધ ઊભો થાય તો દર્દીને અસહ્ય દુખાવો થાય છે. ફાઇબ્રોઇડમાં જો રેડ ડિજનરેશનના નામથી ઓળખાતો એક પ્રકારનો ફેરફાર ઊભો થઇ જાય તો ઓપરેશન સિવાય બીજો કોઇ ઉપાય રહેતો નથી. કોઇ નવવધૂ કે ઓછી ઉંમરની યુવતીને જો આવું ટયૂમર કે ગાંઠ હોય તો તે મા ન બની જાય ત્યાં સુધી તેણે ઓપરેશન ટાળવું જોઇએ.

ગર્ભપાત

આમ તો ગર્ભપાત કે કસુવાવડ એક શારીરિક વિસંગતિ છે, પરંતુ એ પછી પણ શરીરમાં કેટલીક બીમારીઓ રહી જાય છે, જેનો સામનો સાવધાનીપૂર્વક કરવાનો હોય છે. આ બીમારીઓ કઇ કઇ છે તે જાણીએ.

રક્તસ્ત્રાવ: ગર્ભપાત પછી ૩ દિવસ કે ૩ અઠવાડિયાં સુધી રક્તસ્ત્રાવ થઇ શકે છે. આ રક્તસ્ત્રાવ સામાન્ય માસિક વખતે થતા રક્તસ્ત્રાવથી ઓછો હોય છે. એમાં લોહીના નાના નાના ગઠ્ઠા નીકળે છે. પરંતુ જો રક્સ્ત્રાવ વધારે પ્રમાણમાં થતો હોય અને ગઠ્ઠાનું કદ પણ થોડું મોટું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.

ચૂંક કે અમળાટ: ગર્ભપાત કે કસુવાવડ પછી બે દિવસ સુધી પેટમાં અમળાટ રહે છે. કેમ કે ગર્ભાશય એના મૂળ કદમાં પાછું આવતું હોય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે પેટના નીચેના ભાગમાં શેક કરી આરામ કરો. પરંતુ જો દુખાવો અસહ્ય થઇ જાય તો ડોક્ટરને બતાવવું હિતાવહ છે. કેમ કે માંસપેશીઓ ખેંચવાના લીધે કોઇ ચેપ લાગી ગયો હોય એવું પણ શક્ય છે.

શરીરનું ઉષ્ણતામાન: ગર્ભાશય પછી શરીરનું ઉષ્ણતામાન જો સામાન્યથી વધી જાય તો ડોક્ટરની સલાહ જરૂર લો. શરીર વધારે ગરમ હોવું એ શરીરમાં કોઇ વિકાર હોવાનું સૂચવે છે.

હતાશા: ગર્ભપાત પછી મહિલા માનસિક રીતે પણ ભાંગી પડે છે. આથી એનામાં દુ:ખ, ખિન્નતા વગેરેની ભાવનાઓ ઘર કરવા લાગે છે. 

પરંતુ આવા સમયે સાહસ અને બુધ્ધિથી કામ લેવું જોઇએ. ક્યારેક ક્યારેક  આવી નકારાત્મક ભાવનાઓ કેટલીક મહિલાઓમાં બહુ જોર પકડી લે છે. જેના લીધે એમની સ્થિતિ અસામાન્ય થઇ જાય છે. આવી સ્થિતિમાં તરત જ નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

- હિમાની

Tags :