ઊંદરી: સમાધાન આયુર્વેદથી
- આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
વ્યક્તિની પર્સનાલિટીમાં તેના વાળનો ખૂબ મહત્ત્વનો રોલ હોય છે. આથી જ વાળનાં સ્વાસ્થ્ય માટે પ્રત્યેક વ્યક્તિએ જાગૃત રહેવું ખૂબ જરૂરી છે. વાળ એ સૌંદર્ય વૃધ્ધિ તો કરે જ છે, પણ સાથે-સાથે શરીરને ઠંડી અને ગરમીની ખરાબ અસરથી તથા કિટાણુઓથી રક્ષણ પણ કરે છે. વાળ તથા રોગને શરીરમાં સ્વાસ્થ્ય સુરક્ષાનું ખૂબ મહત્ત્વનું અંગ માનવામાં આવેલ છે. વાળથી માથાની ગરમી, લૂ અને ઠંડી વગેરેની ખરાબ અસરો સામે રક્ષણ પ્રાપ્ત થાય છે. આવી જ રીતે નાક અને કાનની અંદર રહેલ વાળથી અંદર જતી હવા, રજકણો તથા કિટાણુઓ સામે રક્ષણ મળે છે. આંખની પાંપણો પરના વાળ પણ આ રીતે આંખનું રક્ષણ કરે છે. નેત્રનાં વાળ પણ સુંદરતા તથા આંખોના રક્ષણનું કામ કરે છે.
વાળની લંબાઈ કરતાં વધારે મહત્ત્વ વાળનાં સ્વાસ્થ્યને આપવું ખૂબ જરૂરી છે. આજે આપણે વાળનો એક રોગ કે જેને 'એલોપ્સીયા' કે 'ઊંદરી' તરીકે ઓળખવામાં આવે છે, તેનું બીજું નામ 'ઇન્દ્રલુપ્ત' છે.
એલોપ્સીયામાં વાળ ખરી જાય છે અને વાળ ખરી પડયાની જગ્યાએ નવા વાળ આપમેળે ઉગતા નથી અને ગોળાકારમાં કે ઇંડા જેવા આકારમાં ગોળ ગોળ ચકામા પડી જાય છે. આયુર્વેદીક ચિકિત્સા કરવાથી રોગ અવશ્ય મટી જાય છે.
આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતનાં મત મુજબ રૂંવાટીનાં છિદ્રોમા રહેલું પિત્ત વાયુ સાથે મળી જઇને પ્રકૃપિત થઇને રૂંવાડને ખોરવી નાંખે છે. પછી રક્ત તથા કફ છિદ્રોને રોકી દે છે જેથી તે જગ્યાએ બીજા વાળ ઉત્પન્ન થતા નથી. તેને 'એલોપ્સીયા' કે 'ઇન્દ્રલુપ્ત' કહે છે. આયુર્વેદમાં માથા સિવાયની જગ્યાએથી વાળ ખરી જાય તેને 'રુહ્યા' કહે છે. ફક્ત દાઢી-મુછનાં વાળ જે રોગમાં ખરી પડે તેને કાર્તિક કહે છે. વાળ ધીરે ધીરે ખરે તેને ખાલિત્ય કહેવાય છે. જ્યારે આપોઆપ એકદમ માથાનાં વાળ ખરે અને ફરી ચિકિત્સા કરવાથી જ ઊગે તેને 'ઇન્દ્રલુપ્ત' કહે છે.
નિદાન: ખરતાવાળ માટે જેટલા કારણો જવાબદાર છે, તે બધા જ કારણો ઇન્દ્રલુપ્ત માટે પણ જવાબદાર છે.
આ ઉપરાંત ઉંદરી પડવાનું એક કારણ રક્તગત કૃમિ છે. જેનો ફંગસ, બેક્ટેરીયા અને વાયરસમાં સમાવેશ કરી શકાય. કેશાદ અને રોમાદ નામનાં રક્તકૃમિ સિવાય માથાની ચામડીમાં કુષ્ઠજ કૃમિનાં કારણે પણ ઊંદરી થાય છે. આ ઉપરાંત માથામાં ખોડો થઇ જવો, માથાની ચામડીમાં નાની નાની ફોલ્લીઓ થઇ જવી, અરુંષિકા થવી, માથાની અસ્વસ્છતા, કુપોષણ, અનિયમિત આહાર-વિહાર વગેરેનાં કારણે વાળ ખરી જઇ ત્યાંની ચામડી ચમકીલી બનીને ગોળ-ગોળ નાના ચકરડાં થઇ જાય છે, જેને ઊંદરી કહેવાય છે.
આધુનિક મતાનુસાર ઇન્દ્રલુપ્ત કે Patchy hair loss કહેવાય છે. આયુર્વેદનાં મતો ઊંદરીમાં વાત-પિત્ત અને રક્તની દુષ્ટિ હોવાથી આ રોગને કષ્ટસાધ્ય કહી શકાય.
આ રોગ કષ્ટસાધ્ય હોવાથી ધીરજપૂર્વકની સારવાર માંગી લે છે. પથ્યપાલન અને નિયમિત દવાઓ તથા શિરોધારા સારવારથી ઊંદરીની સારવાર અવશ્ય થઇ શકે છે. આથી આરોગની શરૂઆત થાય કે વાળ ખરવાનાં વધી જાય તો તરત જ નિષ્ણાંત વૈદ્યની સલાહ લઇને સારવાર શરૂ કરી દેવાથી રોગ કાબૂમાં આવી જાય છે. ઊંદરીમાં આભ્યાંતર અને બાહ્ય એમ બંને ઉપચાર પધ્ધતિ કરવી જરૂરી છે.
આભ્યાંતર દવાઓ
(૧) કૃમિને દૂર કરનાર ઔષધો જેવા કે, વિડંગ, કાળીજીરી, કૃમિકુઠાર, પલાશ બીજ વગેરે દવાઓ વૈદ્યકીય સલાહ લઇને આપી શકાય છે.
(૨) ઊંદરી ત્વયાજન્ય વિકાર પણ કહી શકાય આથી લોહી શુધ્ધ કરનાર ઔષધો જેવા કે, ગંધક રસાયણ, મંજીષ્ઠા ચૂર્ણ, નિમ્બચૂર્ણ, આરોગ્યવર્ધીની વટી વગેરેમાંથી કોઈ પણ એક કે બેનું વૈદ્યકીય સલાહ લઇને પછીથી સેવન કરવું.
બાહ્યપ્રયોગ:
(૧) નિમ્બતેલનું ઊંદરીની જગ્યા ઉપર મસાજ કરવું જોઇએ.
(૨) અંકોલની છાલને પાણીમાં ઘસી વાળમાં લેપ કરવો.
(૩) ભાંગરાનાં રસમાં મુતંડનું ચૂર્ણ મેળવીને લેપ કરવાથી વાળ ઉગે છે.
(૪) ભોરીંગણીના રસનું માથાની ચામડી પર માલિશ કરવાથી ઊંદરી મટે છે.
(૫) જાસૂદનાં ફૂલની પેસ્ટ બનાવીને નિયમિત માથામાં લગાડવાથી પણ વાળ ઉગે છે.
નસ્યની સારવાર:
ષડબિંદુતેલ, નિમ્બતેલ, ભૃઁગરાજ તેલ, વગેરેમાંથી કોઈ પણ એક તેલના વૈદ્યની સલાહ મુજબ નાકમાં નિયમિત ટીપા નાખવાથી પણ એલોપ્સીયા ઊંદરી રોગમાં ખૂબ ફાયદો થાય છે.
શિરોધારાની સારવાર પણ આ રોગમાં ખૂબ ફાયદાકારક છે.
આમ, આયુર્વેદીક ઔષધોપચાર અને સારવાર તેમજ યોગ્ય પથ્યાપથ્ય એલોપ્સિયાની સારવારમાં અસરકારક સાબિત થાય છે. જેમાં બે મત નથી અને શંકાને સ્થાન નથી.