ચોમાસું આવી પહોંચ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છએ વાવાઝોડા વરસાદનો સ્વાદ ગયા મહિને ચાખી લીધો. મુંબઈ પણ છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ભીનું થઈ જશે. ફરી એકવાર છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકના ચંપલ- સેન્ડલની મોસમ આવી પહોંચી છે. પરંતુ આ મોસમને ગુજરાત - મુંબઈના ગુજરાતીઓ જુદી જુદી રીતે વધાવે છે. ખાસ તો ચોમાસાના આગમન સાથે ખરીદીની જે મોસમ ખીલે છે તે ગુજરાત અને મુંબઈમાં જુદી જુદી રીતે ખીલે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદના આગમનના સાથે કોઈ ખાસ પ્રકારની ખરીદી ફાટી નીકળે તેવું બહુ ઓછું બને છે. લોકો પોતાની એ જ જૂની છત્રીઓ અને રેઈનકોટ વડે વરસોવરસ ગાડું ગબડાવી લેતાં હોય છે. ચોમાસામાં સેન્ડલ-ચંપલ નવેસરથી ખરીદવાં જોઈએ એવો ખ્યાલ હજુ ગુજરાતમાં ખાસ પ્રચલિત નથી થયો. વરસાદ આવે ત્યારે વરસો જૂનાં છત્રી-રેઈનકોટ મેડી પરથી , પટારામાંથી, ભડકિયામાંથી કાઢવામાં આવે છે. પણ મુંબઈમાં પરિસ્થિતિ જુદી છે. અહીંતો વરસાદનો પહેલો છાંટો પડે તે સાથે જ 'ચોમાસુ ચીજો' ની ખરીદી પણ ફાટી નીકળે છે. સૌથી પહેલાં તો ભીના રસ્તા અને કીચડથી ઓછામાં ઓછા બગડે તેવાં નિર્લેપ બૂટ-ચંપલ - સેન્ડલ ખરીદવામાં આવે છે પછી છત્રી-રેઈન કોટ તો ખરા જ. છત્રીની બાબતે મુંબઈ એક સ્ત્રૈણ શહેર છે. આ શહેરના લોકોને જેન્ટ્સ છત્રીઓ નથી ફાવતી, લેડીઝ જ ફાવે છે. (લેડીઝ છત્રી જ ફાવે છે) તેનું કારણ બહુ સ્પષ્ટ છે. લોકલ ટ્રેનમાં બે હાથવાળું માનવશરીર માંડ પ્રવેશી શકતું હોય ત્યાં વળી માણસના શરીર પર ઊગેલા ત્રીજા હાથ જેવી જેન્ટ્સ છત્રી લઈને કોણ ટ્રેનમાં ચડવાનું હતું? વળી જેન્ટ્સ છત્રીનો, નીચેનો અણીદાર છેડો લોકલ ટ્રેનમાં કજિયાનું છોરું સાબિત થઈ શકે તેમ હોવાથી જેન્ટ્સ છત્રી લઈને અહીં ટ્રેનમાં નથી ચડતું. લોકો લેડીઝ છત્રીઓ અતિ વૈભવી બ્રીફકેસ, પર્સ, થેલી વગેરેમાં લઈને ઘરની બહાર નીકળે છે. પછી જ્યારે વરસાદ પડે છે ત્યારે ફટાફટ છત્રીઓ ઊઘડે છે અને એ છત્રીઓને ધારીને જોવા જેવી હોય છે. કાળા રંગની સાદી લેડીઝ છત્રીઓથી માંડીને આખી દુિનિયાની સૌથી આધુનિક છત્રીઓ મુંબઈના રસ્તાઓ પર માણસના હાથમાં ચાલતી જોવા મળે છે. નવી નવી જાતની છત્રીઓ વિશે છત્રી બનાવતી સૌથી જૂની કંપની (ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ, જે હવે સ્ટેગ બ્રાન્ડની છત્રી બનાવે છે) ના અઝીઝભાઈ ઉત્સાહપૂર્વક કહે છે, ''તડકામાં રંગ બદલાય તેવી છત્રીઓ અમે બજારમાં મૂકી રહ્યા છીએ. આ ઉપરાંત વૂડનમાં લેડીઝ અને જેન્ટ્સ છત્રીઓ બજારમાં આવી છે, જેમાં અમે કાળા રંગની જગ્યાએ ચેક્સનો ઉપયોગ કર્યો છે.'' અઝીઝભાઈની ઈબ્રાહિમ કરીમ એન્ડ સન્સ કંપની ૧૩૯ વરસ જૂની છે. આ કંપનીની શરૃઆત થઈ ત્યારે છત્રી માટે જરૃરી તમામ સામગ્રી પરદેશથી આવતી. જેમ કે, હેન્ડલ માટેનું લાકડું પણ છેક ચીનથી મગાવવામાં આવતું. શરૃઆતથી આજ સુધી આ કંપનીએ ભારતના છત્રી ઉદ્યોગમાં ટોેચનું સ્થાન ભોગવ્યું છે.
છત્રી : શહેનશાહથી અદના આદમી સુધીની યાત્રા
છત્રીની શોધ વરસાદથી બચવા માટે નહીં, પરંતુ ભયાનક તાપથી બચવા માટે થઈ હતી. કેટલીય પુરાણી સંસ્કૃતિઓમાં છત્રી એ જુદા જુદા હોદ્દાઓનું પ્રતિક ગણાતી હતી. દાખલા તરીકે ઈજિપ્ત અને બેબિલોનમાં એક માત્ર અમીર-ઉમરાવો અને રાજાઓ જ છત્રી વાપરવાનો અધિકાર ધરાવતા હતા. વરસાદથી શરીરને બચાવવા માટે છત્રીને વાપરવાનો ચાલ અઢારમી સદીમાં શરૃ થયો.
તે વખતે યુરોપમાં લાકડામાંથી વજનદાર છત્રીઓ બનાવવામાં આવતી હતી તે ક્રમશ: પ્રચલિત બનવા લાગી હતી. ઓગણીસમી સદીમાં વજનમાં હળવી અને સુશોભિત છત્રીઓ બનવા લાગી. યુરોપમાં તેને ચચિર્જજ તરીકે ઓળખવામાં આવતી. માત્ર યુરોપિયન જ નહીં બલ્કે અમેરિકન મહિલાઓમાં પણ આ રૃપકડી છત્રીઓ ફેશનેબલ ગણાવા લાગી હતી.
આમાંની મોટા ભાગની છત્રીઓની ફ્રેમ વ્હેલ માછલીના હાડકાં યા તોધાતુમાંથી બનતી. રેશમી કપડાનું કવરિંગ રહેતું : તેમાં ઝાલર પણ મૂકવામાં આતી. ૧૯૨૦ સુધી આ પ્રકારની છત્રીઓ પોપ્યુલર રહી. ત્યાર પછી શરૃ થયો આધુનિક છત્રીનો જમાનો.


