Get The App

ચહેરા પરના ખીલના ખાડાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો

Updated: May 9th, 2022

GS TEAM

Google News
Google News
ચહેરા પરના ખીલના ખાડાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો 1 - image


મહિલાઓ ચળકતી, રેશમ જેવી મુલાયમ ત્વચા માટે વિવિધ પ્રયાસ કરતી હોય છે. પરંતુ યુવાનીમાં ખીલની સમસ્યાના કારણે ઘણી મહિલાઓને ચહેરા પર ખાડા પડી જવાની સમસ્યા હોય છે. પરિણામે ચહેરો ખરાબ દીસતો હોય છે. ચહેરા પરના આ ખાડાને છુપાવવા માટે મહિલાઓ બ્યૂટી ટ્રીટમેન્ટનો પણ સહારો લઇને પુષ્કળ પૈસા તેની પાછળ ખરચે છે. જેનાથી આ તકલીફ જલદી દૂર થતી હોય છે. પરંતુ દરેક માટે આમ કરવું શક્ય હોતું નથી. 

ચહેરા પર ખીલના કારણે પડેલા ખાડાને દૂર કરવા માટે ઘરગત્થુ ઉપાયો પણ  શક્ય છે. જેના માટે હર્બલ ચીજોનો ઉપયોગ કરી શકાય છે. નિયમિત બે અઠવાડિયા સુધી આ ઉપાયો કરવાથી  ફાયદો થાય છે. 

બટાટાના રસનો ઉપયોગ

વાન નિખારવાનો હોય કે પછી ચહેરા પરના ડાઘ-ધાબા દૂર કરવાના હોય તો બટાકાનો ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં સમાયેલા ગુણો સુંદરતા વધારવામાં મદદ કરે છે. 

બટાકાને મિક્સરમાં વાટી તેનો રસ કાઢી તેમાં કોપરેલના બે-ત્રણ ટીપા ભેળવવા. આ મિશ્રણને ચહેરા પર લગાડી મસાજ કરવું. નિયમિત કરવાથી ખાડા દૂર થવાની સાથેસાથે વાન પણ નિખરે છે. 

દહીં-ચણાના લોટનો પેક

દહીં અને ચણાના લોટોનો પેક ત્વચાની સમસ્યાને દૂર કરે છે. નિયમિત દસ મિનીટ સુધી ચહેરા પર લગાડી હુંફાળા પાણીથી ધોઇ દૂર કરવાથી ફાયદો થાય છે.

દહીં અને ચણાના લોટના ફેસ પેકનો ઉપયોગ ત્વચા પરનો મેલ દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. ચહેરા પર ખાડા હોય તો પણ આ પેકને નિયમિત લગાડવાથી ફાયદો થાયછે. આ પેકના ઉપયોગ પછી ફેસ વોશ લગાડવાની જરૂર પડતી નથી. 

ફ્રૂટ આઇસ ક્યૂબથી મસાજ

આઇસ ક્યૂબ ચહેરા પરના  છિદ્રોને નાના કરવાની સાથેસાથે ખીલના ખાડાને પણ ઓછા કરવામાં મદદ કરે છે. આ માટે અલગ-અલગ ફ્રૂટસના આઇસ ક્યુબનો ઉપયોગ કરી શકાય છે. 

તૈલીય ત્વચા પર પપૈયા, એલોવેરા અથવા સંતરાના પલ્પથી આઇસ ક્યુબ તૈયાર કરી તેને ચહેરા પર રગડવી અને થોડી વાર પછી વાઇપ્સની મદદથી ચહેરો લૂછી નાખવો. નિયમિત કરવાથી ૧૦ દિવસમાં જ ફરક જોવા મળશે. 

ચહેરાને ટુવાલથી સ્ક્રબ કરવો

કોરિયન યુવતીઓ ગ્લાસ જેવી ચમકીલી ત્વચા માટે  સ્ક્રબ કરવા ટુવાલનો ઉપયોગ કરે છે. ચહેરા પર તેલ લગાડવું. ત્યાર પછી ટુવાલને ગરમ પાણીમાં ડુબાડી નિચોવી લેવું. હવે ચહેરા પર મસાજ કરતા હોય તે રીતે ટુવાલ ચહેરા પર ટુવાલથી મસાજ કરવું. થોડી વારમાં જ તેલ ત્વચામાં શોષાઇ જશે. જોકે ચહેરા પર ટુવાલ હળવા હાથે ફેરવવો વધુ પડતું રગડવાથી ચહેરા પર બળતરા અથવા રેશિષ થઇ શકે છે. 

મહત્વની વાત

ચહેરા પર સતત ખીલ ફૂટયા જ કરતા હશે તો ચહેરા પરના ખાડા દૂર કરવા મુશ્કેલ છે. તેથી ખીલ થવાનું પ્રમાણ નહીંવત થાય પછી જ આ ઉપાયોનો વધુ ફાયદો શક્ય છે. 

- સુરેખા મહેતા

Tags :