Get The App

તમારી ઉંઘ અને આરોગ્યનો નવો દુશ્મન : કેફેઇન

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
તમારી ઉંઘ અને આરોગ્યનો નવો દુશ્મન : કેફેઇન 1 - image


- પંજાબ અને મહારાષ્ટ્ર બે રાજ્યોમાં શાળાઓની આજુબાજુ કેફેઇન ધરાવતાં એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ

- નવી પેઢીમાં કેફેઇનના વ્યસનીઓનું પ્રમાણ ભયજનક હદે વધી રહ્યું છે

ઘણી વખત સાવ સરળ અને નિર્દોષ લાગતી ઘણી વસ્તુઓ વિશે જેમ જેમ જાણતાં જાવ તેમ લાગે ક કંપનીઓએ તેમનીે નફો રળવાની રમતમાં તમને એક પ્યાદું બનાવી તમારો એવો ઉપયોગ કર્યો છે કે તમને તેના વિષચક્રમાંથી બહાર આવવા માટે ઘણાં સઘન પ્રયાસો કરવાની જરૂર પડે. આવી એક રમત છેલ્લા ઘણાં વખતથી કેફેઇન ધરાવતાં એનર્જી ડ્રિન્ક્સના નામે રમવામાં આવી રહી છે. હાલની યુવા પેઢી અને હવે તો શાળાએ જતાં બાળકોને પણ કેફેઇનની વધારે પડતી માત્રા ધરાવતાં એનર્જી ડ્રિન્ક્સ પીવાની કુટેવ પડવા મોડી છે. 

ભારતમાં માત્ર બે રાજ્યોમાં આ મામલે જાગૃતિ જોવા મળી છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં આ દૂષણ સામે જાગીને અન્ન અને ઔષધ નિયમન તંત્ર એટલે કે  એફડીએ  દ્વારા શાળાઓની આસપાસ આ પ્રકારના એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પંજાબમાં કેફી દ્રવ્યોનું દૂષણ વ્યાપક છે તેને કારણે આ ડ્રિન્ક્સનો ઉપયોગ ઘણીવાર યુવાનોને કેફી દ્રવ્યોના રવાડે ચડાવવા માટે પણ થતો હોય છે. ભારતમાં પ્રચારમાધ્યમોની યુવા પેઢી પર કેવી મજબૂત પક્કડ છે તેનું એક ઉદાહરણ પ્રાઇમ હાઇડ્રેશન નામનું એનર્જી ડ્રિન્ક છે. ૧૦૬ એમજી કેફેનાઇન ધરાવતું આ ડ્રિન્ક ભારતમાં લોન્ચ થયું તે પહેલાં તેનું પ્રાઇમ ટાઇમ અને યુટયુબ પર એવું જોરદાર માર્કેટિંગ કરવામાં આવેલું કે ભારતના નબીરાંઓ તેનું એક કેન બ્લેકમાં ખરીદવા માટે ૧૫૦૦ રૂપિયા હોંશે હોંશે ચૂકવવા દોડતાં હતા. એ પછી તો ભારતમાં વિધિસર આ એનર્જી ડ્રિન્ક લોન્ચ થયું અને તે બજારમાં કેન દીઠ અઢીસો રૂપિયાના ભાવે વેચાય છે. 

માનવ શરીરમાં ખોરાકને પચાવવા માટે ચયાપચય નામની પ્રક્રિયા થાય છે. ચયાપચયની આ પ્રક્રિયાના નિષ્ણાત ડોક્ટર્સના જણાવ્યા અનુસાર એનર્જી ડ્રિન્ક લેવાથી તેમાં રહેલી સુગર અને કેફેઇનની માત્રા અનુસાર તમને કામચલાઉ ધોરણે ઉર્જામાં વધારો થતો હોવાનો અહેસાસ થાય છે. કેફેઇનનો જંતુનાશક તરીકે પણ ઉપયોગ કરવા પર ગયા ફેબુ્રઆરીમાં યુરોપિયન યુનિયન દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. યુરોપિયન યુનિયન દ્વારા કેફેઇન વિશે ચેતવણી જારી કરવામાં આવી હતી કે જો તેને ગળી જવામાં આવે તો તે માનવ આરોગ્ય માટે હાનિકારક છે. કોફીના મુખ્ય તત્વ કેફેઇનની હ્ય્દય, પાણીનું શરીરમાં પૂરતું પ્રમાણ જાળવવા પર અને શરીરના તાપમાન પર વિપરીત અસર થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય ચેતાતંત્ર પર પણ તેની વિપરીત અસર થવાથી ઉંઘ બગડે છે અને વર્તનમાં પણ તેની અસર થાય છે. 

યુરોપિયન યુનિયન દ્વારા આ ચેતવણી જારી કરવામાં આવી તેની પાછળનું કારણ પણ વિચિત્ર લાગે તેવું છે. ફ્રાન્સની એક કંપનીએ કોબીજ અને બટાટાના પાકમાં જીવાત ન પડે તે માટે જતુનાશકોમાં સ્ટીમ્યુલન્ટ તરીકે કેફેઇનનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી હતી. જેને પગલે યુરોપિયન યુનિયને ચેતવણી જારી કરી હતી. એટલુ જ નહી પેસ્ટીસાઇડ તરીકે પણ કેફેઇનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.

દુનિયામાં હવે કેફેઇન એક વ્યસની બનાવે તેવું દ્રવ્ય છે તે બાબતે જાગરૂકતા આવતી જાય છે. જ્યારે કોઇ કોફી પીવાનું છોડવાનો પ્રયાસ કરે ત્યારે તેને પણ વિથડ્રોઅલના ઝટકાં સહેવા પડે છે. કોફી નિયમિત પીનારને તેના દ્વારા વાગતી કીકની સામાન્ય રીતે અસર થતી નથી પણ જ્યારે કોફી પીવાનું બંધ કરવામાં આવે ત્યારે તે કીકની ગેરહાજરીમાં તે માણસને દુનિયા ડલ લાગવા માંડે છે. 

કોફી પીવાને કારણે તમને ઉર્જા વધી હોય તેમ લાગે અને તમે એકચિત્તે ઝડપથી કામ કરવા માંડો છો તે બધું સાચું છે. પણ આ કેફેનાઇન આ બધી સિદ્ધિઓ કેલરી વધાર્યા વિના હાંસલ  કેવી રીતે કરે છે? કેફેનાઇન એક જાદુઇ તત્વ છે કે આપણે જાગૃતિ, ધ્યાન અને ઝડપથી કામ કરવાની ક્ષમતા વધારવાની બીજી કોઇ રીતે કિંમત ચૂકવીએ છીએ? કેફેનાઇન ઉપરછલ્લી નજરે તો આપણને ઉર્જા પુરી પાડનારું દૈવી તત્વ લાગે છે પણ તેની કામગીરીને બારીકાઇથી ચકાસીએ તો તેના ભેદભરમ ખુલે છે. 

કેફેનાઇન મગજના એક રસપ્રદ દ્રવ્ય એડેનોસાઇનને કામ કરતું અટકાવે છે. એડેનોસાઇન  દિવસભર એકત્ર થઇ શરીરને આરામ કરવા માટે તૈયાર કરે છે. કેફેનાઇન આ પ્રક્રિયામાં દખલ કરેે છે. તે એડેનોસાઇનને તેનુ કામ કરતાં અટકાવી આપણને જાગ્રત રાખે છે. પણ એડેનોસાઇનનું પ્રમાણ સતત વધતું રહે છે. તેથી જ્યારે કેફેનાઇન ચયાપચય પ્રક્રિયામાં સામેલ થઇ બિન અસરકારક બને ત્યારે એડેનોસાઇન શરીરમાં બમણાં જોરથી કામ શરૂ કરે છે અને તેને કારણે આપણને થાક લાગે છે. આમ, કેફેનાઇન આપણને જે ઉર્જા આપે છે તે ઉછીની હોય છે. અને શરીરને આખર વધારાની ઉર્જાનું તેનું દેવું ચૂકવવું પડે છે. વધારે ચિંતાજનક બાબત તો એ છે કે એડેનોસાઇન નામનું આ તત્વ ઉંંઘ લાવવાના મહત્વનાકામ ઉપરાંત હ્ય્દયના ધબકારાંનો દર નિયંત્રિત કરવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ પણ કરે છે. જ્યારે એડેનોસાઇનની કામગીરી કેફેનાઇનને કારણે ખોરવાય અને ઉર્જા વધે ત્યારે ન્યુરોટ્રાસમિટર પ્રવૃત્તિ વધી જાય છે. સુગરને કારણે ઝડપથી ઉર્જા મળતી હોઇ બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. આ બંને તત્વોની જુગલબંધીને કારણે થોડા સમય માટે ફોકસ સુધરે છે અને ઉર્જાનો અનુભવ થાય છે. પણ જો કેફેનાઇનની માત્રા વધી જાય તો હ્ય્દયના ધબકારાં વધી જાય છે અને તેને કારણે સુગર પણ ઘટી જાય છે. કિશોરોમાં કેફેનાઇનના વધારા પડતાં સેવનને કારણે વધારાનું જોખમ એ હોય છે કે  તે કિશોરોમાં સ્વાભાવિક રીતે સ્થાન લેતી આંતરસ્ત્રાવોની પ્રક્રિયા પર પણ તેની અસર થવાની શક્યતા રહે છે. લાંબા સમય સુધી નિયમિત કેફેનાઇનનું સેવન કરવાથી એન્ડોક્રાઇન ફંકશન ખોરવાઇ જાય છે. જેને કારણે શરીર ઇન્શ્યુલીનનો પ્રતિકાર કરે છે. જેને કારણે ટાઇપ ટુ ડાયાબિટિસ અને મેદસ્વિતા થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને જે લોકો તેમની વયના વીસીના દાયકામાં હોય તેઓ તેના ઝડપથી બંધાણી બની જાય છે. 

હવે ભારતમાં છડેચોક વેચાતાં એનર્જી ડ્રિન્કસમાં કેફેનાઇન, કૃત્રિમ ગળપણ અને ટોરિન નામનો એમિનો એસિડ પણ હોય છે. ટોરિનને કારણે લોહીનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે ટોરિન શરીરમાં કુદરતી રીતે બને છે પણ તે પ્રોટીન સમૃદ્ધ ખોરાકમાંથી પણ મળે છે. સંશોધનમાં જણાવ્યા અનુસાર વધારે પડતાં એનજી ડ્રિન્ક્સના સેવનને કારણે ટોરિનનું પ્રમાણ શરીરમાં વધી જાય તો લ્યુકેમિયા યાને લોહીનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. આ બધાં જોખમોને કારણે ઘણાં દેશોમાં એનર્જી ડ્રિન્ક્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

૨૦૧૪માં સૌ પ્રથમ લિથુઆનિયાએ ૧૮ વર્ષથી નાની વયના કિશોરોને એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ મુક્યો. એ પછી ૨૦૧૬માં લાટવિયાએ પણ તેના વેચાણ પર પ્રતિબંધ મુક્યો. ૨૦૨૪માં પોલેન્ડે પણ સગીર વયના બાળકોને કેફેઇન અને ટોરિન વેચવા પર પ્રતિબંધ મુક્યો છે. સ્વિડન, તુર્કી અને હંગેરીએ પણ બાળકોને એનર્જી ડ્રિન્ક્સ વેચવા પર પ્રતિબંધ મુક્યો છે. જ્યારે ડેન્માર્ક અને ઉરૂગ્વેએ તો તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. આમ છતાં દુનિયાના ઘણાં દેશોમાં કિશોરો એનર્જી ડ્રિન્ક્સના બંધાણી બની રહ્યા છે. એક અભ્યાસમાં ૨૧ દેશોના ૧૨ લાખ કિશોરોને આવરી લઇ તારણો કાઢવામાં આવ્યા હતા. આ તારણો અનુસાર દસ વર્ષના કિશોરોને પણ આ એનર્જી ડ્રેન્ક્સના બંધાણી બનાવવામાં આવે છે. તેમને એમ કહેવામાં આવે છે કે તે બાટલીઓમાં વેચાતાં પાણી કરતાં પણ સસ્તા છે. પણ સચ્ચાઇ એ છે કે આ એનર્જી ડ્રિન્ક્સ કિશોરોના માનસિક અને શારીરિક આરોગ્ય માટે નુકશાનકારક છે. 

- વિનોદ પટેલ

Tags :